અહેવાલ– પ્રદિપ કચિયા, અમદાવાદ
રાજકોટમાં કરોડોનું ફૂલેકું ફેરવનાર પ્રદીપ ડાવેરાના અપહરણ મામલે બોપલ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જોકે તપાસ દરમિયાન હકીકત સામે આવી કે અપહરણ અને ખંડણીની બાતમી દુબઈથી આવી હતી જે બાદ છ લોકોએ અપહરણ કરી 10 કરોડની ખંડણી માગી હતી જે અંગે ફરિયાદ નોંધાતા બોપલ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે..
10 કરોડની ખંડણી માંગી
અમદાવાદની બોપલ પોલીસે પ્રકાશ ભરવાડ, ભુપત ભરવાડ, શૈલેષ ભરવાડ અને કાંતિલાલ ભેસદડીયાની ધરપકડ કરી છે. આ ચાર આરોપીઓએ 19 તારીખના રોજ મૂળ રાજકોટના રહેવાસી અને અમદાવાદ સારવાર માટે આવેલા પ્રદીપ ડાવેરાનું અપહરણ કરી દંતાલી પાસે અવાવરું જગ્યાએ લઈ જઈ ગોંધી રાખી 10 કરોડની ખંડણી માંગી હતી.જે ખંડણીની જવાબદારી પ્રદીપના મિત્ર સાગર કુઘસીયા એ સ્વીકારતા તેનો છુટકારો થયો હતો . જે બાદ 26 તારીખે બોપલ પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાઈ હતી. જે ગુનામાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જોકે અન્ય ત્રણ ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે..
કરોડોનુ ફૂલેકું ફેરવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા
અપહરણ અને ખંડણીના ગુનામાં અપહરણ કરનાર આરોપીઓની ધરપકડ થતા પૂછપરછમાં આ ગુનાના અન્ય ત્રણ આરોપી સુરેશ ઉર્ફે ભૂરો જોગાવા, રામભાઈ ભરવાડ અને મોનીલ નાકરાણીની સંડોવણી સામે આવી છે જેમાં મોનીલે દુબઈથી પ્રદીપનું અપહરણ કરી રૂપિયા માંગવાની ટીપ સુરેશ ઉર્ફે ભૂરો જોગાવાને આપી હતી જે બાદ તમામ આરોપીએ ભેગા મળી તેનું અપહરણ કરી ગાંધી રાખી ખંડણી વસૂલવા તેને માર પણ માર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે અપહ્યત પ્રદીપ અને ટીપ આપનાર મોનીલ અને અપહરણમા સંડોવાયેલ કાંતિભાઈ અગાઉ ભાગીદારો હતા અને 2015માં રાજકોટમાં આશિષ ક્રેડિટ સોસાયટી શરૂ કરી હતી જે કોરોનામાં બંધ થતા કરોડોનુ ફૂલેકું ફેરવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જેથી અપહરણ કયા કારણોસર કરવામાં આવ્યું તેની પોલીસ તપાસ કરી રહી છે..
ફરિયાદી અને આરોપી તમામ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે
મહત્વનું છે કે ફરિયાદી અને આરોપી તમામ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ફરિયાદી વિરુધ્ધ રાજકોટ અને જામનગરમાં કરોડોનું ફૂલેકું ફેરવવા બદલ ફરિયાદ નોંધાવી હતી સાથે જ ઝડપાયેલા તથા ફરાર આરોપીઓ વિરુદ્ધ પણ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયા છે અને કાર્યવાહી કરવામાં આવી છે. જો કે હજી સુધી કયા કારણોસર અપહરણ કરવામાં આવ્યું અને ખંડણી માંગવામાં આવી તે હકીકત સામે આવી નથી.
આ પણ વાંચો—અમદાવાદમાં 96 લાખના ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો