
‘મારા
ગર્ભમાંથી જે લઈને આવ્યો હતો એ પણ આજે
એના બાલમોવાળા ઉતર્યાં એની સાથે ઉતરી ગયું.’ આંખો સામે દીકરા શાંતનુની બાબરી ઉતરવાની વિધિ થઈ રહી હતી. પિંકીની આંખોમાં ચોમાસુ ઊભરી આવ્યું હતું.
ડિટ્ટો
આવો જ સીન વાંચ્યો
છેને!
શિશિર
રામાવતના હાથે લખાયેલી નવલકથામાં?
જી
હા, ફીલિંગ હતી પત્ની પિંકીની. એની આ અનુભૂતિને શિશિર
રામાવતે પોતાની નવલકથામાં બખૂબી ઉતારી છે. ‘ચિત્રલેખા’માં છપાયેલી ધારાવાહિક નવલકથા ‘મને અંધારા બોલાવે મને અજવાળા બોલાવે’. આ નવલકથાની નાયિકા
નિહારિકાના દીકરાની બાબરીના દિવસે એની જે લાગણી છે એનું બીજ તો પિંકીના અનુભવ સાથે જ રોપાઈ ગયું
હતું.
પોતાના
દીકરાની બાબરી ઉતારવા સમયે શું થયું હતું એ વાતને આજે
પણ યાદ કરીને પિંકી રામાવતની આંખોના ખૂણાં થોડાં ભીના થઈ જાય છે.
તમે
એમ કહોને કે અમે એ નવલકથા જીવ્યાં
છીએ. શિશિર અને પિંકી રામાવત એ નવલકથાને યાદ
કરીને યાદોમાં સરી પડે છે. દીકરાની બાબરીનો પ્રસંગ હોય કે કથ્થક શીખવતાં ગુરુમાની વાત હોય કેટકેટલીય યાદો અને પ્રસંગો શબ્દસ: શિશિરભાઈની કલમે આ નવલકથામાં ખીલ્યાં
હતાં.
મુંબઈમાં
વસી ગયેલા પણ મૂળ જામનગરના શિશિર રામાવતની ક્રિએટિવિટીની વાત આજે પિંકીબહેન સાથે કરવી છે. પત્નીનો સાથ હોય તો સર્જનાત્મકતાને ખીલવા માટે આકાશ મળી રહે છે તેનું આદર્શ ઉદાહરણ છે રામાવત દંપતી. પતિના લેખો, નવલકથા વાંચવા માટે પત્નીએ ગુજરાતી શીખ્યું અને ગુજરાતીનો પાયો મજબૂત બને એ માટે દીકરાએ
પોતાની શાળા બદલાવી. માતૃભાષા પ્રત્યેનો આ પરિવારનો અપ્રતિમ
લગાવ દિલને સ્પર્શી જાય તેવો છે.
મા–બાપે તો દીકરા શિશિરને એન્જિનિયર બનાવવો હતો. પણ દીકરાને શબ્દોનું એન્જિનિયરીંગ કરવું હતું. જ્યાં સુધી શબ્દોનો એને સાથ ન મળ્યો ત્યાં
સુધી એનો જીવ અંદર કેવો ઘૂંટાતો હશે એની તો કલ્પના જ કરવી રહી.
કેમકે, એન્જિનિયરીંગના થોથાં વાંચવાની જગ્યાએ આ યુવકને પન્નાલાલ
પટેલ, ક.મા.મુનશી, ચંદ્રકાંત બક્ષી આકર્ષતા હતાં. કૉલેજની લાયબ્રેરીમાં ભણવાના પુસ્તકો તરફ પગ વળવાને બદલે કલાકોના કલાકો સુધી ઇતર વાચન વધુ આકર્ષતું હતું. હા, એ સમયે તો
એમના માટે આ ઈતર વાચન
જ હતું. ત્યારે તો
એ યુવકને પણ
ખબર ન હતી કે,
આ ઈતર વાચન
એક દિવસ આજીવિકા બની રહેશે.
