25 એપ્રિલે કેદારનાથ યાત્રા શરુ થવા જઇ રહી છે ત્યારે તે પહેલાજ ઉત્તરાખંડમાં એક દુર્ઘટના ઘટી છે.. જેમાં હેલિકોપ્ટરના પાછળના પાંખડાથી ગળુ કપાઇ જતા એક વ્યક્તિનું મોત નીપજ્યું. મૃતકનું નામ અમિત સૈની હોવાનું સામે આવી રહ્યું છે. સૈની ઉતરાખંડ સિવિલ એવિએશન ફાઇનાન્સિયલ કંટ્રોલર હતા. સુત્રો અનુસાર હેલીકોપ્ટરના લેન્ડિંગ દરમિયાન જ્યારે અમિત સૈની હેલીકોપ્ટરની નજીક જઇ રહ્યા હતા તો ટેલ રોટર (પાછળના પાંખડા) ની ઝપટે ચડી જવાના કારણે તેનું માથુ જ કપાઇ ગયું, અને તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
હેલીકોપ્ટરના પરીક્ષણ દરમિયાન બની દુર્ઘટના
ઇન્સપેક્શનના કાર્ય દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી, અને દુર્ઘટના ઘટી ત્યારે સ્થળ પર ઉતરાખંડ સિવિલ એવિએશનના સીઇઓ પણ હાજર હોવાનું સુત્રોનું કહેવું છે. મહત્વપૂર્ણ છે કે કેદારનાથ યાત્રા 25 એપ્રિલથી શરૂ થવા જઇ રહી છે. જેને લઇને તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઇ દેવાયો છે. સાથે જ મંદિર સમિતિ પણ કેદારનાથ મંદિરને સજાવવાનું કાર્ય કરી રહી છે. તમામ વિભાગો પોતપોતાની રીતે તૈયારીઓ કરી રહ્યા છે.
નવ હેલી સેવાઓની પરવાનગી
કેદારનાથ ધામ માટે ડીજીસીએએ આ વખતે નવ હેલી સેવાઓની પરવાનગી આપી છે. ગુપ્તકાશી, ફાટા અને શેરસીથી આ નવ હેલી સેવાઓ ઉડ્યન કરશે. હેલીસેવાથી કેદારનાથ ધામ જનારા તીર્થયાત્રીઓ માત્ર આઇઆરસીટીસીની http://heliyatra.irctc.co.in વેબસાઇટ પર ટિકિટ બુક કરાવી શકે છે. આ વેબસાઇટ ઉપરાંત યાત્રીઓને અન્ય કોઇ પણ વેબસાઇટથી ટિકિટ નહી મળી શકે. હેલી ટિકિટ માટે પણ યાત્રીઓને ઓનલાઇન રજિસ્ટ્રેશન થવું ફરજીયાત છે. આ વખતે ગુપ્તકાશીથી કેદારનાથ આવવા જવાનું ભાડુ 7740, ફાટાથી 5500, શેરસીથી 5498 રૂપિયા નિર્ધારિત કરવામાં આવ્યા છે.