અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ
પંચમહાલથી ઉમરાહ માટે સાઉદી અરેબિયા ગયેલા 21 થી વધુ લોકો એજન્ટના પાપે ફસાયા છે. એજન્ટ દ્વારા ઉમરાહ માટે મોકલ્યા બાદ ત્યાં પહોંચેલા યાત્રાળુઓ રસ્તા પર આવી ગયા છે. સાઉદી અરેબિયા પહોંચ્યા બાદ હોટેલ બુકીંગથી જિયારત સહિતની સેવાઓ નહિ મળતા અને પરત વતન આવાનો કોઈ રસ્તો ન રહેતા ભૂખ્યા તરસ્યા 23 જેટલા યાત્રાળુઓ ફસાતા પરિવારજનો ચિંતામાં મુકાયા છે.
ખુલ્લા ગ્રાઉન્ડ માં 3 થી 4 દિવસ વિતાવવાનો વારો
ગોધરાના પશ્ચિમ વિસ્તારના અંદાજીત 23 જેટલા લોકોને સાઉદી અરેબિયાના મક્કા ખાતે પવિત્ર ઉમરાહ યાત્રા માટે ગોધરામાં આવેલ અલ હયાત નામની ટુર એજન્સી દ્વારા ગત 23 સપ્ટેમ્બર ના રોજ બોમ્બે એરપોર્ટ મોકલવામાં આવ્યા હતા.પરંતુ ત્યાં વિઝા સહિતના ડોક્યુમેન્ટમાં ક્વેરી આવતા બે થી ત્રણ દિવસ સુધી બોમ્બે એરપોર્ટ ખાતે અટવાવનો વારો આવ્યો હતો. જો કે બે ત્રણ દિવસ બાદ એજન્ટ દ્વારા કોઈપણ તરકીબ અજમાવી ને તમામ યાત્રાળુઓ ને સાઉદી અરેબિયા ના જીદ્દાહ ખાતે મોકલવા માં આવ્યા હતા. જો કે ત્યાં પહોંચ્યા બાદ પણ આ યાત્રાળુઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી હતી. આખરે એજન્ટ દ્વારા બતાવવામાં આવેલી હોટેલ પર પહોંચ્યા બાદ બીજે દિવસ સવારે આ તમામ યાત્રાળુઓને હોટેલ ના સંચાલકો દ્વારા બહાર કાઢી નાખવા માં આવ્યા હતાં. તમામ લોકો રસ્તા પર આવી જતા ભારે હાલકી વચ્ચે ખુલ્લા ગ્રાઉન્ડ માં 3 થી 4 દિવસ વિતાવવાનો વારો આવ્યો હતો.
એજન્ટ ફરાર
બીજી તરફ ગોધરા ખાતે આવેલા અલ હયાત ટુર્સ એન્ડ ટ્રાવેલના સંચાલકો ના ફોન પણ બંધ આવતા યાત્રાળુઓ નોંધારા બની ગયા હતાં. અજાણ્યા દેશમાં પોતાના પૈસા ખર્ચી જે પણ સગવડ મળે તે લઈ દીવસો પસાર કરી રહ્યા છે. જો કે બીજી તરફ ઉમરાહ માટે જનારા સંખ્યાબંધ લોકોના પૈસા અને પાસપોર્ટ લઈ ને એજન્ટ ફરાર થઈ ગયો છે .એક વ્યક્તિ દીઠ 70 થી 80 હજાર રૂપિયા ઉઘરાવી ઓફિસે તાળા મારી દેતા ગોધરા સહિત આસપાસ ના વિસ્તારના સંખ્યાબંધ લોકો છેતરાયા હોવા નો અહેસાસ થતા એજન્ટની ઓફિસે ધક્કા ખાઈ રહ્યા છે. મક્કામાં ફસાયેલા 23 થી વધારે લોકો પોતે પરત આવા ૃની તેમજ જેના પૈસા લઈ એજન્ટ ફરાર થઇ ગયો છે તે તમામ લોકો પૈસા પરત મેળવવા ની માંગ કરી રહ્યા છે.
સાંસદ રતનસિંહ રાઠોડ દ્વારા તમામ પરિવારોને આશ્વાસન
આ સમગ્ર મામલે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ દ્વારા તમામ પરિવારોને આશ્વાસન આપવા માં આવ્યું છે.અટવાયેલા લોકોને વતન પરત લાવવા માટે પોતે વિદેશ મંત્રાલયમાં વાત કરશે અને પરિવારને ન્યાય અપાવવા માટે પોતે તમામ પ્રયત્નો કરશે તેવુ આશ્વાસન આપ્યું હતું.
આ પણ વાંચો—સમગ્ર રાજ્યની હોસ્પિટલ્સમાં સુપર સ્પેશ્યાલિસ્ટ તબીબોની નિમણૂંક કરાશે