વડોદરામાં
આજે તો ઘણાં ફલાય ઓવર બની ગયા છે. પણ શિશિર રામાવત જ્યારે વડોદરા અભ્યાસ માટે આવેલાં ત્યારે ત્યાં એક જ ફલાય ઓવર
હતો. શાસ્ત્રી બ્રિજ કે પોલિટેકનિકનો બ્રિજ. આ બ્રિજની નીચેથી
રોજ અનેક ટ્રેન પસાર થતી. ‘રોજ આત્મહત્યા કરવાનો વિચાર આવતો. પણ કોઈ કારણોસર બ્રિજ પરથી પડતું ન મૂકી શકતો.’
પત્નીના સાથ અને સહકારની વાત કરતાં પહેલાં શિશિરભાઈ આ વાત કહેવાનું
ચૂકતા નથી. ‘ફૂલછાબ’ના તંત્રી કૌશિક મહેતાએ પુસ્તકનું સંપાદન કર્યું છે, ‘લખવું એટલે કે…’ જેમાં શિશિરભાઈએ ખૂબ જ નિખાલસતાથી પોતાના
મનને જે નેગેટિવ વિચારો ઘેરી વળતાં તેની વાત લખી છે. સફળ થઈ ગયા પછી પોતાના જ ભૂતકાળની નેગેટિવ
વાતો વ્યક્ત કરવા માટે પણ હિંમત જોઈએ એવું લાગે છે.
પોતાના
નકારાત્મક વિચારોને ડાયરીના પાને ટપકાવી લેવાથી બીજે દિવસે જીવવાની હિંમત મળી જતી. નેગેટિવ વિચારો ઘેરી વળતાં એ પાનાંઓને હવે
સ્ટેપલર પીનથી ભેગાં કરી દીધાં છે. એવા ભીડી દીધાં છે કે, એ શબ્દો મનને
પણ હવે સ્પર્શે નહીં. આજે પણ ડાયરી લખે છે. પણ નિયમિત રીતે નથી લખી શકાતી. કૉલેજના એ દિવસોમાં જીવ
અંદર સોસવાતો હતો. ડાયરીના પાના પરથી બહાર નીકળીને માતા–પિતાને સંબોધીને એક લાંબો કાગળ લખ્યો. જેમાં ખોટા ફિલ્ડમાં આવી ગયાની વેદનાને શિશિરભાઈએ શબ્દમાં ઉતારી. શિશિર રામાવતનું ઓરિજીનલ નામ તો જીતેન છે. સ્કૂલના દિવસોમાં એમણે જીતેન રામાવત સાથે ઉપનામ શિશિર એવું લખવાનું શરુ કર્યું અને બાદમાં એ નામ અપનાવી
લીધું. પિતા તુલસીદાસ વિશે દિલને સ્પર્શી જાય એવો લેખ એમણે પોતાના બ્લોગ ઉપર મૂક્યો છે. શિશિરભાઈની એમના પિતા
પ્રત્યેની લાગણી શબ્દોની તાકાત અને અભિવ્યક્તિમાં નીખરી ઊઠી છે.
શિશિરભાઈ
કહે છે, ‘મનમાં અનેક સવાલો હતાં પણ મને જે સૂઝ્યું એ લેટરમાં લખી
નાખ્યું તેનાથી મને બહુ શાંતિ થઈ. લેટર વાંચીને મમ્મી–પપ્પા વડોદરા આવી પહોંચ્યા. મને ઠપકો ન આપ્યો પણ
મને કહ્યું કે, તને જે કરવું હોય તે કર. અમને પહેલેથી કહી દીધું હોત તો અમે તને અહીં ભણવા જ ન મોકલત.
આજે પણ મને ઘણી વખત સવાલો થાય છે કે, મારા જન્મદાતા મારી વેદનાને કેમ નહોતા સમજતાં? પણ હું વ્યક્ત ન થાઉં તો
ક્યાંથી સમજે એ સમજ હું
મોટો થયો ત્યારે આવી. ક્રિએટિવ ફિલ્ડમાં જવા માટે મારું દિલ થનગનતું હતું. એન્જિનિયરિંગના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા કૂદાવીને મુંબઈ આવી ગયો. વડોદરા ભણતો હતો ત્યારે નાની વાર્તાઓ લખતો હતો. જે ‘પરબ’ અને ‘કંકાવટી’માં પ્રકાશિત થઈ હતી. આ બે મેગેઝિનમાં
તમારા નામ સાથે કંઈ છપાય એટલે જાણે તમારા શબ્દોને આઈએસઆઈનો માર્કો મળી ગયો છે એવો અનુભવ થાય. એ દિવસોમાં જ
‘અભિયાન’નો હું ફેન બની ગયો. ‘અભિયાન’માં જ્યોતિષ જાનીની નવલકથા છપાતી. એમને વડોદરામાં હું મળ્યો. એકાદ મુલાકાત પછી એમને મારી લેખન પ્રત્યેની રુચિ અને ગંભીરતા વિશે સમજાયું. તેઓ મારી સાથે મુંબઈ આવ્યાં. ‘જન્મભૂમિ’ અને ‘મુંબઈ સમાચાર’ એ બંને દૈનિકોની
ઓફિસમાં મને મળવા માટે લઈ ગયાં. ‘જન્મભૂમિ’માં એ દિવસોમાં તરુબહેન
કજારિયા સિનિયર પોસ્ટ પર હતાં. એમણે મારી વાર્તાઓ વાંચેલી. એમણે મારો ઈન્ટરવ્યૂ લીધો અને એ પછી બીજાં
બે ઈન્ટરવ્યૂ થયાં. બે અઠવાડિયામાં મને ‘જન્મભૂમિ’માં નોકરી મળી ગઈ.’
‘સર્જકના
સાથીદાર’ની વાતમાં લેખકની કરિયર વિશે વાત લખવી બહુ જ મહત્ત્વની છે
આથી જ શિશિર રામાવતની
કરિયર વિશેની રસપ્રદ વાતો લખી રહી છું. એક સમયે આમ આદમીની જિંદગી જીવતા માણસના લેખો લાખો નકલોનું સરક્યુલેશન
ધરાવતાં ‘દિવ્ય ભાસ્કર’ દૈનિકના પાના પર આવી રહ્યાં છે એમની લેખક બનવા સુધીની સફર કેવી છે એ વાંચવાનું પણ
એમના લેખો વાંચવા જેવું જ રસપ્રદ છે.
1995ની સાલમાં
‘મિડ ડે’ અને ‘સમાંતર પ્રવાહ’ બંને દૈનિકોની ખૂબ ચર્ચા રહેતી. આ જ દિવસોમાં
શિશિર રામાવતે ‘જન્મભૂમિ’ ગ્રૂપના પોતાના બોસ કુન્દન વ્યાસને યુથને લગતું એક પાનું ‘હિપ હિપ હુર્રે’ શરુ કરવું જોઈએ એ આઈડિયા આપ્યો.
ફક્ત ત્રણ મહિનાની નોકરી બાદ કુન્દનભાઈએ શિશિર રામાવત પર ભરોસો મૂક્યો અને એમને એક પાનું આપ્યું. એ પછી તો
‘સમાંતર પ્રવાહ’, ‘ચિત્રલેખા’, ‘મિડ ડે’ અને ‘અભિયાન’માં કામ કર્યું. ‘અહા! જિંદગી’ મેગેઝિનમાં પણ ફલક નામની કૉલમ લખી અને સિનિયર પોસ્ટ પર ફરજ બજાવી છે. ‘સંદેશ’ દૈનિકમાં તેમની ધારાવાહિક નવલકથા ‘અપૂર્ણવિરામ’ પણ વાચકોએ વખાણી હતી.
શિશિર
રામાવત કહે છે, ‘મારી પહેલી ધારાવાહિક નવલકથા ‘વિક્રાંત’ ‘અભિયાન’માં છપાઈ. જે ‘અભિયાન’ને વાચકના પ્રતિભાવ સ્વરૂપે પત્રો લખતો અને એ જ જગ્યાએ
હું સંપાદક બન્યો તેનો આનંદ આજે પણ દિલમાં અકબંધ છે. સૌથી ગૌરવની વાત તો એ હતી કે,
જે બક્ષી સાહેબને હું એક બેઠકે વાંચતો તેમની સૌથી પહેલી કોપી મને વાંચવા મળતી. ઘણી વખત તો સ્વપ્નવત્ લાગતી વાત સાચે જ જીવાતી હોય
છે.’
