મૂળ માંડવી તાલુકાના રામપર ગામના અને હાલમાં નૈરોબી સ્થાયી થયેલા પટેલ પરિવાર પર નૈરોબી પરત ફરતા પહેલા આભ તૂટી પડ્યું. મુંબઈ ખાતે નૈરોબી જતી વખતે કોઈ કારણોસર મુંબઈથી નૈરોબી જતી ફ્લાઈટ રદ થવાથી આ પરિવાર શાંતાક્રુઝની ગેલેક્સી હોટેલમાં રોકાયો હતો. આ પટેલ પરિવાર ભર નિંદ્રામાં હતો ત્યારે અચાનક આગ લાગતા કિશન પ્રેમજી હાલાઇ અને રૂપલ કાનજી વેકરીયા આગની લપેટમાં આવી જવાથી બંનેના અકાળે મોત થયા હતા જ્યારે પટેલ પરિવારના અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
આગની આ ઘટનામાં કુલ ત્રણ મોત થયાનું જાણવા મળે છે ત્રીજી વ્યક્તિ પોરબંદરની હોવાનું સ્પષ્ટ થયું છે. નોંધનીય છે કે રૂપલ કાનજી વેકરીયાના કિશન પ્રેમજી હાલાઈ સાથે તાજેતરમાં જ સગપણ થયા હતા અને કિશન પણ નૈરોબી કામ કરતો હોવાથી એ તમામ એક સાથે ભુજથી અમદાવાદ થઈને મુંબઈ પહોંચ્યા હતા ત્યાંથી તેમને નૈરોબી જતી ફ્લાઈટ પકડવાની હતી પરંતુ કોઈ કારણોસર નૈરોબીની ફ્લાઈટ રદ થવાથી તેઓ શાંતાક્રુઝ એરપોર્ટની સામે જ આવેલ ગેલેક્સી હોટેલમાં ઉતર્યા હતા જ્યાં આ ઘટના બની હતી આ ઘટનાના પગલે કચ્છી લેવા પટેલ સમાજમાં ભારે અરેરાટી ફેલાઈ છે