Home » વડાપ્રધાનશ્રીએ વૈશ્વિક ભાઈચારાનો વિચાર દર્શાવતો G-20ના લોગો અને થીમનું અનાવરણ કર્યું
વડાપ્રધાનશ્રીએ વૈશ્વિક ભાઈચારાનો વિચાર દર્શાવતો G-20ના લોગો અને થીમનું અનાવરણ કર્યું
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
178
ભારત આ વખતે પહેલીવાર G20ની અધ્યક્ષતા કરવાનું છે. ભારત 1 ડિસેમ્બર, 2022 થી 30 નવેમ્બર, 2023 સુધી G20ની અધ્યક્ષતા કરશે. મળતા સમાચાર અનુસાર ભારત બાંગ્લાદેશ, ઇજિપ્ત, મોરેશિયસ, નેધરલેન્ડ, નાઇજીરિયા, ઓમાન, સિંગાપોર, સ્પેન અને UAEને G20 પ્રમુખ તરીકે અતિથિ દેશો તરીકે આમંત્રિત કરશે.
હાલમાં G-20 દેશોમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ સામેલ છે. આ સાથે યુરોપિયન યુનિયન પણ તેનું સભ્ય છે.
લોગો, થીમ અને વેબસાઇટનું અનાવરણ
ભારતના G-20 સમૂહની અધ્યક્ષતાના નવા લોગો, થીમ અને વેબસાઇટનું અનાવરણ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બરે, વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કર્યું હતું. આ દરમિયાન લોગો અને થીમ સાથે સંબંધિત એક નાનો વીડિયો પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેમાં ભારતની શક્તિ દર્શાવવામાં આવી હતી. G-20 સમૂહનો નવો લોગો, થીમ અને વેબસાઈટનો ધ્યેય વિશ્વ પ્રત્યે ભારતના સંદેશ અને પ્રાથમિકતાઓને પ્રતિબિંબિત કરે છે.
દેશ માટે ઐતિહાસિક અવસર
તેમના સંબોધન દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 1 ડિસેમ્બર 2022 થી, ભારત G-20 સમિટની અધ્યક્ષતા કરશે અને કહ્યું કે તે દેશ માટે એક ઐતિહાસિક અવસર છે. તેને એક મહત્વપૂર્ણ અવસર ગણાવતા વડાપ્રધાને કહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવના વર્ષ દરમિયાન G-20ની અધ્યક્ષતા કરવી એ દરેક ભારતીય માટે ગર્વની વાત છે. વડાપ્રધાને G-20 અને સંબંધિત કાર્યક્રમો અંગે વધતા જતા રસ અને પ્રવૃત્તિઓ પર ખુશી વ્યક્ત કરી હતી.
લોગોએ માત્ર પ્રતિક નહી એક સંદેશ છે
વડાપ્રધાને કહ્યું કે G-20નો લોગો માત્ર એક પ્રતીક નથી. આ એક સંદેશ છે. તે એક લાગણી છે જે આપણી નસોમાં છે. આ એક સંકલ્પ છે, જે આપણા વિચારમાં સમાવિષ્ટ છે. વડાપ્રધાને G-20 લોગોમાં દર્શાવવામાં આવેલા કમળના ફૂલ અને થીમ ‘વસુધૈવ કુટુંબકમ’ વિશે કહ્યું કે, આ લોગોમાં કમળનું ફૂલ ભારતની શ્રદ્ધા, પૌરાણિક વારસો અને બૌદ્ધિકતાને દર્શાવે છે. વડાપ્રધાને કહ્યું, “કમળ પરની સાત પાંખડીઓ વિશ્વના સાત ખંડો અને સંગીતના સાત સુરોનું પ્રતિનિધિત્વ કરે છે.
વિશ્વ ભાઈચારાનો વિચાર
તેમણે કહ્યું કે, ‘વસુધૈવ કુટુંબકમ’ના મંત્ર દ્વારા આપણે જે વિશ્વ ભાઈચારાનો વિચાર મુકી રહ્યા છીએ તે આ લોગો અને થીમમાં પ્રતિબિંબિત થાય છે. ધ્રુવીકૃત વિશ્વને એકસાથે લાવવાની આ અનોખી થીમ સાથે ભારત G20નું પ્રમુખપદ સંભાળશે. ભારતનું G-20 પ્રમુખપદ સંકટ અને અરાજકતાના સમયમાં આવ્યું છે. વિશ્વ વૈશ્વિક રોગચાળા, સંઘર્ષો અને ઘણી આર્થિક અનિશ્ચિતતાની વિનાશક અસરોનો સામનો કરી રહ્યું છે.
G-20 લોગોમાં કમળ આવા મુશ્કેલ સમયમાં આશાનું પ્રતીક છે. વડાપ્રધાને ભારતની સંસ્કૃતિ વિશે વાત કરતા જણાવ્યુ કે, જ્ઞાન અને સમૃદ્ધિ બંનેની દેવી કમળ પર બિરાજમાન છે. વડાપ્રધાને G-20 લોગોમાં કમળની ટોચ પર બિરાજમાન પૃથ્વી તરફ ધ્યાન દોર્યું અને કહ્યું કે G20નો ઉદ્દેશ્ય વિવિધતાનો આદર કરીને વિશ્વને સાથે લાવવાનો છે.
