Home » પીડિતોની વેદનાનું વિધ્ન દૂર કરનારા અંગદાતા પરિવારજનોનું કરાયુ બહુમાન
પીડિતોની વેદનાનું વિધ્ન દૂર કરનારા અંગદાતા પરિવારજનોનું કરાયુ બહુમાન
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
76
અમદાવાદ સિવિલ મેડિસિટીમા કિડની ઇન્સ્ટિટયૂટના સ્થાપક ડૉ.એચ.એલ.ત્રિવેદીની 90મી જન્મતિથિના પવિત્ર અવસરે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલના હસ્તે 102 અંગદાતા પરિવારજનોનું ઋણ અદા કરવા બહુમાન કરવામાં આવ્યું હતું. સ્ટેટ ઓર્ગન ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (SOTTO) દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના વિવિધ સ્થળોએથી આવેલા અંગદાતા પરિવારજનોની સમાજ પ્રત્યેની સેવા ભાવનાઓને બિરદાવવા માટે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ (Rishikeshbhai Patel) અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ (C.R.Patil) સહિતના મહાનુભાવો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે અંગદાનથી નવજીવન આપનારા તમામ અંગદાતા પરિવારજનો પ્રત્યે ઋણ અદા કરીને તમામની સેવાભાવનાને બિરદાવી હતી. તેમણે આ પ્રસંગે રાજ્ય સરકાર ઝોન પ્રમાણે રાજ્યમાં પ્રત્યારોપણ કેન્દ્રો કાર્યરત કરવાની દિશામાં પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વમાં ગુજરાતને આ વર્ષે 5 નવીન મેડિકલ કોલેજની મંજૂરી મળી હોવાનું જણાવી ગુજરાતમાં ડૉક્ટરર્સની સંખ્યામાં મોટા પ્રમાણમાં વધારો થવાનો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાત સરકાર દ્વારા આયુષ્માન કાર્ડ, મુખ્યમંત્રી રાહત નિધિ, પ્રધાનમંત્રી રાહત નિધિ, સ્કુલ હેલ્થ પ્રોગ્રામ જેવી વિવિધ યોજનાકીય સહાય અંતર્ગત વિના મૂલ્ય પ્રત્યારોપણ ઉપલબ્ધ કરાવવામાં આવતું હોવાનું કહ્યું હતું. તેમણે સમર્પણ ભાવથી અંગદાન ક્ષેત્રે કાર્યરત તબીબો, નર્સિંગ સ્ટાફ, કાઉન્સેલર્સ સહિતના પેરા મેડિકલ કર્મીઓની નિષ્ઠાને બિરદાવી હતી. સાંસદ અને પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલે (C.R.Patil) ગુજરાત રાજ્ય અંગદાન ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રિમ ભૂમિકા ભજવી રહ્યું હોવાનું જણાવીને SOTTOની ટીમ દ્વારા અંગદાન અને પ્રત્યારોપણની કરવામા આવી રહેલી કામગીરીની સરાહના કરી હતી.
આ પ્રસંગે તેમણે અંગદાનની પ્રવૃત્તિના પ્રણેતા દિલીપ દેશમુખની સંધર્ષગાથા લોકો સમક્ષ રજુ કરી હતી. ઋણ સ્વીકાર કાર્યક્રમમાં કિડની ઇન્સ્ટિટયૂટના સ્થાપક સ્વ. શ્રી ડૉ. એચ.એલ. ત્રિવેદીના ધર્મપત્ની દ્વારા રૂ. 90 હજારનું દાન આપવામાં આવ્યું હતું.
કિડની ઇન્સ્ટીટ્યુટમાં 14 વર્ષમાં 5000થી વધુ મલ્ટીઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા. ગુજરાતમાં વર્ષ 2019થી ઓગસ્ટ 2022 સુધીમાં 280 અંગદાતાઓનુ અંગદાન મળ્યું. વર્ષ 2008 થી 2021 સુધીમાં કિડની ઇન્સટીટ્યુટ દ્વારા 466 લીવર, 12 સ્વાદુપિંડ, 4502 જેટલા રીનલ ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્ણ કરવામાં આવ્યા છે.
