પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલી વધી ગઈ છે. તોશાખાના કેસમાં ઈમરાન ખાનને ડિસ્ટ્રીક્ટ સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યા છે. તેને આ મામલે ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. તેમજ ઈમરાન ખાન પર 5 વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઈમરાન ખાનની ધરપકડ કરીને પોલીસ ઈસ્લામાબાદ લઈ ગઈ. સજા જાહેર કર્યાં બાદ ઈસ્લામાબાદ પોલીસ ઈમરાન ખાનની લાહૌરથી ધરપકડ કરી લેવામાં આવી.
આરોપો સિદ્ધ થયા
ઈસ્લામાબાદના એડિશ્નલ જજ હુમાયૂં દિલાવરે ઈમરાન પર એક લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. કોર્ટે કહ્યું કે, દંડ નહી આપવા પર તેમને વધુ 6 માસની જેલની સજા ફટકારી છે. દિલાવરે પોતાના નિર્ણયમાં કહ્યું કે, પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ (PTI) ના અધ્યક્ષ વિરૂદ્ધ ખોટી સંપત્તિ જાહેર કરવાના આરોપ સિદ્ધ થયાં છે.
લાહૌરથી ધરપકડ
મીડિયા રિપોર્ટ અનુસાર ઈસ્લામાબાદ પોલીસે પંજાબ પોલીસની મદદથી ઈમરાન ખાનની તેમના લાહૌર સ્થિત નિવાસસ્થાનેથી ધરપકડ કરી લીધી છે. ઈમરાનના પરિવારે આ જાણકારી આપી છે. તેમની પાર્ટીએ જણાવ્યું કે, ઈમરાનને પંજાબના જ કોટ લખપત જેલમાં લઈ જવામાં આવ્યા છે. વડાપ્રધાન શહબાજ શરીફના વિશેષ સહાયક ઉતાઉલ્લાહ તરારે ઈમરાનની ધરપકડ કન્ફર્મ કરી છે. તેમણે કહ્યું, તે બાદમાં નક્કી કરવામાં આવશે કે તેમને રાવલપિંડીની અદિયાલા જેલમાં રાખવામાં આવશે કે ક્યાંય બીજે. બીજી તરફ એવી જાણકારી પણ સામે આવી રહી છે કે, PTI આ નિર્ણયની વિરૂદ્ધ હાઈકોર્ટમાં જવાની પણ તૈયારીમાં છે.
ધરપકડ પહેલા ઈમરાન ખાનને વીડિયો મેસેજ
ધરપકડ બાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનનો એક રેકોર્ડેડ વીડિયો મેસેજ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં તેણે જણાવ્યું હતું કે, તેની ધરપકડ થશે તેવી અપેક્ષા હતી. ધરપકડ પહેલા તેણે રેકોર્ડ કરેલા વીડિયોમાં ઈમરાન ખાને કહ્યું હતું કે, જ્યારે આ વીડિયો મેસેજ દરેક પીટીઆઈ કાર્યકર્તાઓ અને સમર્થકો સુધી પહોંચશે ત્યારે તેમની ધરપકડ કરી લેવામાં આવશે. મારી ધરપકડ અપેક્ષિત હતી અને મેં મારી ધરપકડ પહેલા આ મેસેજ રેકોર્ડ કર્યો હતો. આ લંડન યોજનાને પુર્ણ કરવાની દિશામાં વધુ એક પગલું છે પણ હું ઈચ્છું છું કે, મારી પાર્ટીના કાર્યકર્તા શાંતિપૂર્ણ, દ્રઢ અને મજબૂત રહે.
ચૂંટણીપંચની ફરિયાદ પર કેસ
ઉલ્લેખનીય છે કેસ તોશાખાના કેસ ગત વર્ષે પાકિસ્તાન ચૂંટણીપંચની ફરિયાદ પર દાખલ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન ચૂંટણીપંચે અગાઉ આ મામલે ખાનને અયોગ્ય ઠેરવ્યા હતા. પાકિસ્તાન ચૂંટણીપંચે ગત વર્ષે 21 ઓક્ટોબરના ઈમરાન ખાનને ખોટા નિવેદન અને ખોટી જાણકારી આપવાના આરોપસર જાહેર પદ સંભાળવા માટે અયોગ્ય ઠેરવી દેવાયા હતા.
શું છે તોશાખાના કેસ?
પાકિસ્તાનના કાયદા અનુસાર કોઈ વિદેશી રાજ્યના ગણમાન્ય વ્યક્તિઓ પાસેથી મળેલી કોઈ પણ ભેટ સ્ટેટ ડિપોઝિટરી એટલે કે તોશાખાનામાં રાખવામાં આવે છે. જો રાજ્યના કોઈ વડા ઉપહારને પોતાની પાસે રાખવા ઈચ્છતા હોય તો તે માટે તે ઉપહારની કિંમત ચૂકવવીને મેળવવું પડે છે. આ એક હરાજીની પ્રક્રિયા દ્વારા નક્કી કરવામાં આવે છે. આ ભેટો તોશાખાનામાં રાખી શકાય છે અથવા તો હરાજી કરવામાં આવે છે અને તેના માધ્યમથી આવેલી રકમ દેશની તિજોરીમાં જમા કરવામાં આવે છે.
પાકિસ્તાનની તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના પ્રમુખ ખાન પર વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન સ્ટેટ ડિપોઝિટરી એટલે કે તો શાખાનામાંથી ડિસ્કાઉન્ટ કિંમત પર એક મોંઘી ઘડિયાળ અને અન્ય ભેટ ખરીદી ફાયદા માટે તેને વેચવાનો આરોપ છે. ઈમરાન ખાને સત્તાવાર પ્રવાસ દરમિયાન લગભગ 14 કરોડ રૂપિયાના 58 ઉપહાર મળ્યા હતા. આ મોંઘી ભેટોમાં તોશાખાનામાં જમા કરવામાં આવી હતી બાદમાં ઈમરાન ખાને તેને તોશાખાનામાંથી સસ્તી કિંમતે ખરીદી અને મોંઘી કિંમતે વેચી દીધી. આ સમગ્ર પ્રક્રિયા માટે તેમણે સરકારી કાયદામાં પણ ફેરફાર કર્યાં.
મીડિયા રિપોર્ટ અનુસાર ઈમરાન ખાને 2.15 કરોડમાં આ ભેટોને તોશાખાનાથી ખરીદી અને તેને વેચીને 5.8 કરોડનો નફો કમાયો. આ ઉપહારમાં એક ગ્રાફ ઘડિયાળ, કફલિંકની એક જોડી, એક મોંઘી પેન, એક વિંટી અને ચાર રોલેક્સ ઘડિયાળ સામેલ હતી. વેચણની વિગતો નહી આપવાના કારણે ગત વર્ષે ઓક્ટોબરમાં પાકિસ્તાન ચૂંટણીપંચ દ્વારા અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : JUSTIN TRUDEAU : કેનેડિયન PM ટ્રુડો લગ્નના 18 વર્ષ બાદ પત્નીથી અલગ થશે, ઈન્સ્ટાગ્રામ પર લખી ઈમોશનલ પોસ્ટ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.