રાજ્યસભામાં નમાઝ અદા કરવા પર નવા નિયમો લાગુ કરાયા
શિયાળું સંસદ સત્રની શરૂઆત સાથે વિવિધ નવા નિયમો જાહેર કરવામાં આવી રહ્યાં છે. તે ઉપરાંત વિવિધ નિયમોમાં પણ ફેરફારો થઈ રહ્યાં છે. તેના અંતર્ગત સંસદ સત્ર દરમિયાન દર શુક્રવારે નમાઝ માટે અડધો કલાકનો વિરામ રાજ્યસભામાં આપવામાં આવતો હતો. પરંતુ તે નાબૂદ કરવામાં આવ્યો છે. આ નિયમ રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે જાહેર કર્યો છે. સાથે જ તેને લગતા નિયમોમાં પણ ફેરફાર કરવાનો નિર્દેશ આપ્યો છે.
તેથી અહેવાલ મુજબ તાજેતરમાં શુક્રવારે બપોરે 2 વાગ્યે લંચ પછી રાજ્યસભાની બેઠક ફરી શરૂ થઈ હતી, ત્યારે ડીએમકેના સાંસદ તિરુચી શિવાએ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, કે દર શુક્રવારે ગૃહની બેઠક બપોરે 2.30 વાગ્યે શરૂ થતી હોય છે. તો આ વખતે 2 વાગ્યે શરૂ કરવામાં આવી છે. તેનો સમય ક્યારે બદલાયો? આ પરિવર્તન શા માટે થયું? સભ્યોને આ વિશે કેમ ખબર નથી?
નિયમોમાં બદલાવ રાજ્યસભા અને લોકસભામાં સમાનતા લાવશે
આ અંગે ગૃહની અધ્યક્ષતા કરી રહેલા અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું, ‘માનનીય સભ્યો, આ ફેરફાર આજથી નથી પરંતુ એક વર્ષ પહેલા શરૂ થયો છે.’ તેમણે આનું કારણ પણ જણાવ્યું. તેમણે કહ્યું, ‘લોકસભા અને રાજ્યસભા બંને સંસદના ભાગ છે. રાજ્યસભાની જેમ લોકસભામાં પણ તમામ વર્ગ અને સમુદાયના લોકો હોય છે. આમ છતાં લોકસભાની બેઠક અન્ય દિવસોની જેમ દર શુક્રવારે બપોરે 2 વાગ્યે શરૂ થાય છે. તેથી બંને ગૃહોમાં એકરૂપતા લાવવા માટે આ અંગેનો નિયમ રાજ્યસભામાં પહેલેથી જ બનાવવામાં આવ્યો હતો.
ડીએમકેના મુસ્લિમ સાંસદ એમ મોહમ્મદ અબ્દુલ્લાએ ઉપરાષ્ટ્રપતિના આ ખુલાસા પર નારાજગી વ્યક્ત કરી હતી. અબ્દુલ્લાએ કહ્યું, ‘સર, દર શુક્રવારે મુસ્લિમ સભ્યો નમાઝ અદા કરવા જાય છે. તેથી આ દિવસે ગૃહ શરૂ કરવા માટેનો સમય બપોરે 2.30 વાગ્યાનો લાગુ કરવો જોઈએ. પરંતુ તેમની વાત સાંભળ્યા બાદ અધ્યક્ષે તેમને બેસવા કહ્યું અને કહ્યું કે લોકસભા સાથે એકરૂપતા લાવવા માટે એક વર્ષ પહેલા ગૃહનો સમય બદલવામાં આવ્યો હતો. આમાં કંઈ નવું નથી.
આ પણ વાંચો: જાણો… ઈન્ડિયા એલાયન્સની ચોથી બેઠક ક્યાં અને ક્યારે યોજાશે ?