અહેવાલઃ કલ્પીન ત્રિવેદી, અમદાવાદ
અમદાવાદ શહેરમાં રખડતા ઢોરના ત્રાસને ડામવા માટે રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આજે ખૂબ મહત્વપૂર્ણ એક્શન પ્લાન રજૂ કર્યો છે. રાજ્ય સરકારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મહત્વના છ નિર્દેશ આપ્યા છે. મહત્વનું છે કે શહેરી વિકાસ વિભાગે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં આ વિગતો સામે આવી છે. રાજ્ય સરકારે આપેલા નિર્દેશમાં જાહેર માર્ગો ઉપર ઘાસચારો વેચવા પર પ્રતિબંધની વાત કરાઇ છે.. સાથે જ રખડતા ઢોરને પકડીને ગૌશાળા કે પાંજરાપોળમાં મોકલી આપવા નિર્દેશ કરાયા છે ઉપરાંત ઢોરને લાવવા લઈ જવા માટે પૂરતા માણસો અને વાહનોની વ્યવસ્થા કરવા પણ નિર્દેશ આપવામાં આવ્યો છે આ સમગ્ર મુદ્દે કોર્પોરેશનના બે અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે
રાજ્ય સરકારનો શું છે ટૂંકા ગાળાનો એક્શન પ્લાન તેના પર નજર કરીએ તો
– ઢોર પકડવાની કામગીરી રોજિંદી ચાલુ રહેશે
– તમામ કોર્પોરેશન અને નગરપાલિકા વિસ્તારમાં પ્રાણીઓના આર એફ આઇડી ટેગ લાગશે
– તમામ નગરપાલિકાની કોર્પોરેશન વિસ્તારમાં ઢોરવાડા ઉભા કરવામાં આવશે
– ઢોરવાડાઓની સફાઈ અને હાઈજિન પ્રત્યે પૂરતી તકેદારીઓ અપાશે
– ઢોરવાડમાં રાખવામાં આવેલા ઢોરોને કોઈપણ બીમારી અથવા રોગ ન થાય તેની તકેદારી
રખાશે
– જે ઢોર માલિક પાસે પોતાના ઢોરને સાચવાની પૂરતી સુવિધા નહીં હોય, સ્થાનિક કોર્પોરેશન કે નગરપાલિકા વિનામૂલ્યે આવા ઢોરનું નિર્વાહન કરશે
– નગરપાલિકાઓમાં રખડતા ઢોરના ત્રાસને ડામવા માટે ચાલુ વર્ષે 10 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે
– વર્ષ 20023-24 માટે 30 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે
– મહાનગરપાલિકાઓના હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયા છે
– ઢોર નિયંત્રણ નીતિની ચુસ્ત અમલવારી કરવાની હાઈકોર્ટને રાજ્ય સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી છે
– અત્યાર સુધીમાં 1,40,155 રખડતાં ઢોરને પકડવામાં આવ્યાની વિગતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે
– રખડતા ઢોર મુકનારની સામે ભારતીય દંડ સંહિતાની જુદી જુદી કલમો અંતર્ગત કરવામાં આવશે કાર્યવાહી
– ભારતીય દંડ સંહિતાની કલમ 332,338,188,189 હેઠળ ગુનો નોંધાશે
-વારંવાર ઢોરને રખડતા મૂકનાર પશુ માલિક અને માથાભારે તત્વો સામે પાસા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે
– રખડતા ઢોરને પકડવાની કામગીરી કરનાર CNCD વિભાગને પૂરતું પોલીસ રક્ષણ આપવામાં આવશે
ત્યાર હાલ આ સમગ્ર મુદ્દે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રાજ્ય સરકાર ટૂંકા ગાળાનો એક્શન પ્લાન તો રજૂ કર્યો છે પરંતુ જોવું એ રહ્યું કે રાજ્ય સરકારનાં તેમજ હાઇકોર્ટના નિર્દેશનું અમદાવાદ મહાનગર પાલિકા કેટલું પાલન કરે છે