આ વિશ્વની નવી જવાબદારી અને વિશ્વાસ છે
વડાપ્રધાને કહ્યું કે, આ શિખર સમ્મેલન માત્ર રાજદ્વારી બેઠક નથી. ભારતઆને વિશ્વની નવી જવાબદારી અને વિશ્વાસ તરીકે લે છે. આજે વિશ્વમાં ભારતને જાણવા અને સમજવાની અભૂતપૂર્વ ઉત્સુકતા છે. અમારી વર્તમાન સફળતાઓનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને અમારા ભવિષ્ય વિશે અપેક્ષાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આવા વાતાવરણમાં નાગરિકોની જવાબદારી છે કે તેઓ આ અપેક્ષાઓથી આગળ વધે અને વિશ્વને ભારતની ક્ષમતાઓ અને બૌદ્ધિક શક્તિ બતાવે. આપણે બધાને એક કરવા પડશે અને વિશ્વ પ્રત્યેની તેમની જવાબદારી માટે તેમને ઉત્સાહિત કરવા પડશે.
જનભાગીદારીથી લોગો બન્યો છે
ભારત પ્રથમ વખત G-20 દેશોની અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે, આપણી પાસે આ જવાબદારી 1 ડિસેમ્બરથી આવતા વર્ષના 30 નવેમ્બર સુધી રહેશે. વિદેશ મંત્રાલય (MEA) એ અગાઉ G20 ના ભારતના પ્રમુખપદ માટે લોગો ડિઝાઇન માટે દરખાસ્તો આમંત્રિત કરી હતી. જે બાદ મંત્રાલયને 2400 થી વધુ ડિઝાઇન પ્રસ્તાવો મળ્યા હતા. આ પછી આ નવો લોગો ફાઈનલ કરવામાં આવ્યો. G-20નો આ લોગો જનભાગીદારીનું પરિણામ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની વિવિધ યોજનાઓમાં જનભાગીદારી પર મહત્તમ ભાર આપી રહ્યા છે. નવા લોગોની પસંદગી બાદ પ્રથમ વિજેતાને 1 લાખ 50 રૂપિયા અને પછીના પાંચ વિજેતાઓને 15-15 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. લોગોની ડિઝાઇનમાં અમૃતકાળની એટલે કે આગામી 25 વર્ષ અને સાથે જ આગામી 100 વર્ષ સુધીની સફર દર્શાવવામાં આવી છે. તેમાં ત્રિરંગાના રંગ સંયોજનનું કલાત્મક પ્રદર્શન છે.
લોગોમાં ભારતીય દૃષ્ટિકોણનું પ્રતિનિધિત્વ
નવા G-20 લોગોમાં ભારતનો રાષ્ટ્રધ્વજ કેસરી, સફેદ અને લીલો તેમજ વાદળી રંગમાં દર્શાવવામાં આવ્યો છે. G-20ના આ નવા લોગોમાં ભારતના રાષ્ટ્રીય ફૂલ કમળ પર પૃથ્વીનો આકાર બનાવવામાં આવ્યો છે, જેને વાદળી રંગમાં દર્શાવવામાં આવ્યો છે. જ્યારે કમળના ફૂલની સાત પાંખડીઓમાં કેસરી, સફેદ અને લીલા રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. G-20નો લોગો સ્પષ્ટ રીતે ભારતીય દૃષ્ટિકોણનું પ્રતિનિધિત્વ કરે છે, જે પૃથ્વી માતા માટે આદર દર્શાવે છે. બીજી તરફ, ભારતનું રાષ્ટ્રીય ફૂલ, કમળ એ શુભ, શુદ્ધ, શાશ્વત અને તટસ્થતાનું પ્રતીક છે. G-20 લોગોની નીચે ‘ભારત’ શબ્દ લખાયેલો છે, જે દેવનાગરી લિપિમાં લખાયેલો છે. તેની આગળ 2023 INDIA પણ લખવામાં આવ્યું છે.
‘વસુધૈવ કુટુંબકમ’ G-20ની નવી થીમ છે
G-20 ની નવી થીમ ‘વસુધૈવ કુટુંબકમ’ હશે જેનો અર્થ ‘એક પૃથ્વી-એક પરિવાર-એક ભવિષ્ય’ હશે, જે પ્રાચીન સંસ્કૃત ગ્રંથ મહા ઉપનિષદમાંથી લેવામાં આવ્યો છે. થીમ પર્યાવરણીય રીતે ટકાઉ અને જવાબદાર નીતિ-નિર્માતાઓ તેમજ LIFE (પર્યાવરણ માટેની જીવનશૈલી) પર પણ પ્રકાશ પાડે છે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject