Home » વિધર્મી યુવકના પ્રેમમાં પાગલ બનેલી પરિણીતાએ જ પ્રેમી પાસે પતિને ઉતારાવ્યો મોતને ઘાટ
વિધર્મી યુવકના પ્રેમમાં પાગલ બનેલી પરિણીતાએ જ પ્રેમી પાસે પતિને ઉતારાવ્યો મોતને ઘાટ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
221
અહેવાલ–કિશન ચૌહાણ, પોરબંદર
છેલ્લાં ઘણાં વર્ષોથી ગેંગવોરની ગિરફ્તમાંથી મુક્ત થયેલા પોરબંદરમાં છેલ્લાં ૯ દિવસમાં હત્યાની ચોથી ઘટના બનતાં શહેર અને જિલ્લાભરમાં ચકચાર મચી જવા પામી છે.
ખીજડી પ્લોટ નજીક યુવાનની જાહેરમાં હત્યા
પોરબંદર શહેરના ખીજડી પ્લોટ વિસ્તારમાં ગઈકાલે રાત્રીના લગભગ ૯થી ૯-૩૦ વાગ્યા દરમિયાન બાઈક પર પોતાના બે નાના સંતાનો સાથે રહેલા એક ગઢવી દંપતી પર બે શખ્સોએ ઘાતક હુમલો કરતાં ગઢવી યુવાનનું મોત નિપજ્યું હતું, જ્યારે પત્નીને હાથમાં ઈજા થઈ હતી. જોકે, થોડી જ વારમાં પકડી લેવાયેલા બંને હત્યારાઓએ આપેલી કબૂલાતમાં બહાર આવેલી ચોંકાવનારી વિગતો મુજબ આ બનાવમાં ઘાયલ થયેલી પત્નીએ જ એક હત્યારા સાથેના પ્રેમસંબંધમાં કાંટારુપ પોતાના પતિને પતાવી દેવા કારસો રચ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ મામલે મૃતકના ગઢવી યુવાનના ભાઈએ કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને હુમલાખોરોને ઝડપી લઈને તેમની આકરી પૂછપરછ હાથ ધરી આ ચકચારી ઘટનામાં વિશેષ તપાસ હાથ ધરી છે.
બાઇક પર જતાં પરિવાર પર વિધર્મી યુવાનનો ઘાતક હુમલો !
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ પોરબંદર શહેરના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા કાયાભાઈ રામભાઈ ગઢવી (ઉં.વ.૩૫) અને તેમના પત્ની નીતાબેન કાયાભાઈ ગઢવી (ઉં.વ.૩૭) ગઈકાલે રાત્રીના નવેક વાગ્યાના અરસામાં બાઈક પર શહેરના ધમધમતા એમ.જી. રોડ પર ખીજડી પ્લોટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક પર ધસી આવેલા બે શખ્સોએ કાયાભાઈ ગઢવીના બાઈકને આંતરી રોકી લીધું હતું અને કાયાભાઈ ગઢવી કંઈ સમજે તે પહેલાં જ છરીના ત્રણ જેટલાં ઘા તેમના છાતીના ભાગે ઝીંકી દીધા હતા, જે તેમના માટે જીવલેણ બન્યા હતા અને તેમનું મોત નિપજ્યું હતું, જ્યારે આ ઘટનામાં કાયાભાઈ પત્ની નીતાબેનને હાથના ભાગે ઈજાઓ થતાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.બનાવના પગલે વિસ્તારમાં લોકોના ટોળેટોળાં એકઠાં થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી.
ગણતરીનો મીનટોમાં આરોપીઓને પકડી પાડતી પોરબંદર પોલીસ
ખીજડી પ્લોટ નજીક તારીખ ૨૩ મે રોજ યુવાનની હત્યાનો બનાવ બન્યો હતો. બીજી તરફ બનાવની જાણ થતાં પોરબંદર સિટી ડીવાય.એસ.પી. નીલમ ગૌસ્વામી, કમલાબાગ પોલીસ મથકના ઈનચાર્જ પીઆઈ વિજયસિંહ પરમાર ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઘટના અંગે તપાસ હાથ ધરી હતી.પોલીસે હત્યારાઓને ઝડપી લેવા સમગ્ર શહેરમાં નાકાબંધી કરાવી હતી. મુખ્ય આરોપી રહીમ ખીરાણી કોડિયાતર હોસ્પિટલ પાસે એક દુકાનની સીડી ચડતો જોવા મળતાં પોલીસે તેને સરન્ડર કરવા પડકાર ફેંક્યો હતો, જેથી થોડાં સમય પહેલાં જ ઘાતકી હત્યા કરનારો રહીમ મીંદડી બનીને પોલીસ પાસે આવી ગયો હતો અને શરણાગતિ સ્વીકારી લીધી હતી. પોલીસે જ્યારે રહીમને પકડ્યો ત્યારે તેના હાથ કાયાભાઈ ગઢવીના લોહીથી ખરડાયેલા હતા. તો બીજા આરોપી મીરાજ ઈકબાલ પઠાણને પણ કમલાબાગ પોલીસના સ્ટાફે જૂના ફૂવારા પાસેથી ઝડપી લીધો હતો. પોલીસે બંને સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
નાની તથા મામાને ત્યાં જવાનું કહી નીતા વર્ષમાં બે વખત રહીમને ત્યાં જતી હતી!
મૃતક ગઢવી યુવાન કાયાભાઈના ભાઈ વાલાભાઈ રામભાઈ ગંઢ (ગઢવી)એ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ નીતાબેન છેલ્લાં એક વર્ષમાં બે વખત તેના નાની તથા મામાને ત્યાં જવાનું કહીને જતી હતી, પરંતુ ખરેખર તપાસ કરતાં તેના પ્રેમી રહીમને ત્યાં જતી રહેતી હતી. આ બંનેના પ્રેમસંબંધની જાણ કાયાભાઈને થઈ જતાં તેનો કાંટો કાઢી નાંખવા માટે નીતાબેને પોતાના પ્રેમી રહીમ સાથે મળીને કાયાભાઈની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું અને ગઈકાલે તા.૨૩ મેના રોજ રાત્રીના સમયે કોઈને શંકા ન જાય તે માટે પોતાની હાજરીમાં જ પ્રેમી પાસે પતિનું કાસળ કઢાવી નાંખ્યું હતું. આજે પત્રકાર પરિષદ બાદ પોલીસે આરોપીઓ પાસે ખીજડી પ્લોટ નજીક રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject