લોકસભા ચૂંટણી 2024ને (Lok Sabha Election 2024) લઈને દેશમાં રાજકીય હલચલ હવે તેજ બની રહી છે. ત્યારે સત્તારૂઢ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ની આગેવાની કરનાર ભારતીય જનતા પાર્ટી (BJP) માં ચૂંટણી રણનીતિ અને રામ મંદિરમાં રાલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ત્યારે બીજી તરફ વિપક્ષી પાર્ટીઓના I.N.D.I. ગઠબંધનમાં પણ સીટોની વહેંચણી અને ચૂંટણી ચહેરોઓ અંગે મંથન કરવા માટે બેઠકો યોજાઈ રહી છે. આ વચ્ચે હવે એક ચર્ચાએ જોર પકડ્યું છે, જે મુજબ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને (Nitish Kumar) I.N.D.I. ગઠબંધનના સંયોજક બનાવવામાં આવી શકે છે.
નીતિશ કુમારને (Nitish Kumar) વિપક્ષી દળોને એકજૂટ કરવા અને કોંગ્રેસની સાથે એક મંચ પર લાવવાની ઝુંબેશના મુખ્ય સૂત્રધાર તરીકે જોવામાં આવે છે. ત્યારે હવે રાજનીતિમાં વર્ષોનો અનુભવ ધરાવતા અને બિહારના સીએમ નીતિશ કુમારને I.N.D.I. ગઠબંધનના સંયોજક બનાવવાની ચર્ચા સતત વધી રહી છે. જણાવી દઈએ કે, I.N.D.I. ગઠબંધનના શરૂઆતથી જ નીતિશ કુમારને એલાયન્સના સંયોજક અને વડાપ્રધાન બનાવવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. પરંતુ અત્યાર સુધી ગઠબંધનની ચાર બેઠકો હોવા છતાં આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. એક સંયોજકને બદલે, I.N.D.I. એલાયન્સે વિવિધ પક્ષોના નેતાઓ સાથે સંકલન સમિતિની રચના કરી.
આજે I.N.D.I. ગઠબંધનના મોટા નેતાઓની ઓનલાઇન બેઠક
જો કે, હવે વિપક્ષી ગઠબંધન નીતિશ કુમારને (Nitish Kumar) સંયોજક બનાવવા પર રાજી થઈ ગયું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, નીતિશ અને કોંગ્રેસ સહિત I.N.D.I. ગઠબંધનના મોટા નેતાઓ 3 જાન્યુઆરીએ એક એપ થકી ઓનલાઇન મીટિંગ કરશે. આ બેઠકમાં કોંગ્રેસ નીતિશ કુમારને કન્વીનર પદની ઓફર કરી શકે છે. જ્યારે બીજી તરફ આરજેડી (RJD) નેતાઓ પણ આ વાતથી ખુશ છે કારણે જો નીતિશ કુમારને ગઠબંધનના સંયોજક બનાવવામાં આવે તો રાજ્યના સીએમનો પદ તેમના નેતા તેજસ્વી યાદવને મળી શકે છે. સૂત્રો મુજબ, નીતિશના નામ પર કોંગ્રેસે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, આરજેડીના તેજસ્વી યાદવ, NCP નેતા શરદ પવાર અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે પણ વાત કરી છે. લેફ્ટ અને દક્ષિણ ભારતના નેતાઓ પણ નીતિશના નામ પર સહમત થયા છે. જો કે I.N.D.I. ગઠબંધનના સંયોજક અંગેનું રહસ્ય હાલ પણ યથાવત છે. લાગે છે કે I.N.D.I. ગઠબંધનના સંયોજક કોણ બનશે તેના માટે હજું થોડી રાહ જોવી પડશે.
આ પણ વાંચો – Delhi Liquor Policy : ED સમક્ષ આજે પણ હાજર નહીં થાય અરવિંદ કેજરીવાલ, AAP પાર્ટીએ કહ્યું- એજન્સીની તપાસ..!