Home » ગુજરાતમાં પ્રથમ વખત નાના આંતરડાનું કરાયું અંગદાન, સમગ્ર દેશમાં આ અત્યાર સુધીનો 14મો કિસ્સો
ગુજરાતમાં પ્રથમ વખત નાના આંતરડાનું કરાયું અંગદાન, સમગ્ર દેશમાં આ અત્યાર સુધીનો 14મો કિસ્સો
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
109
માનવ શરીરના સૌથી લાંબા અંગ એવાં નાના આંતરડાનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે દાન મળ્યું છે. ગુજરાતમાં નાના આંતરડાનું દાન મળ્યું હોવાનો આ પ્રથમ કિસ્સો છે. જેને મુંબઇની ખાનગી હોસ્પિટલમાં દાખલ 54 વર્ષના દર્દીમાં સફળતાપૂર્ણ પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં નાના આંતરડાના દાન મળીને પ્રત્યારોપણ થયાના માત્ર 14 કેસ જ નોંધાયા છે.
24 મી જુલાઇના રોજ બ્રેઇનડેડ જાહેર
ગાંધીનગરના દહેગામમાં રહેતા 25 વર્ષીય રાજુભાઇ બજાણીયાને માર્ગ અકસ્માત નડતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. જેથી સધન સારવાર અર્થે 22 જુલાઇના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા. 25 વર્ષના યુવક રાજુભાઇને સારવારના અંતે તબીબો દ્વારા 24 મી જુલાઇના રોજ બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. આવા સમયે પરિવારજનોએ અંગદાનનો હ્યદયસ્પર્શી નિર્ણય કરતા સિવિલ હોસ્પિટલના તબીબોએ અંગોના રી- ટ્રાઇવલના પ્રયત્નો હાથ ધર્યા. રાજુભાઇ બજાણીયા યુવાન અને સ્વસ્થ હોવાથી અંગદાનમાં મહત્તમ અંગોના દાન મળવાની શક્યતા હતી. પરંતુ અંગદાનના જરૂરી માપદંડોમાં બંધબેસતા સમગ્ર રીટ્રાઇલની પ્રક્રિયાના અંતે બે કિડની અને ગુજરાતના અંગદાનના ઇતિહાસમાં પ્રથમ વખત એમ નાના આંતરડાનું દાન મળ્યું.
દર્દીના આંતરડાની સાઇઝ મેચ થઇ
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડ્ન્ટ ડૉ. રાકેશ જોષીનું કહેવું છે કે, નાના આંતરડાનું દાન મેળવવું અત્યંત જટિલ પ્રક્રિયા છે. મોટાભાગે યુવાન બ્રેઇનડેડ દર્દીના અંગદાનમાં જ નાના આંતરડાનું દાન મેળવવું શક્ય બને છે. આ અગાઉ પણ 2 થી 3 દર્દીઓમાં નાના આંતરડાનું દાન મેળવવાની મહેનત હાથ ધરી હતી પરંતુ તેમાં સફળતા મળી ન હતી. રાજુભાઇ સ્વસ્થ હોવાથી તેમનું આંતરડુ તમામ માપદંડોમાં બંધબેસતુ હતું. વધુમાં જે દર્દીમાં આ આંતરડાનું પ્રત્યારોપણ કરવાનું હતુ તે દર્દીના આંતરડાની સાઇઝ સાથે રાજુભાઇના અંગદાનમાં મળેલા આંતરડાની સાઇઝ બંધબેસતા આખરે નાના આંતરડાના દાન મેળવવામાં સફળતા મળી છે.
બ્રેઇનડેડ વ્યક્તિના શરીરમાંથી રીટ્રાઇવ કરવું અત્યંત પડકારજનક
સિવિલ હોસ્પિટલના તબીબોએ ફરી વખત પોતાની કુશળતાનો પરચો બતાવીને અત્યંત જટીલપ્રકારની રીટ્રાઇવલ સર્જરી હાથ ધરીને અન્ય એક વ્યક્તિને નવજીવન આપ્યું છે. સિવિલ હોસ્પિટના ડૉ. નિલેશ કાછડીયા સમગ્ર વિગતો આપતા કહ્યું કે કે, 600 થી 700 સે.મી.ની લંબાઇ ઘરાવતા નાના આંતરડાને બ્રેઇનડેડ વ્યક્તિના શરીરમાંથી રીટ્રાઇવ કરવું અત્યંત પડકારજક હોય છે. જેમાં સિવિલ હોસ્પિટલના તબીબોને સફળતા મળી છે. ખોરાકના ચયાપચનની ક્રિયાની શરૂઆત જ નાના આંતરડાથી થાય છે. જેના માધ્યમથી જરૂરી પોષક તત્વો લીવર સુધી પહોંચતા હોય છે. જેના પરથી સમજી શકાય કે નાના આંતરડાની તકલીફના પરીણામે ચયાપચનની પ્રક્રિયા દર્દી માટે મુશ્કેલ બની જાય છે.
નાના આંતરડાને પ્રત્યારોપણ કરવાની જરૂર ક્યારે પડે છે ?
શરીરના તમામ અંગોમાંથી સૌથી લાંબુ અને મહત્વનું અંગ એટલે નાનું આંતરડું છે. શરીરમાં 95 ટકા પોષક તત્વોને પચાવવાનું કામ નાનું આંતરડું કરે છે. ઘણી વખત લોહીના ગઠ્ઠા પડી જવા એટલે કે થ્રોમ્બોસીસ થઇ જવાથી જેવા કારણોથી આંતરડાની ધોરી નસોમાં બ્લોક થઇ જાય છે અથવા તો ઇજાના કારણે તે તૂટી જાય છે. ઘણી વખત આંતરડામાં વળ ચળી જાય અને આંતરડું કાળું પડી જાય. આ બધા કારણોસર આંતરડાની લંબાઇ 25 સે.મી. થી ઓછી થઇ જાય છે. તેવી પરિસ્થિતિમાં વ્યક્તિની ચયાપચયની ક્રિયા મુશ્કેલ બની જાય છે. આવી પરિસ્થિતિમાં નાના આંતરડાનું પ્રત્યારોપણ જ એક માત્ર વિકલ્પ રહે છે. અન્ય વિકલ્પમાં ધોરી નસથી દર્દીને ખોરાક આપવાની જરૂર ઉભી થાય છે. જે નિયમિત પણે અત્યંત મુશ્કેલ અને ખર્ચાળ છે.
નાના આંતરડાનું દાન ક્યારે મળી શકે ?
આ અંગના ડોનર અને અંગ લેનાર વ્યક્તિના આંતરડાની સાઇઝ મેચ થતી હોય તે જરુરી છે. આંતરડુ્ સ્વસ્થ હોય. વધારે સોજા કે ચરબીવાળુ્ ન હોય તો જ આંતરડાનું પ્રત્યારોપણ શક્ય બને છે. નાના આંતરડાની પ્રત્યારોપણની જરૂરિયાત ધરાવતા દર્દીને શક્ય એટલું જલ્દી આંતરડું મળે ત્યારે જ તેનું જીવન બચાવવું શક્ય છે. જે કારણોસર જ સમગ્ર દેશમાં આ અત્યાર સુધીનો 14 મો કિસ્સો છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject