અમદાવાદમાં આવતીકાલે રથયાત્રા યોજાશે. આજે ભગવાન જગન્નાથજીના સોનાવેશના દર્શન થશે. તેમજ ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ અને પૂજન કરાશે. તથા ગજરાજોનું પણ આજે પૂજન થશે. સાથે જ BCCIના જનરલ સેક્રેટરી જય શાહ ઉપસ્થિત રહેશે. તથા બપોરે કોંગ્રેસ કમિટી જગન્નાથ મંદિર જશે.
15 હજારથી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં તહેનાત
અમદાવાદની 146મી રથયાત્રાને લઇને પ્રશાસન સજ્જ છે. ભગવાનની રથયાત્રા પહેલા પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતુ. પોલીસે યાત્રાના 22 કિલોમીટર સુધીના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. ભગવાન જગન્નાથજીની યાત્રામાં ભક્તોનું ધ્યાન રાખવા 25 વોચ ટાવર પર પોલીસ તહેનાત રહેશે. રથયાત્રાના રુટ સહિતના વિસ્તારોમાં ડ્રોન, થ્રિડી મેપિંગ, CCTV કેમેરા અને એન્ટી ડ્રોન ગન સાથે પોલીસ ખડેપગે રહેશે અને 15 હજારથી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં તહેનાત રહેશે. રથયાત્રા દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ન બને માટે સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે.
ભગવાનની રથયાત્રાને આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે ભગવાનના મોસાળ સરસપુરમાં પણ તેમના લાડલા ત્રણેય ભાણેજને આવકારવા માટે મંદિર સંચાલકો દ્વારા તૈયારીઓેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પોલીસ વિભાગ પણ રથયાત્રાને લઈને તમામ તૈયારીઓ સાથે સજ્જ છે. સરસપુરમાં ભગવાનના ભક્તોને આવકારવા માટે વિવિધ પોળમાં, ભાવિક ભક્તોને ભોજન આપવા અને પ્રસાદ બનાવવા માટે દર વખતેની જેમ આ વખતે પણ રસોડા ધમધમતા થયા છે.
અષાઢી બીજના દિવસે નાથની રંગેચંગે રથયાત્રા નીકળશે
અષાઢી બીજના દિવસે નાથની રંગેચંગે રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ યોજાઈ. મામાના ઘરેથી નિજ મંદિરમાં પરત ફર્યા બાદ બહેન સુભદ્રા અને ભાઇ બલરામની આંખો પર પાટા બાંધવામાં આવ્યા હતા. નેત્રોત્સવ બાદ ધ્વજારોહણ વિધિ કરવામાં આવી હતી. બીજી તરફ સાધુ સંતો માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જયાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાને નીતિન પટેલે સાધુ-સંતોને વસ્ત્રદાન અર્પણ કર્યું હતુ. રથયાત્રાને લઈ જગન્નાથ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
27 રસ્તાઓને અપાયું ડાયવર્ઝન
માહિતી પ્રમાણે, આગામી 20મી જૂને નીકળનારી રથયાત્રાના રૂટમાં આવતા 27 જેટલા રસ્તાંઓને પોલીસ દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે. આ પછી હવે શહેરના વાહનચાલકોને આના વૈકલ્પિક રસ્તાઓને ઉપયોગ કરવો પડશે. વાહન પાર્કિગ કરવા માટે પણ કેટલાક ખાસ સ્થળોને નક્કી કરવામાં આવ્યા છે, એટલુ જ નહીં ઇમરજન્સી કિસ્સાઓમાં વાહનો પસાર થઇ શકે એ માટે ટ્રાફિક પોલીસ દ્વારા ચોક્કસ રૂટ પર ખાસ આયોજન પણ કર્યુ છે. પોલીસના જણાવ્યા અનુસાર, રથયાત્રાના રૂટ ઉપરાંત અન્ય રસ્તાઓ પર રથયાત્રા પસાર થયા બાદ જ્યારે સ્થિતિની અનુકુળ થશે તે મુજબ આ રૂટને ફરીથી પૂર્વવત શરૂ કરવામાં આવશે.
રથયાત્રા નિમિતે અમદાવાદમાં આ માર્ગો રહેશે બંધ
આગામી 20મી જૂની નીકળનારી રથયાત્રાના દિવસે શહેરના ખમાસા ચાર રસ્તા, જમાલપુર ચાર રસ્તા, જમાલપુર ફુલ બજારનો રસ્તો રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ રહશે, તેમજ રાયખડ ચાર રસ્તા અને આસ્ટોડિયા દરવાજાનો રસ્તો પણ બંધ રહેશે. આસ્ટોડિયા ચકલા, કાલુપુર સર્કલનો રસ્તો સાંજે ૪.૩૦ કલાક સુધી બંધ રહેશે અને આ રીતે સાળંગપુર સર્કલ, કાલુપુર સર્કલ, કાલુપુર બ્રિજ, સરસપુર, કાલુપુર સર્કલ, પ્રેમ દરવાજા, દરિયાપુર દરવાજા, દિલ્હી ચકલાનો રસ્તો સવારે ૯ કલાકથી બંધ રહેશે અને સાંજે ચાર વાગ્યા બાદ આ રસ્તા ખોલવામાં આવશે. આ ઉપરાંત દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, આર.સી. હાઇસ્કૂલ, ઘી કાંટા ચાર રસ્તા, પાનકોર નાકા, માણેકચોક, ગોળલીમડા સાંજે ૫.૩૦ કલાકથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ રહેશે. મહત્વનું છે કે, રથયાત્રાના દિવસે અન્ય વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. જેમાં રાયખડ ચાર રસ્તાથી વિકટૉરિયા ગાર્ડનથી રિવરફ્રન્ટ ફુલબજારથી જમાલપુર બ્રિજથી ગીતા મંદિરનો રસ્તો ઉપયોગ કરવાનો રહેશે. જ્યારે ગાયકવાડ હવેલી જવા માટે રાયખડ ચાર રસ્તાથી જમાલપુર થઇ ગાયકવાડ હવેલી જઇ શકાશે.