પોતાનું
પત્રકારત્વ અને લખેલી સ્ટોરી જ એમની મેટ્રીમોનિયલ
એડ બની ગઈ! શિશિરભાઈના પત્ની પિંકી કહે છે, ‘મરાઠી ચિત્રલેખામાં શિશિરની લખેલી કરિયર કાઉન્સેલીંગ વિશેની સ્ટોરી છપાઈ હતી. રામાવત અટક વાંચીને મારા પિતા ઓમપ્રકાશ રામાવતે થોડી વધુ તપાસ કરાવી. અમારા કોમન સંબંધીઓ દ્વારા શિશિર અપરિણીત છે એ વાત ખબર
પડી અને પછી અમે મળ્યાં અને લગ્ન થયાં. હું મૂળ તો આકોલી ગામની. શિશિરને મારી તસવીરો મોકલી હતી…’
આ
વાત ચાલતી હતી ત્યાં જ શિશિરભાઈએ કહ્યું,
‘પિંકીની એક તસવીર હતી કથ્થક નૃત્ય કરતી હોય એવી. એ તસવીરે મારું
મન મોહી લીધું. ‘મને અંધારા બોલાવે મને અજવાળા બોલાવે’ એ નવલકથાની નાયિકા
નિહારિકાને કથ્થકની ડાન્સર બતાવી હતી. એ કલ્પના પણ
પિંકીના કથ્થક ડાન્સ અને પેશન્સમાંથી જ આવી હતી.’
નિહારિકાની
વાત નીકળી એટલે તરત જ પિંકીબહેન કહે
છે, ‘એ નવલકથામાં મંદિરા
નામનું સફળ પણ થોડું વેમ્પ ટાઈપ પાત્ર હતું. એ પાત્રાલેખન થતું
હતું ત્યારે મેં શિશિરને કહેલું કે, આ થોડું ઓવર
જાય છે. કરોડોની આસામી એવી બિઝનેસવુમન પોતાને ગમતા પુરુષને પામવા માટે એક લેવલથી નીચે ન જાય. આમાં સુધારો
કરો. આ મુદ્દે અમારાં
બંને વચ્ચે બહુ જ દલીલો થઈ
હતી. એમ કહોને અમે રીતસર ઝઘડ્યાં હતાં. મારી સાચી વાત શિશિર ન માને ત્યાં
સુધી હું એનો કેડો ન મૂકું!’
શિશિરભાઈ
કહે છે, ‘તમે એમ લખોને કે, એ નવલકથા અમે
જીવ્યા હતાં. કેમકે, શાંતનુ જ્યારે પિંકીના પેટમાં હતો ત્યારે પિંકીના ઉપસેલાં પેટ ઉપર સોનોગ્રાફીનું મશીન ફરતું હતું અને અમે દીકરાની મુવમેન્ટ જોઈ હતી એ લાગણી પણ
નવલકથામાં રિફ્લેક્ટ થાય છે. નવલકથા અને નાટકો લખું ત્યારે તો મને પિંકીનો પ્રતિભાવ જોઈએ જ. એને વંચાવ્યા વિના આગળ ન વધું. વળી, કોઈ પ્લોટ
મનમાં ઘડાતો હોય ત્યારે પણ અમે ચર્ચા કરીએ.’
અત્યારે
શિશિર રામાવાત ‘દિવ્ય ભાસ્કર’ દૈનિકની રવિવારની રસરંગ પૂર્તિમાં
‘મલ્ટીપ્લેક્સ’
અને બુધવારની કળશ પૂર્તિમાં
‘ટેક ઓફ’ નામની
કૉલમ લખે છે. સાથોસાથ ‘ચિત્રલેખા’માં વાંચવા જેવું કૉલમ પણ નિયમિત રીતે આવે છે. હજુ થોડા સમય પહેલાં જ તેમની ક્ષણ-પ્રતિક્ષણ નામની નવલકથા
ચિત્રલેખાના વાચકોએ માણી. વાંચવા
જેવું કૉલમની વાત નીકળી એટલે તરત જ પિંકી રામાવતે
પોતાની વાત કહી કે, ‘થોડાં સમય પહેલાં એક લગ્નમાં અમારે જવાનું હતું. હું લગ્નમાં પહોંચી ગઈ. અમારાં બંનેના લગ્ન જે વ્યક્તિના કારણે થયાં એ વ્યક્તિના પરિવારમાં
લગ્નનો પ્રસંગ હતો. બધાં જ
લોકોને ખબર હતી કે, શિશિર આવવાના છે. હું એમની રાહ જોતી હતી ત્યાં જ એક ટોન
સાથે મેસેજ આવ્યો કે, સોરી હું લગ્નમાં નહીં આવી શકું. મેં એક બુક વિશે રિવ્યુ લખીને મોકલ્યો હતો, પણ છેલ્લી ઘડીએ તંત્રીએ બીજી બુક વિશે રિવ્યુ કરીને મોકલવા કહ્યું છે. ડેડલાઈન માથા ઉપર છે. તું લગ્નમાંથી ફ્રી થઈને તારી રીતે ઘરે આવી જજે. મારી હાલત તો રડવા જેવી થઈ ગઈ. છેવટે એ લોકોએ જ
કહ્યું કે, આ લેખનની દુનિયાના
લોકોનું એવું જ હોય. જવા દે…’
પિંકીબહેન
કહે છે, ‘હવે તો શિશિર ઘરે બેસીને જ એનું કામ
કરે છે. પહેલાં તો ‘મિડ ડે’માં નોકરી કરતાં ત્યારે મધરાતે ઘરે આવતા. દીકરા શાંતનુ માટે હવે મને કોઈ ચિંતા નથી રહેતી. ઘરે એની પૂરતી કાળજી લેવાય અને કોઈ મહેમાન આવ્યા હોય તો પણ તેમનું સચવાઈ રહે છે. હું એલઆઈસીમાં નોકરી કરું છું. બંને નોકરી કરતાં હતાં ત્યારે હું ચાહવા છતાં અને ડિઝર્વ કરતી હોવા છતાં પ્રમોશન નહોતી લેતી. શિશિરનો સાથ મળ્યો કે તરત જ મેં પ્રમોશન
લીધું. આજે હું આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર છું.’
‘મહેમાનોની
અવરજવરને કારણે લખવાનું ખોટી થાય? ડેડલાઈન…’
આ
વાત પૂરી થાય એ પહેલાં જ
પિંકીબહેન કહે છે, ‘શિશિર કોઈ દિવસ ડેડલાઈન નથી ચૂક્યા. થોડા સમય પહેલાં ભાવનગરમાં મારા નણંદની દીકરી એકતાના લગ્ન હતાં. અમે બધાં
જ લગ્ન એન્જોય
કરતા હતાં. અને શિશિર એમનો લેખ લખવા બેઠા હતાં. લેખકને ડેડલાઈન સાચવવી જ પડે એ
બધાં જ લોકોને ખબર
છે આથી કોઈ દિવસ તકલીફ નથી પડતી. ઘરે આવતાં લોકો પણ એડજસ્ટ થઈ જાય છે. લેખનની દુનિયામાં નામ છે તેની ડેડલાઈન જાળવવા માટે કલમનું માન તો રાખવું જ જોઈએ.’
રામાવત
પરિવારનું ઘર મુંબઈના અંધેરી વિસ્તારમાં છે. રસોડાં અને લખવાની નાની રુમ વચ્ચે ખુલ્લી બારી છે. શિશિરભાઈનું લખવાનું ચાલતું હોય ત્યારે પણ આ ખુલ્લી બારી
કદીય બાધારૂપ નથી બની.
લેખક–સંપાદક–પત્રકાર એ પછી સિરિયલના
લેખક પણ ખરાં. ‘એક મહલ હો સપનોં કા’ અને બાલાજી ટેલિફિલ્મસ માટે ‘કહીં તો મિલેંગે’ સિરિયલ લખી. પિંકીબહેન કહે છે, ‘શિશિર સિરિયલો લખતા ત્યારે હું કોઈને ખાસ ન કહેતી. હું એમને
કહેતી કે, સાસુ–વહુ વાળી સિરિયલો ન લખશો પ્લીઝ.
પણ જ્યારે એમણે આમીર ખાન પ્રોડક્શન સાથે કામ કર્યું ત્યારે હું બહુ જ રાજી થયેલી.
