ગુજરાત યુનિવર્સિટી ની બોયઝ હોસ્ટેલના વિભાગ A અને B ના વિદ્યાર્થીઓ વચ્ચે ગત મોડી રાત્રીના સમયે તંગદિલીભરી સ્થિતિ સર્જાઈ હતી. જેમા પથ્થરમારો અને તોડફોડ કરતા અમુક વિદ્યાર્થીઓ નજરે પડ્યા હતા. અમુક વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં આવીને બાઈક તોડ્યા હતા અને હોસ્ટેલના રૂમમાં પથ્થરમારો કરવા લાગ્યા હતા. હોસ્ટેલમાં દક્ષિણ આફ્રિકા, ઉઝબેકિસ્તાન અને શ્રીલંકાના 4 વિદ્યાર્થીઓ અને સ્થાનિક જૂથો વચ્ચે ઝઘડો શરૂ થયો અને મારામારી થઈ હતી.
યુનિવર્સિટીના કુલપતિ દ્વારા કેટલાક ફેરફારો કરવામાં આવ્યા
આ બનાવ બન્યા બાદ આ મુદ્દો રાષ્ટ્રીય લેવલે ચર્ચાનો વિષય બન્યો હતો. આ ઘટના અંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ બેઠક બોલાવી હતી અને આ પહેલા તેમણે DG અને CP ને તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યા હતા. આ ઘટના બાદ કેટલાક વિધાર્થીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી, હવે મારામારી કેસ બાદ ગુજરાત યુનિવર્સિટી હરકતમાં આવી છે, યુનિવર્સિટીના કુલપતિ દ્વારા કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે.
વિદેશી વિદ્યાર્થીઓને નવી હોસ્ટેલ ફાળવવામાં આવી
ગુજરાત યુનિવર્સિટી મારામારી કેસ બાદ વિદેશી વિદ્યાર્થીઓને નવી હોસ્ટેલ ફાળવવામાં આવી છે. આ નવી હોસ્ટેલમાં વિદ્યાથીઓને નવા રૂમની ફાળવણી કરી દેવામાં આવી છે. આ વિદેશી વિધાર્થીઓને NRI હોસ્ટેલની ફાળવણી કરવામાં આવી છે. આ હોસ્ટેલમાં બધી જ અધ્યતન સુવિધા છે. CCTV થી સજ્જ આ હોસ્ટેલમાં 92 રૂમ છે.
ઉપરાંત આ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ ઉપરાંત કોઈપણ બહારના વ્યક્તિને પ્રવેશ નહીં મળે એવા બોર્ડ પણ બહાર લગાડવામાં આવ્યા છે. હવે વિદ્યાર્થીઓ માટે નવા નિયમ મુજબ જો કોઈપણ મુલાકાતીને મળવું હોય તો વિદ્યાર્થીઓએ ખુદ હોસ્ટેલની બહાર આવવું પડશે.
300 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે
આ મામલે અમદાવાદ પોલીસ કમિશનરે મીડિયાને જણાવ્યું હતું કે, ઘટનાની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે. અત્યાર સુધી 20થી 25 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે કુલ 9 ટીમ બનાવી તપાસ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, ઘટના બન્યાની 5 મિનિટમાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ આદરી હતી. JCP ક્રાઇમના વડપણ હેઠળ તપાસ કરાશે. કેસની તપાસ માટે વિશેષ તપાસ ટીમ બનાવી છે. જણાવી દઈએ કે, 300 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.
આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલા બાદ VNSGU હરકતમાં આવી