Save From Suicide: આજે ઝડપ અને વ્યસ્તતાના યુગમાં આપણને આજુબાજુ બનતી ઘટનાઓ વિષે જોવા, જાણવાની કે એ વિષે વિચારવાનો પણ સમય હોતો નથી. જાહેર માર્ગ પર કોઈ વ્યક્તિ આફતમાં ફસાયેલી હોય કે કોઈ હોનારતનો શિકાર થઇ હોય તો તેના તરફ એક નજર નાખીને લોકો આજુબાજુમાંથી પસાર થઇ જતા હોય છે.
- કાઠીયાવાડી પરંપરાને ઉજાગર કરતો કિસ્સો સામે આવ્યો
- ગોંડલ માર્કેટ યાર્ડના ડાયરેક્ટર પ્રફુલ્લભાઈ ટોળિયાએ યુવાનનો જીવ બચાવ્યો
- આત્મહત્યાનો ઈરાદા કરનાર યુવકને પ્રફુલ્લભાઈ ટોળિયાએ બચાવ્યો
પરંતુ આ યુગમાં પણ એવા વિરલા છે કે જે પારકી છઠ્ઠીના જાગતલ બનીને પળનો વિલંબ કર્યા વિના આફતગ્રસ્ત વ્યક્તિની વ્હારે દોડી જતા હોય છે. આવો જ કાઠીયાવાડી પરંપરાને ઉજાગર કરતો કિસ્સો ધ્યાનમાં આવ્યો છે. જે સમસ્ત લોકો માટે પ્રેરણાદાયી અને પ્રસંશનીય છે.
ગોંડલ માર્કેટ યાર્ડના ડાયરેક્ટર પ્રફુલ્લભાઈ ટોળિયાએ યુવાનનો જીવ બચાવ્યો
જાણીતા સમાજ સેવક અને ગોંડલ માર્કેટ યાર્ડના ડાયરેક્ટર પ્રફુલ્લભાઈ ટોળિયા આમ તો ભાગ્યેજ એસટી બસમાં મુસાફરી કરતા હોય છે. પણ કોઈ કારણોસર અચાનક તેમને કામ આવી પડતા તેઓ એસટી બસમાં બેસીને ગોંડલથી રાજકોટ આવવા નીકળ્યા હતા. તેમની બરાબર અડોઅડ એક યુવાન બેઠો હતો.
ત્યારે બાજુમાં બેઠેલા પ્રફુલ્લભાઈ ઘણા સમયથી આ પરેશાન યુવાનની વાત સાંભળી રહ્યા હતા પણ જ્યારે પ્રફુલ્લભાઈએ આ યુવાનને એવું કહેતા સંભાળ્યો કે “મારે જીવવું જ નથી, હું આજે વાત કરું છું, કાલે તને નહિ મળું” એવા આ યુવાનના શબ્દો સંભાળતા જ સંવેદનશીલ પ્રફુલ્લભાઈના કાન સરવા થઇ ગયા હતા.
આત્મહત્યાનો ઈરાદા કરનાર યુવકને પ્રફુલ્લભાઈ ટોળિયાએ બચાવ્યો
તેમણે યુવાનની સાથે વાતચિત કરી તેમની તકલીફ સહાનુભૂતિથી સાંભળીને યુવાનને હૈયે ધરપત આપવાની મનમાં ગાંઠ વાળી લીધી હતી. તેમણે યુવાન સાથે વાતચીત શરૂ કરી અને વાતચીત દરમિયાન તેમણે ચાલાકાઈથી યુવાનનો ફોન લઈ લીધો હતો. ત્યારે તેમણે યુવાનને પૂછ્યું હતું કે, આટલા નજીકમાં કોઈ તારા સગા-સંબંધી રહે છે.
ત્યાર બાદ યુવાને તેના એક કૌટુંબિક કાકા વિશે વાત કરી હતી. તે પછી તાત્કાલિક પ્રફુલ્લભાઈએ યુવાનના કાકાને ફોન કરીને તેમને બોલાવી લીધા હતા. અંતે યુવાનને સહિસલામત ખૂબ જ સમજણ પૂર્વક સાથે તેના કાકાને સોંપી દેવામાં આવ્યો હતો. કારણ કે… કોઈનો જીવ બચાવવો તેનાથી મોટું મહાદાન કોઈ નથી !
ગુજરાત ફર્સ્ટના માધ્યમથી આ ઘટનાનો અહેવાલ એટલા માટે જાહેર કરવામાં આવ્યો છે, કારણ કે… આજે જાહેરમાં ક્યાય અકસ્માત થાય છે, કોઈ બહેન કે ભાઈ મુસીબતમાં હોય છે. તો ત્યારે હજારો લોકોમાંથી કોઈ 2 પળ માટે પણ રોકાતા નથી. ત્યારે આ કિસ્સો બધાને પ્રેરણા આપે તેવો છે.