મારા માટે એ ગૌરવભર્યું સંભારણું
છે. મને ઓળખતાં તમામ લોકોને હું એકદમ અદબથી કહેતી કે, શિશિર આમિરખાન પ્રોડક્શન સાથે કામ કરે છે.’
શિશિરભાઈ
કહે છે, ‘લગાન’ ફિલ્મ સાથે જોડાયેલા સત્યજીત ભટકળે ‘સ્પિરિટ ઓફ લગાન’ લખ્યું. એ પુસ્તકનો અનુવાદ
મેં કર્યો. આ રીતે મારે
આમીર ખાન પ્રોડક્શન સાથે જોડાયેલી વ્યક્તિ સાથે ઓળખાણ થઈ એ પછી ‘સત્યમેવ જયતે’
સિઝન– 2માં કામ લાગી. આ પ્રોડક્શન હાઉસ
સાથે જોડાવાથી મને ઘણું શીખવા મળ્યું. અહીં બધાં જ લોકો કામ
સુપરલેટીવ ડિગ્રીમાં કરે. પણ તમામ લોકોના વ્યક્તિત્વ એકદમ ડાઉન ટુ અર્થ. આમીર ખાનથી માંડીને યુનિટ સાથે જોડાયેલાં તમામ લોકો એટલાં સાલસ સ્વભાવના કે તમે કામ પૂરું કરીને રોજ ઘરે જાવ ત્યારે એક નવી વાત તમે શીખીને જ ગયા હોય
એવું લાગ્યા વિના ન રહે.’
આ
માહિતી આપતી વખતે જ પિંકીબહેન બોલ્યાં
કે, શિશિર નાટકોની વાત તો તમે કહી જ નહીં….
શિશિરભાઈએ
‘તને રોજ મળું છું પહેલીવાર’, ‘જીતે હૈં શાન સે’, ‘હરખપદૂડી હંસા’, ‘હું ચંદ્રકાંત બક્ષી’ નાટકો લખ્યા છે. શાંતનુ કહે છે, ‘ગુજરાતી ભાષા પ્રત્યેનો મારો લગાવ અકબંધ રહે એ માટે મેં
જૂહુની ઉત્પલ સંઘવી સ્કૂલમાં પ્રવેશ લીધો છે. પપ્પાનું લખેલું નાટક ‘હું ચંદ્રકાંત બક્ષી’ બે વાર જોયું છે. એ મને સૌથી
વધુ ગમે છે.’
શિશિરભાઈ
કહે છે, ‘ચંદ્રકાંત બક્ષી ઉપર લખેલું નાટક જ્યારે એમના દીકરી રીવાબહેને વખાણ્યું ત્યારે જાણે મને એવોર્ડ મળ્યો હોય એવું લાગ્યું હતું. હજુ એક પુસ્તક આવવાનું બાકી છે. એ પુસ્તક છે
તારક મહેતાની કૉલમ ‘દુનિયાને ઉંધા ચશ્મા’ વિશે. પુસ્તકનું નામ છે ‘ઉંધા ચશ્માથી ઉલટા ચશ્મા’. કૉલમની સફર સિરિયલ સુધી કેવી રહી એ
વિશેની વાતને તેમાં આવરી લીધી છે.’
શિશિર
રામાવતને લેખનની દુનિયામાં સૌથી વધુ તો નવલકથા લખવી ગમે છે. શિશિર રામાવતની કલમથી જે પરિચિત છે એમને અને એમના ચાહકોને તો આ વાંચીને એમ
થયા વિના નહીં રહે કે, સારું થયું શિશિર રામાવત શબ્દોના અને સંવેદનાના એન્જિનિયર થયા. અંઘેરીમાં આવેલાં ઘરના કલરફુલ કવર–ટેપેસ્ટ્રી સાથેના સોફા ઉપર બેસીને શિશિરભાઈ એક વાત કહીને વાત પૂરી કરે છે કે, પિંકી જો જોબ ન કરતી હોત
તો મારી ક્રિએટિવિટીને ખીલવા માટે આટલી મોકળાશ ન મળત. મારા શબ્દોની
ઉડાનની સાચી સાથીદાર પિંકી છે.