અહેવાલઃ હરેશ ભાલિયા, જેતપુર
જેતપુરમાં સરદાર પટેલ કન્યા કેળવળી મંડળમાં અભ્યાસ કરતી તેજસ્વી વિદ્યાર્થીનીનું આજે હોસ્ટેલમાં હાર્ટએટેકના કારણે મોત થતાં પરિવારજનો તેમજ કોલેજ વર્તુળો, વિદ્યાર્થીઓમાં શોકનું મોજું ફેલાયું છે. પ્રાપ્ત વિગતો મુજબ જામકંડોરણા તાલુકાના જામદાદર ગામની રહેવાસી હાલ જેતપુરમાં સરદાર પટેલ કન્યા કેળવણી મંડળમાં BCAમાં અભ્યાસ કરતી કશીશ સતિષભાઈ પીપળવા ઉ.વ.18 નામની વિદ્યાર્થીની હોસ્ટેલમાં ઢળી પડતાં તેણીને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવાઈ હતી. પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ કશીશને મૃત જાહેર કરી હતી.
છાત્રાના પરિવારજનોએ પોલીસને વિગતો આપી હતી કે મૃતક વિદ્યાર્થીની કશિશને બે વર્ષથી હૃદયના વાલ્વની બીમારી હતી અને તેની દવા ચાલતી હતી. પણ આજે સવારે અચાનક હોસ્ટેલમાં ઢળી પડ્યા બાદ દવાખાને ખસેડાતા તબીબોના તારણ મુજબ તેમનું મૃત્યુ હાર્ટએટેકથી થયાનું બહાર આવ્યું હતું. દરમિયાન વિદ્યાર્થીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જેતપુર શહેર પોલીસ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવથી જામદાદર ગામના પટેલ સમાજ, કોલેજ વર્તુળો અને વિદ્યાર્થી છાવણીમાં શોકનું મોજું ફેલાયું છે.