અહેવાલ-કૌશિક છાયા, ક્ચ્છ
મુન્દ્રાના સોપારી તોડકાંડમાં વધુ એકની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. તપાસ દરમ્યાન પૈસાની લેતી-દેતી કરવામાં જેની ભૂમીકા હતી તેવા ક્રિપાલસિંહ વાધેલાની પોલિસે ધરપકડ કરી છે. ફરીયાદમાં સામેલ ક્રાઇમ બ્રાન્ચના કીરીટસિંહ ઝાલાનો તે ભાણેજ થાય છે. તપાસ દરમ્યાન પંકિલની પુછપરછ અને પોલિસે કરેલી તપાસમાં 3.75 કરોડના તોડ કાંડમાં જે પૈસાની લેતી-દેતી થઇ તે વ્યવહારમાં ક્રિપાલસિંહ વાધેલાએ ભુમીકા ભજવી હતી.
આ મામલે મુખ્ય ફરીયાદમાં કુલ 6 વ્યક્તિઓ સામે ફરીયાદ નોંધાઇ
હવે આગળની તપાસમાં ફરાર 4 પોલિસ કર્મચારી અને ખાસ કરીને કીરીટ સિંહની કડી મેળવવા માટે આ મહત્વની ધરપકડ સાબિત થશે. આરોપીના રીમાન્ડ મેળવી પોલીસ દ્રારા તેની ઉંડાણ પુર્વકની તપાસ કરાશે. આ મામલે મુખ્ય ફરીયાદમાં કુલ 6 વ્યક્તિઓ સામે ફરીયાદ નોંધાઇ છે. પંકિલ પણ પૈસાની લેતીદેતીમાં મુખ્ય વ્યક્તિ હતો અને હાલ 7 દિવસના રીમાન્ડ પર છે.
શું છે સમગ્ર મામલો
ઉલ્લેખનીય એ છે કે ગત તારીખ 13 એપ્રિલના રોજ બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ ભુજની ટીમે બાતમીના આધારે બે સોપારી ભરેલ ટ્રક ઝડપી હતી. આ કેસમાં ગોડાઉન માલિક મૂળ મુંબઈના અને હાલ ગાંધીધામ રહેતા અનિલ પંડિતને ફોન પર ધમકી આપીને ફરિયાદથી બચવા 3.75 કરોડની માંગ પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. જેમાં ફરિયાદીનું કારમાં અપહરણ પણ કરાયું હતું. જેની ફરિયાદ આઈ. જી.જે.આર. મોથલીયા સમક્ષ કરવામાં આવતા તેમણે 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા. તેમજ પોલીસ અને ફરિયાદી વચ્ચે વચ્ચેટિયાની ભૂમિકા ભજવનાર ગાંધીધામના વેપારી પંકિલ સુનિલભાઈ મોહતા,અને પૂર્વ આઇ. જીના ભાણેજ સૈલેન્દ્રસિંહ ઉર્ફે ભાનુભા માધુભા સોઢા સહિત 6 સામે ફરિયાદ નોંધવાનો હુકમ કર્યો હતો.જેની ફરિયાદ મુન્દ્રા પોલીસ મથકે નોંધાવાઈ હતી.
ગૃહ મંત્રાલય સુધી કરવામાં આવી છે ફરિયાદ
કસ્ટમ ક્લિયરન્સનો વ્યવસાય કરતા અને ફોર ફોક્સ લોજીસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં પાર્ટનર ફરીયાદી ગાંધીધામના અનિલ પંડિતે ફરીયાદ જાહેર કરતાં ભારતીય ફોજદારી ધારા તેમજ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધાવેલ. જે ગુનાની તપાસ હાથ ધરતા આ ઘટનામાં વચેટીયા તરીકે ભૂમિકા ભજવનાર પંકિલ સુનિલભાઈ મોહતાની ધરપકડ કરાઈ હતી.
જેને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજુર થયા હતા, જ્યારે ફરી કોર્ટમાં રજૂ કરતાં સાત દિવસના રિમાન્ડ મંજુર થયા હતા. આ કેસમાં હજુ સસ્પેન્ડ થયેલા ચાર પોલીસ કર્મચારી પકડાયા નથી. જેમાં મુન્દ્રા ક્રાઈમ બ્રાન્ચના કીરીટસિંહ ઝાલા,ભરત ગઢવી,રણવીરસિંહ ઝાલા,રાજેન્દ્રસિંહ ઝાલાનો સમાવેશ થાય છે. એટલું જ નહીં આ કેસની ફરિયાદ છેક ગૃહ મંત્રાલય સુધી કરવામાં આવી હતી.
આ પણ વાંચો — 13 વર્ષના માસુમે હાર્ટ એટેકમાં ગુમાવ્યો જીવ, નાની ઉમરમાં હ્રદયરોગનો હુમલો ચિંતાનો વિષય
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે