Morbi: બજેટમાં મોરબી (Morbi) સહિત 7 શહેરોને મહાનગરનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે એક રીતે જોવા જઈએ તો આ શહેરો વિકાસશીલ શહેરોની યાદીમાં આવી ગયા છે. પરંતુ મહાનગર જાહેર કરવામાં આવેલ વિકાસશીલ શહેર પૈકી મોરબીની હકીકત કઈક અલગ જ જોવા મળી રહી છે. એક બાજુ લોકો મહાનગરની જાહેરાતને લઈને ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ મોરબી (Morbi)માં ઠેર ઠેર ગટરના ગંદા પાણી,કચરાના ઢગ , મળ સાથે દુર્ગંધ મારતા પાણી રસ્તા પર ફરી વળ્યા છે. તેમજ આવી સમસ્યાઓને કારણે ધંધા રોજગાર ભાંગી પડ્યા છે. અને લોકો અકસ્માત અને બીમારીનો ભોગ બની રહ્યા છે.
ગટરના પાણી નગરપાલિકામાં ફેંકવામાં આવશે તેવી ચીમકી
મોરબી (Morbi) મહાનગર તો બનતું હોય તો બનશે પંરતુ પહેલા નગરપાલિકા સરખી ચાલે અને રોડ રસ્તા સારા થાય તો પણ ઘણું છે. એવું લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. તેમજ આગામી સમયમાં જો આ બાબતે યોગ્ય નિરાકરણ ના આવે તો આ ગટરના પાણી નગરપાલિકામાં ફેંકવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાઈ રહી છે
મોરબીનાં સ્ટેશન રોડ પર છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાઈ રહી છે. તેમજ રોડ પણ ખૂબ ખરાબ પરિસ્થતિમાં છે. અને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી. દુર્ગંધ મારતાં પાણી દુકાનોની સામે ફરી વળ્યા છે. જેને કારણે ગ્રાહકો પણ નથી આવી રહ્યા અને આવા પાણી વચ્ચે રહેતા દુકાનદારો પણ બીમારીનો ભોગ બની રહ્યા છે.
વિશાળ કચરાનો ઢગ જોવા મળી રહ્યો છે
ત્યારે શહેરના મુખ્ય રોડ પર આવેલ મહેન્દ્રપરા વિસ્તારમાં પણ વિશાળ કચરાનો ઢગ જોવા મળી રહ્યો છે. અને અહી મૃત પશુઓ પણ લોકો નાખી જાય છે. અને ભૂતકાળમાં અહી મૃત નવજાત બાળક પણ કોઈ ફેંકી ગયું હતું. ત્યારે આ કચરામાંથી મૃત પશુઓ તેમજ ગંદકીની દુર્ગંધ માથું ફાડી નાખે છે અને આ બાબતે અનેક વખત જિલ્લા કલેકટર અને મોરબી નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. છતાં પણ કચરાના ઢગ યથાવત છે અને અહી જે લોકો કચરો નાખી જાય છે. તેમના પર પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. અને પાલિકા પણ કચરો સાફ કરવામાં ઉણી ઉતરી છે.
ઘડિયાળ ઉદ્યોગનો પાયો નાખવામાં આવ્યો હતો
ત્યારે મોરબીનાં લઘુ ઉદ્યોગના કેન્દ્ર અને ઉદ્યોગ ક્ષેત્રે અને ઘડિયાળ ઉદ્યોગનો જ્યાં પાયો નાખવામાં આવ્યો હતો. તેવા લાતી પ્લોટ વિસ્તારમાં પણ ઠેર ઠેર ગટરનાં ઢાંકણાઓ તૂટેલી ફૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. અને આ ગટરમાંથી ગંદા પાણી રોડ પર ફરી વળ્યા છ. તેમજ ક્યારેક તો આ ખુલ્લી ગટરોમાં અનેક વાહન ચાલકો અને રાહદારીઓ પટકાયા હોવાના બનાવ પણ બન્યા છે. જેને કારણે અહીંના ધંધાર્થીઓ એ આડશો મૂકી છે. જેને કારણે અકસ્માત ન સર્જાય પરંતુ પાલિકા આ સમસ્યા ઉકેલવા અસમર્થ હોય તેવી પરિસ્થિતિ જણાઈ રહી છે.
આ પણ વાંચો – GKTS : ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું સ્નેહ મિલન, અલ્પેશ ઠાકોર રહ્યા ઉપસ્થિત