અહેવાલઃ સાગર ઠાકર, જૂનાગઢ
જૂનાગઢમાં માતાજીનું એક અનોખું મંદિર છે જેની પરંપરા પણ અનોખી છે, આ મંદિર વર્ષમાં એક જ વખત નવરાત્રી દરમિયાન ભાવિકોના દર્શનાર્થે ખુલે છે, આસો નવરાત્રી દરમિયાન નવ દિવસ માટે જ ભાવિકો માટે ખુલતું પૂજ્ય મા હિરાગીરીજીનું ઐતિહાસિક શક્તિ સ્થળ મંદિર પ્રસિધ્ધ માંગનાથ મહાદેવ મંદિરમાં આવેલું છે. મા હિરાગીરી સિધ્ધ સાધ્વી હતા પોતાનું દૈવીકાર્ય પૂર્ણ થતાં તેમણે જીવતા જ સમાધી લીધી જે આજે પણ મોજુદ છે, નવરાત્રીના અખંડ દિવડા પ્રગટાવી પોતાની મનોકામના માટે લોકો અહીં પ્રાર્થના કરે છે. નવરાત્રીની આઠમના દિવસે મધ્યરાત્રીએ હવન બાદ મંદિરના દ્વાર ભાવિકોના દર્શન માટે બંધ થઈ જાય છે અને ફરી આવતા વર્ષે નવરાત્રીમાં ભાવિકો માતાજીના દર્શન કરી શકે છે.
જૂનાગઢમાં પૂજ્ય મા હિરાગીરીજી નામના એક સિધ્ધ સાધ્વી થઈ ગયા જેઓ એક સંન્યાસીની હતા, ઉત્તર ભારતમાંથી તેઓ જૂનાગઢ જીલ્લાના વિસાવદર તાલુકાના માંગનાથ પીપળી ગામે આવ્યા હતા. જ્યાં નેસડામાં રહીને તેઓ તપ, સાધના અને લોકોની સેવા કરતાં હતા. તે સમયે માંગાભટ્ટ કે જેઓએ મા હિરાગીરીજીને વિનંતી કરીને હાલનું પ્રસિધ્ધ માંગનાથ મહાદેવનું મંદિર સુપ્રત કર્યું ત્યારથી મા હિરાગીરીજી માંગનાથ મહાદેવ મંદિરમાં નિવાસ કરતાં હતા.
મા હિરાગીરીજી માતાજીનું પ્રત્યક્ષ સ્વરૂપ હતા, શક્તિ સ્વરૂપ માતાજીની અનેક સિદ્ધિઓથી લોકો પ્રભાવિત થઈ તેમના સાનિધ્યમાં એક દિવ્ય અનુભૂતિનો અહેસાસ કરતાં, પોતાનું દૈવી કાર્ય પૂર્ણ થતાં મા હિરાગીરીજીએ જીવતા સમાધિ લીધી હતી, જે આજે પણ માંગનાથ મહાદેવ મંદિરમાં તેમનું સમાધિ સ્થળ વિદ્યમાન છે. મા હિરાગીરીજીએ અનેક પરચાઓ પૂર્યા છે અને આજે મા હિરાગીરીજીનું આ ઐતિહાસિક શક્તિ સ્થળ લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. શક્તિ પર્વ એવી શારદીય નવરાત્રી દરમિયાન મા હિરાગીરીજીના શક્તિ સ્થળ પર કુંભ સ્થાપન અને 151 અખંડ જ્યોત પરંપરા મુજબ કરવામાં આવે છે. સમગ્ર નવરાત્રી દરમિયાન અનેક ભાવિક ભક્તો મા હિરાગીરીજીના શક્તિ સ્થળના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને દિવ્ય આધ્યાત્મિક ઉર્જા સમાન આ શક્તિ સ્થળે આવીને પોતાની મનોકામના પૂર્તિ માટે પ્રાર્થના કરે છે.
મધ્યરાત્રીએ જ હવન કરવાનું કારણ એ છે કે નવરાત્રીના નવ દિવસમાં રાત્રીનું એટલે કે સૂર્યાસ્ત પછીના સમયનું આધ્યાત્મિક મહત્વ છે અને એટલે જ તો આપણે રાત્રીના સમયે ગરબા રમીએ છીએ કે ગરબા ગાઈએ છીએ, આઠમું નોરતું હવનાષ્ટમી કહેવાય છે અને સમગ્ર નોરતાં દરમિયાન કરેલા અનુષ્ઠાનનું હવન આઠમા નોરતે કરવામાં આવે છે, આઠમા નોરતે સૂર્યાસ્ત પછી હવન શરૂ થાય છે જે વિધિ અંદાજે ચાર સાડા ચાર કલાક સુધી ચાલે છે અને મધ્યરાત્રી થતાં જ બીડુ હોમવામાં આવે છે, આમ મધ્યરાત્રીએ બીડુ હોમવા પાછળ આધ્યાત્મિક મહત્વ રહેલું છે જે શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર પરંપરાગત રીતે અહીં હવનાષ્ટમી ઉજવવામાં આવે છે.
નવરાત્રીની આઠમનો દિવસ એટલે હવનાષ્ટમી અને તમામ જગ્યાએ દિવસે હવન થાય છે પરંતુ આ જગ્યાએ આઠમની મધ્યરાત્રીએ હવન થાય છે અને હવન પૂર્ણ થયે આરતી બાદ પૂજ્ય હિરાગીરીજી માના મંદિરના દ્વાર દર્શન માટે બંધ થઈ જાય છે અને ફરી આસો સુદ એકમ એટલે કે નવરાત્રી શરૂ થતાંની સાથે ભાવિકો માટે મંદિરના દ્વાર ખોલવામાં આવે છે. આઠમની મધ્યરાત્રીએ હવન કરવામાં આવતો હોય તેવું જૂનાગઢમાં આ એકમાત્ર ધાર્મિક સ્થળ છે, હવનાષ્ટમી નીમીત્તે મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાનપૂર્વક હવન કરવામાં આવે છે અને બીડું હોમાયા બાદ માતાજીના શક્તિસ્થળ પર દર્શન માટે ભાવિકોની ભીડ જામે છે કારણ કે આ ક્ષણ વર્ષના અંતિમ દર્શન હોય છે, બાદમાં ફરી આસો નવરાત્રીમાં પ્રથમ નોરતાંથી ભાવિકો મા હિરાગીરીજીના શક્તિ સ્થળના દર્શન કરી શકે છે. આમ આ મંદિર વર્ષમાં એકજ વખત ભાવિકોના દર્શનાર્થે ખુલે છે અને જ્યાં આઠમા નોરતે મધ્યરાત્રીએ હવન કરવામાં આવે છે અને આ મંદિરની આ પ્રાચીન પરંપરા ચાલી આવે છે જે આજે પણ યથાવત છે.