સરકારની મહત્વકાંક્ષી નલ સે જલ યોજનામાં પોલંપોલ થઇ હોવાનું સામે આવી રહ્યું છે. આ યોજનામાં ભારોભાર ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. જણાવી દઇએ કે, મહીસાગર જિલ્લામાં વાસ્મોના કામમાં ઘોર બેદરકારી સામે આવી છે. નલ સે જલ યોજનામાં વાસ્મોના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની સહિયારી ભાગીદારીથી મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે.
મળી રહેલી માહિતી અનુસાર, વાસ્મો યોજના માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, પરંતુ વાસ્મોના અધિકારીઓ અને કોન્ટ્રાકટરોની મિલી ભગતથી લાખો રૂપિયા ચાઉ થઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે. સંતરામપુર તાલુકાના પરથમપુરમાં પણ નલ સે જલ યોજનામાં નબળી કામગીરીની ફરિયાદો ઉઠી છે. બે વર્ષ પહેલા ગામમાં નળ તો નાખી દેવામાં આવ્યા, પણ તેમાં જળ આજદિન સુધી નથી આવ્યું. અંદાજે 33 લાખ રૂપિયા ખર્ચીને પરથમપુરમાં નલ સે જલ યોજના માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. તેમ છતાં ગ્રામજનો તો પાણી માટે પોકાર જ લગાવી રહ્યા છે. કોન્ટ્રાકટરે કરેલું કામ ખુદ જ ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યું છે. કોઈક જગ્યાએ પાઇપ લાઇન માત્ર અડધો ફૂટ દબાવીને છોડી દેવામાં આવી, તો ગામના કેટલાક વિસ્તારમાં તો પાઇપ બહાર જ છોડી દેવામાં આવી છે. બે વર્ષ વીતી ચૂક્યા હોવા છતાં ગામમાં પાણી ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા દરેક ઘર સુધી પીવાનું પાણી પહોંચે તે માટે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘નલ સે જલ’ યોજના શરૂ કરવામાં આવી હતી. જેમાં ‘જ્યાં ઘર હશે ત્યાં નળ હશે’તેવા સંકલ્પ સાથે સરકાર આગળ વધી રહી છે. દરેક ઘર સુધી પીવાનું શુધ્ધ પાણી પહોંચે તે માટે ‘નલ સે જલ યોજના’ અંતર્ગત જિલ્લામાં દરેક ઘરમાં પાઈપલાઈન દ્વારા પાણી પહોંચાડવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. ત્યારે મહીસાગર જિલ્લાના પરથમપુર ગામમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલી યોજનાને બે વર્ષ ઉપર થયા હોવા છતાં ગ્રામજનોને એક ટીપું પાણી પણ નસીબ થયુ નથી.
આ પણ વાંચો – પોલીસ સમક્ષ હાજર થયા પહેલા ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા જાણો યુવરાજસિંહે શું કહ્યું?