ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર રાજીનામાનો દોર શરૂ થયો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામા બાદ હવે કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ અંગે કોંગ્રેસના નેતાઓના નિવેદન પણ સામે આવી રહ્યા છે.
ચિરાગ પટેલ દ્વારા રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, એક વ્યક્તિના રાજીનામાંથી અમારી લડતમાં કોઈ ફરક નથી પડતો. તેમણે ખંભાતની પ્રજા અને કોંગ્રેસ સામે દ્રોહ કર્યો છે. સરકારી કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા આ ધારાસભ્ય આર્થિક લાભ ખાળવા માટે રાજીનામું આપ્યું છે. તેમણે ભાજપ પર પણ આક્ષેપો કરતા કહ્યું કે, ભાજપ સત્તાના નશામાં સામ દામ દંડ ભેદના નુસકાઓ અપનાવે છે. વિપક્ષને નબળો પાડવાનો ભાજપનો પ્રયાસ છે. કોંગ્રેસ પક્ષને કોઈ એક રાજીનામાંથી કોઈ ફરક નથી પડતો.
હવે ગૃહમાં 16 ધારાસભ્યો બાકી છે
તમને જણાવી દઈએ કે, ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલના રાજીનામા બાદ રાજ્ય વિધાનસભામાં પાર્ટીના ધારાસભ્યોની સંખ્યા ઘટીને 16 થઈ ગઈ છે. એક વર્ષ પહેલા યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ કુલ 17 બેઠકો જીતી હતી. ચિરાગ પટેલ ભાજપના વર્તમાન ધારાસભ્ય મયુર રાવલને હરાવીને વિધાનસભા પહોંચ્યા હતા. ચિરાગ પટેલના રાજીનામા બાદ હવે આણંદ લોકસભા મતવિસ્તારની સાત વિધાનસભા બેઠકોમાંથી માત્ર આકલાવ પર જ કબજો રહ્યો છે.
ચિરાગ પટેલ બિઝનેસમેન છે
ચર્ચા એવી પણ છે કે, ગુજરાત કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. ચિરાગ અરવિંદ પટેલ વ્યવસાયે કોન્ટ્રાક્ટર છે. 43 વર્ષના ચિરાગ પટેલ 10મું પાસ છે. ચિરાગ પટેલ 2022માં ખંભાતથી 3711 મતથી જીત્યા હતા અને સામે ભાજપના મયુર રાવલને માત આપી હતી. ચિરાગ પટેલ વાસણાના સરપંચ પદે પણ હતા.
આ પણ વાંચો : લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, વધુ એક ધારાસભ્યએ આપ્યું રાજીનામું