Agriculture Events: જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં 19 મો પદવીદાન સમારોહ (Agriculture Events) યોજાયો હતો. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ વર્ચ્યુલ ઉપસ્થિત રહ્યા હતાં. કૃષિ યુનિવર્સિટીના કુલ 628 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં 64 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતાં. જ્યારે વિવિધ ફેકલ્ટીઓમાં કુલ 64 ગોલ્ડ મેડલ, ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ અને એક રોકડ પુરસ્કાર એનાયત ક૨વામાં આવ્યા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કૃષિ યુનિવર્સિટીના છાત્રો સાથે કૃષિની સાંપ્રત સ્થિતિ અને પડકારો અંગે સંવાદ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં કૃષિ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે, તેના પર ચિંતનની આવશ્યકતા છે. ગ્લોબલ વૉર્મિંગ આજે વિશ્વનો સૌથી મોટો પડકાર છે. આ પરિસ્થિતિ આપણે મનુષ્યોએ જ ઊભી કરી છે, મનુષ્ય સિવાય કોઈપણ જીવસૃષ્ટિ પ્રકૃતિને આટલી હાનિ નથી પહોંચાડી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું નિવેદન
ગ્લોબલ વૉર્મિંગ વધવા પાછળ રાસાયણિક ખેતી 24 ટકા જવાબદાર છે. ઉપરાંત જૈવિક ખેતીના કારણે પણ વાતાવરણમાં મિથેન ગેસ વધવાથી ગ્લોબલ વોર્મિંગ વધે છે. તે ઉપરાંત રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓના અતિરેક ઉપયોગથી ખેતીની જમીન બિનઉપજાઉ બની ગઈ છ. આ તમામ સમસ્યાનું નિદાન પ્રાકૃતિક ખેતીમાં છે. પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત અને ઘનજીવામૃત ધરતીમાં જીવાણું, અળસીયા તેમજ કિટકની વૃદ્ધિ કરે છે. પ્રાકૃતિક ખેતીમાં પાણી પણ ઓછું વપરાય છે તેમજ જમીનનું ઓર્ગેનિક કાર્બન સતત વધે છે. ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપે છે અને રાજ્યમાં 9 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન
રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે અતિથિ વિશેષ તરીકે વર્ચ્યુઅલી હાજરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય કૃષિ ક્ષેત્રે દેશમાં મોખરે છે. આ કાર્યક્મમાં યુનિવર્સિટીના કુલપતિ ડૉ. વી. પી. ચોવટીયા એ યુનિવર્સિટીની કામગીરીનો પરિચય આપ્યો હતો. તેની સાથે કુલસચિવ ડૉ. પી. એમ. ચૌહાણે આભારવિધિ કરી હતી.
આ પણ વાંચો: Crime branch: અમદાવાદમાં કુખ્યાત ચોર 8 વર્ષે ઝડપાયો