અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ
મહારાજા ભોજરાજજી રાજપૂત છાત્રાલય ટ્રસ્ટ ગોંડલ મેનેજિંગ ટ્રસ્ટી પ્રભાતસિંહ આર જાડેજા, ટ્રસ્ટી કુલદીપસિંહ બી જાડેજા, કનકસિંહ જાડેજા સહિતના આગેવાનો દ્વારા ગોંડલ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવાયું હતું કે મહારાજાશ્રી ભોજરાજજી રાજપૂત છાત્રાલય ગોંડલની માલીકીની ખાનગી મિલકતને હેરિટેઝમાં મૂકવા માટે તંત્ર દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે આ જગ્યા ઉપર આવેલી જૂની પોસ્ટ ઓફિસના બિલ્ડીંગને રિનોવેટ કરી ત્યાં લેસર શો નું આયોજન વિચારણા હેઠળ હોવાનું જાણવા મળે છે. જેની સામે અમારો વિરોધ છે. કેમકે આ વિચારણા મૂળથી ગેરકાનૂની છે.
આવેદનમાં જણાવ્યું છે કે મહારાજાશ્રી ભોજરાજજી રાજપૂત છાત્રાલય એ માજી રાજ્વીઓના સમયથી ચાલતું છાત્રાલય છે. છાત્રાલયની જગ્યામાં અગાઉ વર્ષો પહેલા કેન્દ્ર સરકારની પોસ્ટ ઓફિસ ભાડૂઆત તરીકે હતી ગોંડલ ખાતે પોસ્ટ કચેરીનું નવનિમિત મકાન નિર્માણ થતાં હાલમાં આ જગ્યાનો કબજો ટ્રસ્ટ હસ્તક છે.
1923ના વર્ષમાં પ્રસિદ્ધ થયેલી પોસ્ટ ઓફિસ એક કાલ્પનિક વાર્તા છે. વાર્તાના લેખક ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી (ધૂમકેતુ)નું મૂળ વતન ગોંડલ નહીં પણ વિરપુર છે. અને આ વાર્તા લખાયેલી ત્યારે તેઓ અમદાવાદ અને ત્યારબાદ મુંબઈ કાયમી રીતે જતાં રહેલા હતા અને ત્યારબાદ કયારેય ગોંડલ આવેલા નથી. કોઇકે કલ્પના કરીને હેરિટેજની વધુ એક કાલ્પનિક કથા ઘડીને તંત્રને ધંધે લગાડવાનો કારસો રચ્યો હોય તેમ લાગે છે. આ બાબતમાં અન્યાય કરવામાં આવશે તો આ નિર્ણયો વડી અદાલતમાં પડકારમાં આવશે અને આંદોલનાત્મક પગલાં ભરવાની અમને ફરજ પડશે તેવી ચીમકી અપાઇ છે.