Kutch Events: PM Narendra Modi એ દેશમાં પશુપાલકોની ચિંતા કરી અનેક નવી યોજનાઓ અમલી કરી પશુપાલક સમાજને અનેક નવી ભેટો આપી છે. તેવું આજરોજ આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ ૨૦૨૪ ની ઉજવણી નિમિત્તે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન આયોજીત ભુજમાં કચ્છ ઊંટ મહોત્સવનો પ્રારંભ થયો હતો.
કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાનું નિવેદન
ભુજ ખાતે યોજાયેલા કચ્છ ઊંટ મહોત્સવનો આરંભ કરાવતા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાના પ્રયાસોથી સંયુકત રાષ્ટ્ર સંઘે ગત વર્ષને મિલેટ વર્ષ જાહેર કર્યું હતું. જયારે આ વર્ષે આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ જાહેર કરાયું છે. તેમણે આ પ્રસંગે પશુઉછેરમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેનો લાભ લેવા પશુપાલકોને આહવાન કર્યું હતું.
આ કાર્યક્રમ અંગે વિનોદભાઈ ચાવડાનું નિવેદન
આ પ્રસંગે સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજય સરકાર પશુપાલકો માટે ચિંતિત છે. સરકારે પશુપાલકોના તમામ પ્રશ્નો અને રજૂઆતોના હકારાત્મક પ્રતિસાદ આપ્યા છે. ઊંટની વસતીમાં કચ્છ મોખરે છે ત્યારે સરકારની ચિંતાના કારણે જ હાલ ઊંટોની વસતીમાં વધારો થયો છે. ખારાઇ ઊંટને યોગ્ય સન્માન અને માન્યતા મળી છે. સૌ પ્રથમ દેશમાં કેમલ મિલ્ક ડેરી કચ્છમાં સ્થપાઇ છે અને તેના થકી ઊંટ ઉછેરકોને નવું બળ મળ્યું છે.
અમૂલ ડેરીના વાઈસ ચેરમેન વલમજીભાઇ હુંબલેનું નિવેદન
અમૂલ ડેરીના વાઇસ ચેરમેન વલમજીભાઇ હુંબલે જણાવ્યું હતું કે, કચ્છમાં ૧૨ હજાર ઊંટની વસતી છે. જેમાં ૩૦૦ થી ૪૦૦ દૂધઉત્પાદક કુંટુંબો છે. જેના થકી રૂ.૫૦ના ભાવે દૈનિક ૪ થી ૫ હજાર લીટર દૂધનું કલેકશન કરવામાં આવે છે અને રોજ રૂા.અઢીલાખનું ચૂકવણું માલધારીઓને કરાય છે. તેમણે પશુપાલકોની જરૂરીયાતને સરકારના સહયોગથી પુરી કરવા ખાત્રી આપી હતી.
કાર્યક્રમમાં દેશનું સૌ પ્રથમ ડોન્કી બ્રિડર્સ એસોસીએશનનું રજિસ્ટ્રેશન થતા કેન્દ્રીય મંત્રીના હસ્તે રજિસ્ટ્રેશન સર્ટીફીકેટ માલધારીઓને સુપ્રત કરવામાં આવ્યું હતું. તેમજ ઊંટ પાલન વ્યવસાયમાં પરત આવેલા યુવા માલધારીઓનું મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સાંસ્કૃતિક ઝાંખી અને ઝલક દર્શાવતી ઊંટ શોભાયાત્રાને લીલીઝંડી આપીને કેન્દ્રીય મંત્રીએ પ્રસ્થાન કરાવી હતી.
અહેવાલ કૌશિક છાંયા
આ પણ વાંચો: Gujarat First at Ayodhya : હજારો દીવડાથી ઝળહળી ઊઠ્યો સરયુ નદીનો કિનારો, ચારેકોર ભક્તિનો માહોલ