Home » હું તો આવો જ હતો, માત્ર તને વહેમ હતો……
હું તો આવો જ હતો, માત્ર તને વહેમ હતો……
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
68
ઘણી વખત આપણે વીચારીએ છીએ કે વ્યક્તિ પહેલા આવુ ન હતું, હવે બદલાઈ ગયું. હકીકતમાં એ વ્યક્તિ બદલાયુ નથી હોતું. પણ, એ વ્યક્તિના હૈયાના પેટાળમાં ક્યાંકને ક્યાંક વ્યક્તિનું એ વ્યક્તિત્વ દટાયેલું જ હોય છે. જેમ ક્યાંક પડેલી ધૂળના પરત ઉતરે છે. તેમ સમયાંતરે વ્યક્તિના વ્યક્તિત્વ પરની પરત પણ ઉતરે છે. એમાં કેટલાક અંશે કેટલાક પરિબળો ભાગ ભજવતા હોય છે.
સત્તા – કેટલીક વાર માણસના વર્તન પાછળ સત્તાનો સિંહફાળો હોય છે. સત્તા મળવા પહેલા જે માણસ શાંત સમુદ્ર જેવો હોય એ જ માણસ સત્તા મળતા તોફાની દરિયો બનીને સામે આવે છે. ત્યારે એ માણસ બદલાયેલો ન કહેવાય, પરંતુ એ વ્યક્તિનું વ્યક્તિત્વ જ હોય છે જે વ્યક્તિની અંદર છુપાયેલું હોય છે. પરંતુ, સત્તા મળતા જ ઉછાળા મારીને બહાર આવે છે. સત્તા એવી વસ્તુ છે જે દરેક વ્યક્તિના માટે પચાવવી સરળ નથી હોતી. જે માણસ સત્તાને પચાવી ગયું તેના માટે સત્તા સૌંદર્ય છે. પરંતુ, જેને સત્તાનો અપચો થયો એના માટે સત્તા કીચડ સમાન છે.
નાણાં — કેટલીક વખત માણસના વર્તનમાં બદલાવ આવવા પાછળ નાણાં પણ મહત્વનો ભાગ ભજવે છે. નાણાં વ્યક્તિને સદબુદ્ધિ પણ આપે છે તો નાણાંથી વ્યક્તિ ર્દુબુદ્ધિ તરફ પણ પ્રેરાય છે. વ્યક્તિએ વસ્તુના પ્રભાવમાં કઈ રીતે અનુસરે છે એ વ્યક્તિના વ્યક્તિત્વને આધારિત જ હોય છે.
પ્રેમ- કેટલીક વખત પ્રેમની અતિશયોક્તિ પણ વ્યક્તિના વર્તન પાછળ મહત્વનો ભાગ ભજવી જાય છે. પ્રેમ વ્યક્તિના જીવનમાં શૃંગાર પણ ભરી દે તો પ્રેમ વ્યક્તિને એકાંત તરફ પણ ધકેલી શકે છે. પ્રેમ વ્યક્તિનું જીવન શણગારી પણ શકે છે તો પ્રેમ વ્યક્તિનું જીવન વેરવિખેર પણ કરી શકે છે.
અહંકાર- અહંકાર એક એવો કીડો છે, જે ધીરે-ધીરે સરકીને વ્યક્તિના મગજ સુધી પહોંચે છે અને વ્યક્તિના સંબંધને કોરી ખાય છે. અહંકારમાં મદમસ્ત વ્યક્તિ કેટલીક વખત એવું વર્તન કરી બેસે છે કે પોતાની જાતે જ સંબંધનું ગળું ઘોંટી દે છે.
વિશ્વાસઘાત- આમ, તો વિશ્વાસ શબ્દમાં જ વિષનો વાસ છે. જયારે વ્યક્તિ કોઈ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરે છે ત્યારે આંખો બંધ કરીને તે વ્યક્તિની દરેક વાતોને અનુસરે છે. પરંતુ જયારે એ વ્યક્તિ જ વિશ્વાસઘાત કરે ત્યારે વિશ્વાસ કરનાર વ્યક્તિ અંદરથી હચમચી ઉઠે છે. અને વ્યક્તિ ન ઈચ્છે તો પણ તેના વર્તનમાં બદલાવ આવી જાય છે.
સ્વાર્થ- સ્વાર્થ એવો જાદુગર છે કે ભલભલા વ્યક્તિના વાણી અને વર્તનને ક્ષણભરમાં બદલી દે છે. જયારે વ્યક્તિને કોઈ સ્વાર્થ હશે ત્યારે તમારી સાથે મોઢામાં સાકર રાખીને તમારી સાથે વાત કરશે. અને જયારે સ્વાર્થ પૂરો થશે ત્યારે એ જ વ્યક્તિની વાણીમાં કડવાશ ભળતા પણ બહુ વાર નથી લગતી.
ઘટના- કેટલીક વખત ઘટેલી અમુક ઘટના પણ વ્યક્તિના વ્યક્તિત્વમાં બદલાવ લાવવા પાછળ મહત્વનો ભાગ ભજવતી હોય છે. કેટલીક ઘટના વ્યક્તિના માનસપટ પર ઘેરી છાપ છોડી જાય છે. જેનો પ્રભાવ વ્યક્તિના વર્તન પર અચૂકપણે જોવા મળે છે.
આમ, હકીકતમાં વ્યક્તિના ચહેરા પર નકાબ નથી હોતા. પણ વ્યક્તિના હૈયાના પેટાળમાં જ અલગ-અલગ પરત ચઢ્યાં હોય છે. જે સમયાંતરે વ્યક્તિના સ્વભાવમાં ઉભરીને બહાર આવતા હોય છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject