દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કેન્દ્ર સરકારના અધ્યાદેશને લઈને આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળ્યા હતા.આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન,દિલ્હી સરકારમાં કેબિનેટ મંત્રી આતિશી,સાંસદ સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢા પણ હાજર હતા.
બેઠક બાદ આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે જે રાજ્યમાં ભાજપની સરકાર નથી, તે રાજ્યમાં ભાજપ રાજ્યપાલ દ્વારા શાસન ચલાવે છે.. કેજરીવાલે દાવો કર્યો કે અમારી સરકારને કામ કરવા દેવામાં નથી આવતી. આવી સ્થિતિમાં આ અહંકારી કેન્દ્ર સરકારને દૂર કરવી જરૂરી છે. તેમણે વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકારે અમારી તમામ સત્તા છીનવી લીધી છે, બીજી તરફ આ લોકો સીબીઆઈનો દુરુપયોગ કરીને દેશભરની વિપક્ષી સરકારોને હેરાન કરવાનું કામ કરી રહ્યા છે.
મમતા બેનર્જીએ શું કહ્યું ?
બીજી તરફ TMC પ્રમુખ મમતા બેનર્જીએ કહ્યું કે તેમની પાર્ટી દિલ્હી સરકાર વિરુદ્ધ કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલા અધ્યાદેશનો વિરોધ કરશે. અમે તમામ પક્ષોને આ મુદ્દે સાથે આવવા અપીલ કરીએ છીએ. બેનર્જીએ કહ્યું કે તમામ પક્ષોએ રાજ્યસભામાં તેની વિરુદ્ધ મતદાન કરવું જોઈએ.
શું છે મામલો ?
કેન્દ્ર સરકારના એક અધ્યાદેશને લઈને વિવાદ થયો છે. આ અધ્યાદેશ દિલ્હીમાં અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગ સાથે સંબંધિત છે. તાજેતરના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે અધિકારીઓની બદલી અને પોસ્ટિંગનો અધિકાર દિલ્હી સરકારને આપ્યો હતો. પરંતુ સરકારે અધ્યાદેશ દ્વારા આ અધિકાર ફરી ઉપરાજ્યપાલને આપી દીધો છે.
શું છે અધ્યાદેશ ?
વાસ્તવમાં ટૂંકા ગાળા માટે બનેલો કાયદો છે. આ કાયદા માટે સરકારે તે સમયે સંસદની પરવાનગી લેવાની જરૂર નથી. જો કે આ કાયદાને બાદમાં સંસદની મંજૂરી લેવી પડશે. કેન્દ્રીય કેબિનેટની સલાહ પર રાષ્ટ્રપતિ કલમ 123 હેઠળ અધ્યાદેશ બહાર પાડી શકે છે. રાષ્ટ્રપતિની સહી બાદ અધ્યાદેશ કાયદો બની જાય છે.