Surat : સામાજિક મુદ્દા અને તંત્રની બેદરકારી ખાસ કરીને પોલીસના દમન વિરુદ્ધ અવાજ ઉઠાવીને સુરત અને ત્યાર બાદ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત થયેલા એક્ટિવિસ્ટ અને એડ્વોકેટ મેહુલ બોઘરાએ સુરત લોકસભા ચૂંટણી અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. મેહુલ બોઘરાએ લોકશાહીની હત્યાના ગંભીર આક્ષેપો સાથે કોંગ્રેસ અને કોંગ્રેસના ઉમેદવારની પણ ઝાટકણી કાઢી હતી. મેહુલ બોઘરાએ જણાવ્યું કે, સુરતના લાખો મતદારોને નિરાશા સાંપડી છે. તેઓ આ લોકસભા ચૂંટણીમાં મતદાન નહી કરી શકે જે તેમના મત આપવાના મૌલિક અધિકારનું હનન છે.
બોઘરાએ કુંભાણી અને કોંગ્રેસની ઝાટકણી કાઢી
મેહુલ બોઘરાએ નિલેશ કુંભાણી મામલે કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા હતા કે, કોઇ વેચાય જાય તેવા ઉમેદવારને ટિકિટ જ શા માટે આપવી જોઇએ. બીજી તરફ ભાજપને પણ તેમણે જણાવ્યું કે, કોઇ વેચાવા માટે તૈયાર હોય તો ખરીદી લેવું જરૂરી નથી. ભાજપ પાસે રામ મંદિરથી માંડીને અનેક એવા મુદ્દા છે જેના પર તેઓ ચૂંટણી લડી શક્યા હોત. જીત પણ મેળવી શક્યા હોત. તેવામાં ભાજપે આ કરીને લાખો મતદારોને તેમના મુળભુત હક્કથી વંચિત રાખવાની જરૂર નહોતી. ભાજપે આવું પગલું ભરવું જોઇતુ નહોતું.
ભાજપની જીત નિશ્ચિત હતી તો આ કરવાની જરૂર નહોતી
મેહુલ બોઘરાએ જણાવ્યું કે, તમામ ઉમેદવારો જો પોતાના ફોર્મ પરત ખેંચી લે તો નોટા તો હોય જ છે. ચૂંટણી પંચે નોટા અને એકમાત્ર ઉમેદવાર સાથે પણ ચૂંટણી કરાવવી જોઇએ. આવું કેમ નથી કર્યું તે અંગેની મને માહિતી નથી. હજારો યુવાનો તો એવાપણ હતા કે જેઓ આ વખતે પહેલીવાર મતદાન કરવાનાં હતા. જો કે હવે આ ઉમેદવારોએ લોકસભામાં પોતાનું મતદાન કરવા માટે વધારે પાંચ વર્ષ સુધી રાહ જોવી પડશે. આ લોકશાહીની વિરુદ્ધનું પગલું છે. સંપુર્ણ અયોગ્ય બાબત છે. જે પ્રકારે દાવો થઇ રહ્યો છે તે પ્રકારે શહેરી વિસ્તાર અને ખાસ કરીને સુરતમાં જીત નિશ્ચિત હતી તેવી સ્થિતિમાં ભાજપે આ પગલું ભરવાની જરૂર નહોતી.
View this post on Instagram