Home » અમદાવાદમાં રખડતા શ્વાનનો વધ્યો ત્રાસ, દર મહિને આટલા લોકોને કરડવાની બને છે ઘટના
અમદાવાદમાં રખડતા શ્વાનનો વધ્યો ત્રાસ, દર મહિને આટલા લોકોને કરડવાની બને છે ઘટના
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
178
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા મહિનાઓથી રખડતા શ્વાનનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. ખાસ કરીને રાત્રિના સમયે જે લોકો વાહન લઇને નીકળતા હોય છે તેમને આ રખડતા કૂતરાઓથી હવે ડર લાગવા લાગ્યો છે. જોકે, ડર લાગવો પણ સ્વાભાવિક બની ગયો છે. કારણ કે, એક સર્વે મુજબ શહેરમાં દર મહિને પાચ હજાર લોકોને આ રખડતા કૂતરાઓ કરડે છે.
અમદાવાદ શહેરમાં મોડી રાત્રિ સુધી ઓફિસ કામ કરીને ઘરે જઇ રહેલા ઘણા એવા લોકો છે કે, જેઓ શહેરના રખડતા કૂતરાઓના કરડવાના શિકાર બન્યા છે. એવું નથી કે, તંત્રએ આ માટે કઇ કર્યું જ નથી. છેલ્લા એક વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 30 હજારથી વધુ શ્વાનના ખસીકરણ પાછળ અઢી કરોડથી વધુ રકમનો ખર્ચ કર્યો છે. વળી એક સર્વે મુજબ અમદાવાદમાં શહેરમાં 2 લાખથી પણ વધુ રખડતા શ્વાન છે. આમ જોતા તંત્રની ખસીકરણની કામગીરી ગોકળ ગાયની જેમ આગળ વધતી હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે. શહેરમાં પહેલાથી જ રખડતા ઢોરનો ત્રાસ સામાન્ય જનતા સહન કરી રહી છે. ઉપરાંત રખડતા શ્વાન કરડી ન જાય તેનો ભય પણ હવે સાથે લઇને જીવી રહી છે.
ખાસ કરીને કૂતરાઓના કરડવાના કિસ્સાઓ મોર્નિગ વોક માટે નીકળતા લોકો અને રાત્રિ દરમિયાન નીકળતા લોકો પર વધારે હોવાનું શહેરીજનોનું કહેવું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તંત્રની ઘોર બેદરકારી કહો કે આળસ કહો શહેરના અનેક વિસ્તાર એવા છે જ્યાં રખડતા કૂતરાનો આતંક જોવા મળી રહ્યો છે. જેના કારણે રહીશો પરેશાન થઈ ચૂક્યા છે અને ફરિયાદ સાંભળનાર પણ કોઈ નથી. મહત્વનું છે કે, અમદાવાદ શહેરમાં છેલ્લા 2 દાયકાથી રખડતા કૂતરા પકડી તેના ખસીકરણની કામગીરી સ્વૈચ્છીક સંસ્થાઓ પાસેથી કરાવવામાં આવી રહી છે. વળી આ માટે એજન્સીને એક કૂતરા દીઠ 930 રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે. તેમ છતા કૂતરાઓના કરડવાના બનાવો સતત વધારો થઇ રહ્યો છે.
શહેરના ઘણા વિસ્તારોમાં રહીસોનું એવું પણ કહેવું છે કે, અમે જ્યારે પણ મોર્નિંગ વોકમાં નીકળીએ છીએ તો લાકડી વગર બહાર નીકળાતું નથી, જો લાકડી વિના નીકળીએ છીએ તો કૂતરા કરડવાનો ડર લાગે છે. આ રખડતા શ્વાનથી માત્ર કરડવાનો જ નહીં પણ અકસ્માતનો પણ ભય રહે છે. જીહા, ઘણીવાર એવું બને છે કે વાહન ચાલક રોડ પર વાહન ચલાવતો હોય તે દરમિયાન કોઇ શ્વાન અચાનક સામે આવી જાય છે અને આ દરમિયાન વાહન ચાલક પોતાનું સંતુલન ખોઇ બેસે છે અને અકસ્માતનો ક્યારેક ભોગ પણ બની જાય છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject