અહેવાલઃ રાબિયા સાલેહ, સુરત
સુરત શહેરના મોરા ભાગળ વિસ્તારમાં લોકોની સુરક્ષા માટે ફાયર સ્ટેશન આગળ લાકડાના બાંબુ મૂકવામાં આવ્યા છે, શહેરભરમાં જર્જરિત ઇમારતોને નોટિસ ફટકારતી ખુદ સૂરત મહાનગરપાલિકાના ફાયર વિભાગની ઇમારત જ જર્જરિત જોવા મળી રહી છે,બિલ્ડિંગમાં કેટલીક જગ્યાએ સળિયા દેખાતા ગમે તે ઘડીએ મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતી ઉભી થઇ છે. જર્જરિત ફાયર સ્ટેશનમાં નોકરી કરવા અને પોતાના જીવને જોખમમાં નાખી જર્જરિત ઈમારતમાં ફરજ પર બેસવા મોરા ભાગળ ફાયર વિભાગના કર્મચારીઓ મજબુર બન્યા છે. વધુ પડતા વરસાદના સંજોગોમાં બિલ્ડીંગ ધરાશાયી થવાનું જોખમ ફાયર વિભાગના કર્મચારીઓ પર તોળાઇ રહ્યું છે.
એક બાજુ મોરા ભાગળ ફાયર સ્ટેશન કોઈ દુર્ઘટનાની રાહે બેઠું હોય તેવી સ્થિતિ છે તો બીજી બાજુ જહાંગીરપુરા ઈસ્કોન મંદિર ખાતે નિર્માણાધીન ફાયર સ્ટેશનની કામગીરી મંથરગતિ એ ચાલી રહી છે, ફાયર વિભાગના કર્મચારીઓ આ જર્જરીત ફાયર સ્ટેશનમાં ક્યાં સુધી ફરજ બજાવશે તેનાથી તેઓ હજી અજાણ છે. જો કે ફાયર ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા હાલમાં જ આ જર્જરિત ફાયર સ્ટેશન બિલ્ડીંગની વિઝીટ કરી તેની પરિસ્થિતિ કેટલી હદે દયનીય છે તેનો ચિતાર મેળવવામાં આવ્યો હતો..
ફાયર સ્ટેશન વધુ પડતી ખરાબ હાલતમાં આવી ગયું હોય એમ ફાયર બિલ્ડીંગના પોપોડા પડતા ફાયર તંત્રના જવાનોના જીવ જોખમમાં મુકાયા છે .એટલુજ નહિ એ વિસ્તાર માથી પ્રસાર થતાં વાહન ચાલકો ની સુરક્ષા ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. બિલ્ડીંગમાં તીરાડો પડતા અહીં સ્ટાફ ક્વાર્ટસમાં વસવાટ કરતાં ફાય વિભાગના પરિવારોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે.ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતાં અધિકારીઓ સહિત ૫૦ કર્મચારીઓનો સ્ટાફ રાત દિવસ ખડે પગે આ જર્જરીત ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવે છે, પાલિકાના સૂત્રોનું માનીએ તો છેલ્લા ચાર મહિનાથી જીવના જોખમે અહીં ફાયરના જવાનો કામ કરી રહયા છે. કર્મચારીઓ અને અધિકારીઓમાં હવે છુપો રોષ પણ જોવા મળી રહ્યો છે.પરંતુ બીજી તરફ જહાંગીરપુરા ખાતે નવા ફાયર સ્ટેશનની કામગીરી પણ ચોમાસાની સિઝનને ધ્યાને રાખીને ધીમી પડી છે.
ચોમાસુ માથે આવતા જ પાલિકા દ્વારા જર્જરિત ઈમારતોમાં વસવાટ કરતાં નાગરિકોના જાન માલની સુરક્ષા અને સલામતી ને ધ્યાને રાખી નોટિસો આપવામાં આવે છે. લોકોના જાન-માલની સુરક્ષા કરતાં ફાયર વિભાગના જવાનો ખુદ જર્જરિત ઈમારતમાં ફરજ બજવવા મજબૂર બન્યા છે. શહેરભરમાં સુરક્ષા અને સલામતીના દાવા કરતી પાલિકાએ પોતાનો જ ફાયર વિભાગ ભગવાન ભરોસે મૂકી દીધો હોય તેમ જણાય છે….