અંગદાન કરનાર પરિવારોના સ્વજનના સન્માન કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ભાવુક થયા હતા. તેમણે કહ્યું કે, અત્યાર સુધી 62 અંગદાન થયા, હાલમાં લીવર ટ્રાન્સપ્લાન્ટની સુવિધા અમદાવાદ અને સુરતમાં ઉપલબ્ધ બની છે અને પૈસાને કારણે કોઈનું કામ ક્યારેય અટક્યું નથી. તેમણે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ યાદ કર્યા હતા અને તેમને કહ્યું કે, મોદી સાહેબ મુખ્યપ્રધાન હતા તે સમયથી હેલ્થ પ્રવૃત્તિઓ સરળ બની છે. હાર્ટનું વેઈટિંગ લીસ્ટ ગુજરાતમાં પૂરું થઈ ગયું છે. ગુજરાત રાજ્ય એવું છે કે જેમાં ગમે ત્યારે અન્યોની મદદ માટે લોકો હંમેશા તૈયાર હોય છે.
તેમને કટાક્ષ કરતાં કહ્યું કે, દિલ્હીમાં ચર્ચા થાય છે કે ગુજરાતનો આટલો વિકાસ કેમ છે ત્યારે હું કહુ છું કે, ગૂજરાતના લોકો હાથ લાંબો આપવા માટે હંમેશા તૈયાર હોય છે લેવા માટે નહિ. વધુમાં તેમણે અંગદાનને લઈને લોકો વધુમાં વધુ આગળ આવે તેવી અપીલ કરી ઉપરાંત તેમણે સંસ્થાને ગમે ત્યારે કોઈ મદદની જરૂર હોય તો અમે હાજર છીએ તેવી સહાનુભૂતિ પણ આપી હતી.
આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઈ પટેલે શ્રી સી.આર. પાટીલની લાગણીઓને માન આપતા કહ્યું હતું કે, આ કાર્યક્રમમાં પાટીલ સાહેબે પોતાની લાગણી દર્શાવી છે સંસ્થાને મદદ માટે સહકારની ભાવના દર્શાવી તે બદલ આભાર વ્યક્ત કરું છું. સિવિલમાં કામ કરતા તમામ તબીબો જેઓ ખાનગી પ્રેક્ટિસ કરી ઘણું કમાઈ શકતા પરંતુ અહી સેવા આપી રહ્યા છે તેમને બિરદાવું છું. બ્રેઇન ડેડ થાય અને અંગદાન કરાવવું, તેમના પરિવાર જનો ને તે માટે તૈયાર કરવા તે પણ મોટું કામ છે. તે કામ સંસ્થા કરી રહી છે તે પ્રશંસનીય છે અને પરિવારજનો જે તેમના મૃતક સગાના અંગદાન કરવા તૈયાર થાય તેમને અભિનંદન આપુ છું . ઋષિકેશભાઇ પટેલે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન મોદી સાહેબનું સ્વપ્ન હતું કે ડાયલીસિસ માટે ગુજરાતનું કોઈ દર્દી હેરાન ન થવું જોઈએ.
આજે ગુજરાતમાં 82 ડયલીસિસ સેન્ટર શરૂ છે અને આગામી આખા ગુજરાતમાં દર્દીને તેના ગામ અને શહેરમાં જ તેને ફ્રીમાં ડાયાલીસિસની સુવિધા મળતી થઈ જશે. સરકાર તે દિશામાં કામ કરી રહી છે. સિનિયર સિટિઝન્સને તેમના ઘરે આરોગ્યની સુવિધાઓ મળી રહે તે દિશામાં સરકાર કામ કરવા જઈ રહી છે. આરોગ્યના નામે અગાઉ મતબેંક ઊભી કરવાની રાજનીતિ ચાલતી હતી તે ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય કરી નથી. વધુમાં વધુ લોકોને મદદ કઈ રીતે કરી શકાય તે દિશા મા અમારી સરકાર પાર્ટી કામ કરતી રહી છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject