અહેવાલઃ સાગર ઠાકર, જૂનાગઢ
જૂનાગઢમાં પવિત્ર દામોદર કુંડ પર આવેલા પૌરાણિક શ્રી રાધા દામોદરજી મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી, જન્માષ્ટણી નીમીત્તે મંદિરમાં વિષ્ણુયાગ યજ્ઞ કરવામાં આવ્યો અને મધ્યરાત્રીએ કૃષ્ણ જન્મોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવી, નિજ મંદિરમાં ઠાકોરજીના અભિષેક સાથે કૃષ્ણ જન્મોત્સવના દર્શનનો મોટી સંખ્યામાં ભાવિકોએ લ્હાવો લીધો હતો અને મંદિરના પટાંગણમાં ગિરીનારાયણ યુવક મંડળ દ્વારા મટકીફોડ કાર્યક્રમ યોજાયો હતો.
જૂનાગઢનું શ્રી રાધા દામોદરજી મંદિર સૌરાષ્ટ્રના મહાભારત કાળના પુરાતન મંદિરો પૈકીનું એક મોટું મંદિર છે જ્યાં સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ ઉત્સવો ઉજવવામાં આવે છે, જન્માષ્ટમીના દિવસે વિષ્ણુયાગ યજ્ઞ કરવાનું મહત્વ એ છે કે જ્યારે ભગવાન વિષ્ણુએ કૃષ્ણ રૂપે ધરતી પર અવતરણ કર્યું ત્યારે પ્રભુને જે કષ્ટ પડ્યું એ કષ્ટ નિવારણ માટે મંદિરમાં વિષ્ણુયાગ યજ્ઞ સાથે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવામાં આવે છે અને બાદમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. અહીં એક માત્ર સૌથી પુરાતન અને તામ્રવર્ણ ચત્રભૂજ સ્વરૂપ બિરાજે છે અને શાલીગ્રામજીના અભિષક સાથે કૃષ્ણ જન્મોત્સવનો ભાવ કરવામાં આવે છે.
જન્માષ્ટમી નીમીત્તે ઠાકોરજીને વિશેષ શ્રૃંગાર કરવામાં આવે છે. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી ના નાદ સાથે વૈશ્ણવો કૃષ્ણ જન્મોત્સવની ક્ષણને વધાવે છે. મધ્યરાત્રીએ જ્યારે નીજ મંદિરનો ટેરો ખુલે છે ત્યારે કૃષ્ણ જન્મની ભાવના સાથે ઉપસ્થિત વૈશ્ણવો જયકાર કરીને હર્ષોલ્લાસ સાથે દર્શનનો લ્હાવો લે છે અને ભકિતભાવ સાથે જન્માષ્ટમીની ઉજવણી કરે છે. ઠાકોરજીના અભિષેક બાદ ગિરીનારાયણ યુવક મંડળ દ્વારા મટકી ફોડવામાં આવે છે જેમાં યુવાનો પોતાનું કૌશલ્ય દાખવીને ઉત્સવની ઉજવણી કરે છે, મટકીમાં માખણ મુકવામાં આવ્યું હોય છે જે બાદમાં ઉપસ્થિત વૈશ્ણવોને પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવે છે.