કચ્છ જિલ્લામાં બિપોરજોય વાવાઝોડા બાદની પરિસ્થિતિ અંગે જાણકારી મેળવવા નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ભચાઉ સર્કિટ હાઉસ અને પ્રાંત કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. વાવાઝોડા બાદ કચ્છમાં નુકસાન, સરવેની કામગીરી, પાણી પુરવઠા અને વીજ રિસ્ટોરેશનની કામગીરી, ઘાસ વિતરણ, સહાયની ચૂકવણી વગેરે બાબતો વિશે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી. કચ્છ મોરબી સાસંદ વિનોદભાઈ ચાવડા, રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ પણ નાણાંમંત્રીને વર્તમાન પરિસ્થિતિથી અવગત કરાવ્યા હતા.
આ સમીક્ષા બેઠકમાં કચ્છ કલેક્ટર અમિત અરોરાએ પણ સ્થાનિક તંત્રની કામગીરીનો ચિતાર નાણાંમંત્રી સમક્ષ રજૂ કર્યો હતો. બેઠકમાં સ્થાનિક પદાધિકારીશ્રીઓ, ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુન્દ સૂર્યવંશી, મામલતદારશ્રી જે.એચ.પાણ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ વાવાઝોડા બાદની પરિસ્થિતિનો તાગ મેળવવા કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને સ્થાનિક તંત્ર સાથે બેઠક યોજશે. તેઓ 20 જૂનના રોજ સવારે 9.00 કલાકે ગાંધીધામ ખાતે બેઠકમાં હાજરી આપશે. ત્યારબાદ 10.00 કલાકે અંજાર ખાતે બેઠકમાં ઉપસ્થિત રહેશે. સવારે 11.00 કલાકે મુન્દ્રા જવા રવાના થશે અને મુન્દ્રાના વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. તેઓ બપોરે 12.45 કલાકે ભુજ ખાતે જિલ્લા વહીવટીતંત્ર સાથે બેઠક યોજીને વાવાઝોડા બાદની પરિસ્થિતિનો સમીક્ષા કરશે.
અહેવાલ : કૌશિક છાયા, ક્ચ્છ
આ પણ વાંચો : રથયાત્રા 2023 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથની પૂજા અર્ચના કરીને મહા આરતી ઉતારી