Home » હાર્દિકના રાજીનામા બાદ હવે કોંગ્રેસનું નરેશ પટેલ પર ફોકસ, રઘુ શર્મા આવતીકાલે નરેશ પટેલને મળશે
હાર્દિકના રાજીનામા બાદ હવે કોંગ્રેસનું નરેશ પટેલ પર ફોકસ, રઘુ શર્મા આવતીકાલે નરેશ પટેલને મળશે
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
71
છેલ્લા ઘણા સમયથી જે વાતની અટકળો ચાલતી હતી, તે આખરે સાચી પડી છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ત્યારબાદથી તો ગુજરાતની રાજનીતિમાં નવી હલચલ પણ શરુ થઇ ગઇ છે. ખાસ કરીને હાર્દિક પટેલના આગામી નિર્ણય અંગે હવે ચર્ચા થઇ રહી છે કે હાર્દિક ભાજપમાં જોડાશે કે પછી અપક્ષ ચૂંટણી લડશે. આ બધી સ્થિતિ વચ્ચે હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા આવતીકાલે રાજકોટમાં નરેશ પટેલને મળવાના છે.
આ સમચારપરથી એક વાત સ્પષ્ટ થાય છે કે હાર્દિક પટેલના રાજીનામા બાદ પણ કોંગ્રેસનું ફોકસ નરેશ પટેલ ઉપર જ છે. એક પાટીદાર નેતાએ ભલે રાજીનામું આપ્યું પરંતુ કોંગ્રેસ બીજા પાટીદાર અગ્રણીને પાર્ટીમાં લાવવાની પ્રયાસો કરી રહી છે. ઉલ્લેખનીય છે કે નરેશ પટેલનું કોકડું પણ છેલ્લા ઘણા સમયથી ગૂંચવાયેલું છે. તેઓ પોતે પણ આ અંગે કોઇ સ્પષ્ટતા કરવા તૈયાર નથી. આ તમામ સ્થિતિ વચ્ચે તેમના કોંગ્રેસમાં જોડાવવાની ચર્ચા છે. ત્યારે હવે આવતીકાલે રઘુ શર્મા રાજકોટ આવીને નરેશ પટેલ સાથે બેઠક કરવાના છે. જેથી તમામ લોકોની નજર આ બેઠક પર છે. ટૂંક સમયમાં ખબર પડશે કે નરેશ પટેલ કોંગ્રેસનો ભાગ બનશે કે નહીં.
તો બીજી તરફ ઉદયપુરમાં મળેલી કોંગ્રેસની ચિંતન શિબિરમાં ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ઘણું મંથન કરવામાં આવ્યું છે. ગુજરાત ચૂંટણી માટે પ્લાન પણ તૈયાર કરાયો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પણ આગામી સમય માટે એક પ્લાન તૈયાર કર્યો છે. જે પ્રમાણે આવતીકાલે એટલે કે 19 મેના રોજ રાજકોટમાં કોંગ્રેસની મોટી સભા મળવા જઇ રહી છે. ત્યારબાદ 21 મેના રોજ દક્ષિણ ગુજરાતના આગેવાનોની બેઠક મળશે. 22મી તારીખે વડોદરામાં મધ્ય ગુજરાતના આગેવાનોની બેઠક યોજાશે. જ્યારે 23મીએ મહેસાણામાં ઉત્તર ગુજરાતના આગેવાનોની બેઠક મળશે.
આ તમામ તૈયારીઓ હવે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને થઇ રહી છે. તમામ નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક કરીને રણનીતિ નક્કી કરવામાં આવશે. આ સાથે આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રેલી અને સમીક્ષા બેઠક યોજાશે. 12મી જૂને બારડોલી સત્યાગ્રહની તીથીએ કોંગ્રેસ દ્વારા રેલી પણ યોજવામાં આવશે. આ રેલી માટે રાહુલ ગાંધીને પણ આમંત્રણ આપવામાં આવશે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject