Home » મારા પિતા કહેતા હતા કે તું ખોટી પાર્ટીમાં તો નથી જોડાયોને? : હાર્દિક પટેલ
મારા પિતા કહેતા હતા કે તું ખોટી પાર્ટીમાં તો નથી જોડાયોને? : હાર્દિક પટેલ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
176
બુધવારે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામા બાદ આજે ગુરુવારે હાર્દિક પટેલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. જેમા તેઓએ કોંગ્રેસ પાર્ટી કેમ છોડી અને આગળ શું છે તેમની રણનીતિ તે અંગે માહિતી આપી રહ્યા છે.
મહત્વનું છે કે, કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકે ફરજ બજાવનારા હાર્દિક પટેલે બુધવારે કોંગ્રેસનો હાથ છોડી દીધો હતો. જોકે, હજુ એ વાતની સ્પષ્ટતા નથી કે તે કોઇ પક્ષમાં જાય છે કે પછી કોઇ અન્ય પક્ષ બનાવે છે. પરંતુ એકવાત અહીં સ્પષ્ટ થાય છે કે જે રીતે તેની કોંગ્રેસથી નારાજગી હતી તે પક્ષ દ્વારા દૂર ન જ કરી શકાઇ. એક તરફ કોંગ્રેસ પાર્ટી ચિંતન શિબિર કરે છે પરંતુ પાર્ટીમાં શું તકલીફ ચાલી રહી છે, તેને લઇને જાણે કોઇ ચિંતા જ ન હોય તેવું હાર્દિક પટેલના પાર્ટી છોડ્યા બાદ લાગી રહ્યું છે. હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું ટ્વીટ મારફતે જાહેર કર્યું છે. મહત્વનું છે કે, તેમણે પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે આજે હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી પોતાની તકલીફોને મીડિયા સમક્ષ રજૂ કરી છે.
આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર કટાક્ષ કર્યો છે. તેમણે કોંગ્રેસની વિચારધારા અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે ગુજરાત કોંગ્રેસ પર જાતિવાદીનો પણ આરોપ લગાવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, હું પાટીદાર આંદોલન વખતે જનતા માટેની લડાઇ લડ્યો હતો. કોંગ્રેસ માટે નારાજગી વ્યક્ત કરતા હાર્દિકે કહ્યું કે કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખની કામગીરી શોભાના ગાંઠિયા જેવી હતી. હું ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આજે ખુલ્લા મનથી ચર્ચા કરવા આવ્યો છું. 2015થી 2019 સુથી ઈમાનદારીથી લડત લડી છે. 2019ના માર્ચમાં કોંગ્રેસમાં જોડાયો હતો. ગુજરાતના લોકોની વાત કરવા આક્રમકતાથી કોંગ્રેસમાં જોડાયો હતો. 2019થી 2022ના સમયગાળામાં કોંગ્રેસને નજીકથી જાણી છે. કોંગ્રેસ સૌથી મોટી જાતિવાદી રાજનીતિ કરે છે. ગુજરાત કોંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ એટલે શોભાના ગાઠીયા જેવી છે.
હાર્દિક પટેલે કહ્યું કે, ઉદયપુરમાં બેસીને ચિંતન શિબિર કરવાની કોઇ જરૂર નથી. મનોમંથન કરવાની જરૂર છે. જોકે, કોંગ્રેસ પાર્ટીમાં ઘણા સારા નેતાઓ છે પરંતુ તેમની જવાબદારી નક્કી જ કરવામાં આવતી નથી. જ્યારે કોઇ નેતા અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કરે એટલે તેને દૂર કરી દેવામાં આવે છે. કોંગ્રેસ પાર્ટીને ઘણા લોકો છોડી રહ્યા છે, અને અત્યાર સુધી છોડી ચુક્યા પણ છે ત્યારે ઉદેપુરમાં બેઠક કરવાને બદલે આ અંગે વિચારવું જોઇએ. હાર્દિકે વધુમાં કહ્યું કે, મે ગઇ કાલે જ્યારે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ત્યારે મને ઘણા લોકોના ફોન આવ્યા હતા, જેમા ઘણાએ મને કહ્યું કે તારુ આ પગલું સારું છે, તે કોંગ્રેસ છોડી બિલકૂલ સારું કામ કર્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીને સાત-આઠ લોકો જ ચલાવે છે. હુ છેલ્લા ત્રણ વર્ષથી આવ્યો ત્યારે કોંગ્રેસ દ્વારા મારી એકપણ વખત પ્રેસ કોન્ફન્સ કરવામાં આવતી નથી. મારે પોતે જ પ્રેસ કોન્ફરન્સ કરવી પડે.
કોંગ્રેસમાં છેલ્લા 10 વર્ષમાં 117 નેતાઓએ પાર્ટી છોડી દીધી છે. ગઇકાલે રઘુ શર્માએ કહ્યું હતું કે, પાટીદાર આંદોલનથી કોંગ્રેસને ફાયદો થયો નથી, પણ હકીકત માં બહુ જ ફાયદો થયો છે. વધુમાં કહ્યું કે, ભાજપ સરકારે 10 ટકા અનામત આપી જેનો ફાયદો સીધો પાટીદાર સમાજને થયો, અમે દુ:ખી હતા એટલે અમે આંદોલન કરતાં હતા પણ સરકારે જ મોટું મન રાખીને 10 ટકા અનામત આપી હતી. ભાજપમાં દરેક સમાજને પ્રભુત્વ આપવામાં આવે છે કોઈ પણ સમાજ કે જાતિનો ચહેરો મુખ્યમંત્રી બની શકે છે જ્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખનો ઈતિહાસ જોવા જેવો છે. માત્ર વોટબેન્કને ધ્યાને રાખી નિર્ણયો લેવામાં આવે છે.
ગુજરાત કોંગ્રેસે એકપણ જવાબદારી મને આપી નથી. કોંગ્રેસના નેતાઓ મને કહેતા હતા કે, તારા જેવા યુવાનોની જરૂર છે. લોકોને લાગે છે કે માત્ર હુ જ નારાજ છું પરંતુ તેવું નથી, કોંગ્રેસના ધારાસભ્ય અને અનેક યુવાનો પણ પાર્ટીથી નારાજ છે. હાર્દિક પટેલે કહ્યું કે, અમારા જેવા નાના કાર્યકરો દરરોજ પોતાના ખર્ચે 500-600 કિમીનો પ્રવાસ કરે છે ત્યારે ગુજરાતના મોટા નેતાઓ પ્રજાના પ્રશ્નોથી દૂર રહે છે. તેમનું ધ્યાન એ બાબત પર વધારે હોય છે કે, દિલ્હીથી આવેલા નેતાઓને તેમની ચિકન સેન્ડવિચ સમયસર મળી કે નહીં. તેમણે આજે પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પાર્ટી પર એવો પણ આરોપ મુક્યો કે આ પ્રીટને કશું કઇ જ કરવું નથી, તેને માત્ર ઢોંગ જ કરતા આડે છે. જ્યારે કોંગ્રેસ સાથે જોડાયો ત્યારે મારા પિતા કહેતા હતા કે હાર્દિક તું ખોટી પાર્ટીમાં તો નથી જોડાયોને? ત્યારે હુ કહેતો હતો કે ના બધુ સારુ થશે બધુ જ સમયાંતરે સારું થઇ જશે. પરંતુ સતત એવો પ્રયત્ન થયો કે આ લોકોને કઇ જ સારું કરવું નહોતું.
હાર્દિક પટેલે કહ્યું કે, કોંગ્રેસમાં દલિત, OBC અને પાટીદાર ધારાસભ્ય સાથે અન્યાય કરવામાં આવે છે. તમારી જાત તમારે ચિંતન કરવાની જરૂર છે, ઉદયપુરમાં શિબિર કરવાની જરૂર નથી. મને અસંખ્યક લોકોએ કહ્યું કે, તે પાર્ટી છોડી ખૂબ સારું કામ કર્યું. માત્ર 7-8 લોકો 33 વર્ષથી કોંગ્રેસ પાર્ટી પર રાજ કરે છે. હાર્દિકે વધુમાં કહ્યું કે, આ વાત મારે ન કરવી જોઇએ, પરંતુ જ્યારે મારા પિતાનું નિધન થયું ત્યારે ગુજરાત કોંગ્રેસ પાર્ટીનો એક પણ નેતા સિવાય શક્તિસિંહ ગોહિલ મારા ઘરે નહોતા આવ્યા. વળી જ્યારે મારા પિતાની પુણ્યતિથી હતી ત્યારે કોંગ્રેસના નેતામાં અમુક જ નેતા જેમકે, જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા અને રઘુ શર્મા જ આવ્યા હતા. અન્ય કોઇ ન આવ્યું.
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલે ટ્વીટ કરીને રાજીનામાની આ જાણકારી આપી છે. તેણે ટ્વીટમાં લખ્યું છે કે, આજે હું હિંમત કરીને કોંગ્રેસ પાર્ટીના પદ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. મને વિશ્વાસ છે કે, મારા આ નિર્ણયનું સ્વાગત મારા દરેક સાથી અને ગુજરાતની જનતા કરશે. હું માનું છું કે, મારા આ પગલાથી ભવિષ્યમાં ગુજરાત સત્ય માટે સકારાત્મક રીતે કામ કરી શકીશ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject