આવતીકાલે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું અને ગુજકેટની પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવશે. આવતીકાલે સવારે 9 વાગ્યે શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર પરીણામ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપેલા 1.26 લાખ વિદ્યાર્થીઓ 6357300971 વોટ્સએપ નંબર પરથી પણ પરીણામ જાણી શકશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ અને નમૂનાના નિયત ફોર્મ(પરિપત્ર) ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.
ગુજરાતમાં 14 માર્ચ, 2023થી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ હતી. જેમાં રાજ્ય ભરમાંથી કુલ 16.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવામાં આવેલી 12ની પરિક્ષાના પરિણામની રાહ હવે ખતમ થઈ ગઈ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સવારે 9 કલાકે વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.