VADODARA : વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા તળાવમાં અસંખ્યા માછલીઓ મૃત્યુ પામતા માથુ ફાટી જાય તેવી દુર્ગંધ આવી રહી છે. જેને લઇને સ્થાનિકોનું જીવવું મુશ્કેલ બન્યું છે. આ અંગે પાલિકા તંત્રને જાણ કરવામાં આવ્યા બાદ પણ કોઇ કાર્યવાહી હાથ ધરવામાં નહિ આવતા આજે સ્થાનિકોએ મીડિયા સમક્ષ પોતાની મુશ્કેલી મુકી હતી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, દુર્ગંધને કારણે બિમારી ફેલાય તેવું વાતાવરણ સર્જાયું છે. તંત્ર તળાવ સાફ કરીને મૃત માછલીઓ દુર કરે તેવી માંગ તેમણે મુકી છે.
તળાવની આસપાસ લોકો રહે છે
વડોદરા પાલિકા દ્વારા મોટા તળાવોનું બ્યુટીફીકેશન કરવામાં આવે છે. પરંતુ નાના તળાવોમાં તો સ્વચ્છતાને લઇને પણ ધ્યાન આપવામાં આવતું નથી. આના જ કારણે તળાવમાં અસંખ્ય માછલીઓના મૃત્યુ થયાની ઘટનાઓ સપાટી પર આવે છે. તાજેતરમાં આવી જ એક ઘટના શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી છે. ગોત્રીમાં ઇએસઆઇ હોસ્પિટલ પાસે સવાયા નગર તળાવ આવેલું છે. તળાવની આસપાસ લોકો રહે છે. તળાવમાં લીલની ચાદર પથરાઇ ચુકી છે. બે દિવસમાં તળાવમાં અસંખ્યા માછલીઓ મૃત્યુ પામ્યાની ઘટના સામે આવી છે. જેને લઇને વિસ્તારમાં ભારે દુર્ગંધ મારી રહી છે. અને સ્થાનિકોની મુશ્કેલીઓ વધી છે. જેને દુર કરવા માટે હવે સ્થાનિકો તંત્ર પાસે મદદની આશ લઇને બેઠા છે.
રજૂઆત કરવામાં આવી, પરંતુ કંઇ થયું નથી
સ્થાનિક ઇમરાન દરબાર જણાવે છે કે, ગોત્રી ઇએસઆઇ હોસ્પિટલ સામે આવેલું સવાયા નગર તળાવ છે. આ તળાવમાં ગંદકીના કારણે અસંખ્ય માછલીઓ છેલ્લા 2 દિવસમાં મરી ગઇ છે. જેને લઇને આસપાસમાં દુર્ગંધ આવી રહી છે. અહિયા બપોરે જવું પણ મુશ્કેલ પડી રહી છે. અહિંયા બિમારી સર્જાય તેવું વાતાવરણ સર્જાયું છે. તંત્રને આ અંગેની કાર્યવાહી કરવામાં માટે રજૂઆત કરવામાં આવી છે. પરંતુ કંઇ થયું નથી. તળાવને સાફ કરીને મૃત માછલીઓને નિકાલ કરવામાં આવે, અને અમને આ મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં આવે તેવી માંગ રજૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો — VADODARA : ભારદારી કન્ટેનર નીચે બાઇક ચાલક કચડાયો