Home » ટ્રાફિકની વધતી સમસ્યા લોકો માટે માથાનો દુખાવો!
ટ્રાફિકની વધતી સમસ્યા લોકો માટે માથાનો દુખાવો!
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
63
વાહનોની વધતી સંખ્યા અને ટ્રાફિક સેન્સનો અભાવ મૂળ કારણ
કોઈપણ ચાર રસ્તા ઉપર ટ્રાફિકનું નિયમન કરતી પોલીસ અને આપણા માટે જ મદદરૂપ થતી ટ્રાફિક સિગ્નલની લાઈટોના સંકેતોને શિસ્તપૂર્વક પાળવા એ આપણી ફરજ બને છે. ઘણા ચાર રસ્તા ઉપર જ્યારે પોલીસ ઊભી ન હોય ત્યારે નિયમન કરતી લાઈટ ચાલુ હોય તો પણ પોતાનું વાહન હંકારી જવું એ જાણે કે, મર્દાનગીનો પર્યાય હોય તેવું વર્તન વાહનચાલકોમાં જોવા મળે છે. લાલ લાઈટ ઉપર જ્યારે ઘણા બધા વાહન એકઠા થયા હોય ત્યારે પરવાનગી આપતી લીલી લાઈટ થતાં જ અકારણ ઘણા બધા વાહનચાલકો હોર્ન મારવાનું શરૂ કરી દેતા હોય છે. આગળના વાહનો રસ્તો ન કરે ત્યાં સુધી પાછળનું વાહન જઈ શકતું પણ નથી જવા માટે ઉતાવળ કરવી પણ ન પડે એટલી સીધી વાત વાહનચાલકો સમજી શકતા નથી.
નથી થતું રસ્તો ઓળંગવાના નિયમોનું પાલન
એવી જ રીતે ટ્રાફિકના રોડ સેફ્ટીના નિયમો મુજબ કોઈપણ ચાલુ વાહનની ડાબી બાજુથી નીકળવું એ ગુનો જ નહિ પણ બંને વાહનો માટે જોખમરૂપ પણ બને છે. આ પ્રકારની બેદરકારીઓ યુવાઓમાં વધારે જોવા મળે છે. નિયમભંગ તમારા કે બીજાના જીવનું જોખમ પણ બની શકે છે.
આડેધડ પાર્કિંગ કરવાની આદત
દિનપ્રતિદિન વાહનોની સંખ્યા વધી રહી છે ત્યારે નિયત સ્થળે પાર્કિંગ કરવાને બદલે પોતાને ફાવે ત્યાં પાર્કિંગ કરવાથી કાનૂની નિયમભંગ તો થાય જ છે પણ સાથે સાથે અનેક અશકત, વયસ્ક અને દિવ્યાંગવર્ગ જેવા વર્ગ સમૂહને માટે આપણે ભારે અગવડનું નિમિત્ત બની જઈએ છીએ. શહેરોની સોસાયટી કોલોનીમાં તો વાહનો પાર્ક કરવાની સર્વ સામાન્ય શિસ્તના અભાવને કારણે કાયમ જેની સાથે રહેવાનું છે તેમની સાથે અકારણ બોલચાલી, ઝઘડો થવા બંને પક્ષ વચ્ચે કારણ વગરનું તણાવ સર્જાય છે. ઘણી જગ્યાએ જોયું છે કે, અડધી રાતે કોઈની બીમારી કે ઇમરજન્સી વખતે અનિવાર્યપણે વાહન લઈને નીકળવા માટે રસ્તે રોકતા કે, નડતા વાહનો બહુ મોટી મુશ્કેલી ઊભી કરે છે, કારણ કે, રાત્રીના સમયે એ આડેધડ પાર્કિંગ કરનારા વાહનોના માલિકોને શોધવા, જગાડવા અને વાહન ખસેડવાનું કહેવામાં જે સમય પસાર થાય છે તેમાં કોઈ બીમાર કે ઇમરજન્સીના સંજોગોમાં નીકળવા માંગતા વ્યક્તિને કેટલું મોટું નુકશાન થશે એની આપણે કલ્પના કરતા નથી.
સામાજિક પ્રસંગો કોઈના માટે બને આફતનો અવસર
લગ્ન મેળાવડાઓ કે એવા બીજા સામાજિક પ્રસંગોએ આપણે ભોજનથી માંડીને એવી બધી જ બાબતોનું ધ્યાન રાખીએ છીએ પણ મોટેભાગે આપણે ત્યાં મહેમાન બનીને પધારનારા સ્વજનોના વાહન પાર્કિંગની વ્યવસ્થા વિશે કોઈ વ્યવસ્થિત વિચાર કે, ગોઠવણ કરતા નથી. જેને કારણે તમારા ઘરનો શુભ કે સામાજિક પ્રસંગ આજુબાજુના કે રસ્તેથી પસાર થનારા લોકો માટે માથાનો દુખાવો બને છે અને તમારો શુભ સામાજિક પ્રસંગ કોઈકને માટે હેરાનગતિનુંં કારણ બને છે.
ટ્રાફિકના નિયમોનું પાલન કરવું સામાજિક જવાબદારી
પશ્ચિમના કેટલાક દેશોમાં અડધી રાતે સૂમસામ રસ્તેથી કાર લઈને નીકળી વ્યક્તિ લાલ લાઈટ આવતા ઊભા રહેવાની કોઈ જરૂર ન હોવા છતાં નિયમનું પાલન કરતા નજરે નીહાળ્યા છે. વળી, કોઈ દિવ્યાંગ કે વયસ્ક નાગરિક રસ્તો ક્રોસ કરતા હોય ત્યારે શિસ્ત અને સંવેદનાથી બંને બાજુના વાહનો રોકાઈ ગયાના પ્રેરક દૃશ્યો પણ આપણામાંથી ઘણાએ જોયા છે. બીજા પણ દાખલા ઉમેરી શકાય પણ ટુંકમાં કહીએ તો યાતાયાતની ટ્રાફિકની અને એની સાથે જોડાયેલી બધી બાબતોની શિસ્ત એ આજે અને હવે પછીના સમયમાં આપણી અનિવાર્યતા બનવાના છે. માત્ર આ કડક નિયંત્રણથી આ સમસ્યા ઉકેલી શકાતી નથી જેના માટે સામાજિક જવાબદારી, સંવેદના અને સ્વયં શિસ્ત એ જ એકમાત્ર ઉપાય છે અને એ ઉપાય આપણો ધર્મ છે.
જો તમે કેદારનાથની યાત્રામાં જવાનું વિચારી રહ્યા છો, તો બેગમાં આ વસ્તુઓ મૂકવાનું ભૂલતા નહીં
By Harsh Bhatt
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject