ગૃહરાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ બિપરજોય વાવાઝોડાની આપત્તિ સમયે દ્વારકામાં લોકોની વચ્ચે રહીને એક શ્રેષ્ઠ ગૃહ રાજ્ય મંત્રી કેવા હોવા જોઇએ તેનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ છે.. આજે દ્વારકા જગત મંદિરમાં તેમણે ભગવાન દ્વારકાધીશની પૂજા-અર્ચના કરી હતી.મહત્વપૂર્ણ છે કે છેલ્લા ત્રણ દિવસથી દ્વારકા જગત મંદિર વાવાઝાડાને લઇ સાવચેતીના ભાગરૂપે ભક્તો માટે બંધ કરાયુ હતું. એટલું જ નહીં ઇતિહાસમાં પહેલી વખત દ્વારકા જગત મંદિરમાં સળંગ ત્રણ દિવસ ધજા ન ચઢી હોય તેવું બન્યું છે.
મહત્વપૂર્ણ છે કે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવી વાવાઝોડું લેન્ડફોલ કરવાનું હતું તે રાત્રે જ દ્વારકા પહોંચી ગયા હતા..અને વાવાઝોડા સામે લડવાની સમગ્ર તૈયારીઓનો તાગ મેળવ્યો હતો. ગૃહ રાજ્યમંત્રીએ આજે વહેલી સવારથી વાવાઝોડાના પગલે થયેલા નુકસાનની સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને અસરગ્રસ્તોને સહાય અને રિસ્ટોરેશનની કામગીરીનું નિરિક્ષણ કર્યુ હતું ગૃહ રાજ્યમંત્રીએ સૌપ્રથમ દ્વારકાધીશ મંદિરની મુલાકાત લઇ વાવાઝોડાના પરિણામે મંદિર પરિસરને કોઈ નુકસાન તો નથી થયુને તે અંગે ખાતરી કરી હતી. સમગ્ર દ્વારિકા નગરમાં ફરીને તેમણે માર્ગ અને મકાન, નગરપાલિકા અને NDRF દ્વારા રસ્તા પર પડી ગયેલા વીજ પોલ, ઝાડ દૂર કરવા સહિતની કરાઇ રહેલી કામગીરીનું જાત નિરીક્ષણ કરતા ફરજ પર ઉપસ્થિત કર્મીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
સમગ્ર વાવાઝોડાની કપરી પરિસ્થિતિમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવીએ દ્વારકાના લોકોની વચ્ચે રહીને તેમની સુરક્ષા અને સહાય સુનિશ્ચિત કરીને માત્ર દ્વારકાવાસીઓનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની પ્રજાનું દિલ જીતી લીધું છે.