Bharuch : ઝઘડીયા ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી દ્વારા વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું લોકાર્પણ કરાયું
- ભરૂચના ઝઘડીયા ખાતે વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું લોકાર્પણ
- કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલનું નિવેદન
- બોરોસિલ રિન્યૂએબલ્સનું કામ જોયું: સી.આર.પાટીલ
- એક ખાડામાં 10 હજાર લિટર પાણી જમીનમાં ઉતરી રહ્યું છે
- વરસાદનું પાણી જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થા કરાઈ
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ હસ્તે ઝઘડીયા સ્થિત બોરોસિલ રિન્યૂએબલ્સના પરિસર ખાતે નવનિર્મિત વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું લોકાર્પણ કરાયું હતું આ પ્રસંગે, જળસંરક્ષણવિદ મયંક ગાંધી દ્નારા બોરોસિલ રિન્યૂએબલ્સ રેનવોટર હાર્વેસ્ટિંગ કેમ્પિયન અંર્તગત ભારતમાં થયેલી પાણી બચાવવાની કામગીરી, તેના સ્ટ્રકચર નિર્માણ, તેના દ્નારા આવેલા પરિવર્તનની ફિલ્મનું નિદર્શન ઉપસ્થિત સૌએ કર્યું હતું.
2021 માં “કેચ ધ રેઇન”અભિયાનનો પ્રારંભ કર્યો
આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2021 માં “કેચ ધ રેઇન”અભિયાનનો પ્રારંભ કર્યો હતો, જેનુ મુખ્ય લક્ષ્ય દેશભરમાં વરસાદી પાણીના સંરક્ષણ અને જળસંચયને પ્રોત્સાહન આપવાનું હતું. વડાપ્રધાન “જળસંચય જનસહભાગીદારીથી જનઆંદોલનમાં પરિવર્તિત થવો જોઈએ.” એ ભાવના સાથે દરેક નાગરિકે પોતાની કર્મભૂમિ,માતૃભૂમિને જળસંચયના કાર્યોથી સમૃદ્ધ બનાવે એના આગ્રહી રહ્યા છે.
સૌરાષ્ટ્રની નદીઓ, તળાવો અને કચ્છ સુધી પાણી પહોંચાડ્યું
વધુમાં, મંત્રી ઉમેર્યું કે, પૂર્વ વડાપ્રધાન સ્વ.લાલબહાદુર શાસ્ત્રીજીએ દેશ યુદ્ધની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે દેશવાસીઓને એક ટાઈમ ભોજનનો ત્યાગ કરવા આહ્વાન કર્યું હતું, જેને સમગ્ર દેશે સહજ રીતે સ્વીકાર્યું હતું. હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોરોનાની કપરી પરિસ્થિતિમાં ‘મારા દેશનો એક પણ નાગરિક ભૂખ્યો સુવો ન જોઈએ.’ એવી ભાવના સાથે ગરીબ કલ્યાણ અન્ન સુરક્ષા યોજના અમલી બનાવી અને એ સુનિશ્ચિત કર્યું કે કોઈ નાગરિક ભૂખના દુ:ખથી ન પીડાય. જળસંચય ક્ષેત્રે વડાપ્રધાનના યોગદાન વિશે મંત્રીએ જણાવ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સરોવર યોજના પૂર્ણ કરી સાથે રિવર લિંકિંગની કલ્પનાને સાકાર કરવાનો પ્રયાસ કર્યો. અટલજીના સ્વપ્નને પૂર્ણરૂપ આપીને મા નર્મદાના પાણીને સાબરમતી નદી સાથે જોડીને તેનાથી સૌરાષ્ટ્રની નદીઓ,તળાવો અને છેક કચ્છ સુધી પાણી પહોંચાડયું છે.
તેમણે ઉમેર્યું કે, દેશના દરેક જિલ્લામાં ૭૫ તળાવોના નિર્માણથી જળસંચય અને વોટર હાર્વેસ્ટિંગને વેગ મળ્યો છે. જળસંચય અને વોટર હાર્વેસ્ટિંગ મિશનનો ઉદ્દેશ ખેતરે-ખેતરે, ગામડે-ગામડે, શહેરે-શહેરે, વરસાદી પાણી જ્યાં પણ પડે ત્યાં તેનો સંગ્રહ કરવાનો છે. સરકારે ‘ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં” એ ભાવનાને જળસંચય પ્રવૃત્તિથી સાર્થક કરી છે.
આ તકે તેમણે કહ્યું કે, નદીઓ પર મોટા ડેમ બનાવવા માટે ૨૫ વર્ષનો સમય હવે નથી રહ્યો ત્યારે જળસંચય જ એકમાત્ર તેનો ઉપાય છે. જમીનમાં પાણી ઉતારવું સસ્તુ છે, પાણી ફરી મેળવવું સહેલુ પણ છે. એટલા જ માટે ૨૦૨૧માં કેચ ધ રેઈનનું આહવાન પ્રધાનમંત્રીએ આપણને આપ્યો હતો. હાલ દેશમાં વડાપ્રધાનના એક આહવાન થકી ૧૬ લાખથી વધુ જળસંચયના સ્ટ્રકચરો ઉભા થયા છે. લોકોને હવે તેની જરૂરીયાત સમજાઈ છે. જળ છે તો જીવન છે જ પરંતુ હવે એ વ્યાખ્યા બદલાતા જલ હે તો કલ હૈ ! એમ ભારપૂર્વક જણાવ્યું હતું.
વધુમાં, નીતિ આયોગના ડેટા પ્રમાણે ૨૦૩૦ સુધીમાં પાણી માટે વસમી સ્થિતિનું નિર્માણ થઈ શકે એમ છે. ઇતિહાસકારોના મતે આવનારા ભવિષ્યમાં ત્રીજું વિશ્વ યુદ્ધ પાણી માટે થશે. એ યુદ્ધ ભલે પાણી માટે હોય, પણ ભારત દેશ યુદ્ધમાં ક્યાંયે નહી હોય. એમ ભાર પૂર્વક જણાવી,આવનારી સ્થિતિને પહોંચી વળવા માટે સરકાર અત્યારથી જળસંચયનું કામ કરી રહી છે. જળસંચય માટે સરકાર સાથે જનભાગીદારીના રૂપમાં પડખે પાણી માટે આપને સોએ જાગૃત થવું જ પડશે. નવનિર્મિત વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું લોકાર્પણના પ્રતીકાત્મક શુભારંભના ભાગરૂપે વૈદિક મંત્રોચ્ચારો સાથે મહાનુભાવોએ નર્મદા નદીનું પાણી એક રિચાર્જ કૂવામાં અર્પણ કર્યું હતું.
આ પણ વાંચોઃ Ahmedabad: અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા સહકારી મહાસંમેલન-2025 યોજાયું
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, આગેવાન મુકેશ પટેલ, પ્રકાશ મોદી, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જળ સંરક્ષણવિદ મયંક ગાંધી, બોરોસિલ રિન્યૂએબલ્સ લિમિટેડના ચેરમેન પ્રદીપ ખેરુકા અને વાઇસ ચેરમેન શ્રીવર ખેરુકા, બોરોસિલ રિન્યૂએબલ્સના પ્રતિનિધિઓ, આગેવાન પદાધિકારીઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.
અહેવાલ- દિનેશ મકવાણા(ભરૂચ)


