Home » ગીર સોમનાથના ધાવાની ચકચારી ઘટના, જેણે ગુજરાત ફર્સ્ટના પ્રતિનિધિને પણ રડાવી દીધા, Video
ગીર સોમનાથના ધાવાની ચકચારી ઘટના, જેણે ગુજરાત ફર્સ્ટના પ્રતિનિધિને પણ રડાવી દીધા, Video
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
148
આજે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ. જેને ટેકનોલોજીનો યુગ કહેવાય છે ત્યારે આજે પણ ઘણી જગ્યાએ અંધશ્રદ્ધા જીવંત હોય તેવું દેખાઇ રહ્યું છે. તાજેતરમાં ગુજરાત ફર્સ્ટની ટીમે એક ઘટના કે જેમા એક માસૂમ બાળકીને અંધશ્રદ્ધાનો ભોગ બનવું પડ્યું છે તેને ઉજાગર કરી આજના યુગનો માનવી આજે પણ કેવા વિચાર ધરાવે છે તે જનતા સમક્ષ લાવવાનો પ્રયત્ન કર્યો છે. આપ સૌ જાણો જ છો કે, ગુજરાત ફર્સ્ટની ટીમે ગઇકાલ (બુધવાર)ના રોજ ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના તાલાલા તાલુકાના ગીર ધાવા ગામમાં પહોંચી અંધશ્રદ્ધાનો એક અનોખા ખેલને ઉજાગર કર્યો છે.
ગુજરાત ફર્સ્ટના પ્રતિનિધિ અને એન્કર પણ રડી પડ્યાં
ગુજરાત રાજ્ય કે જે દેશ માટે એક વિકાસ મોડલ તરીકે જોવામાં આવે છે ત્યારે આ રાજ્યના ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના તાલાલા તાલુકાના ગીર ધાવા ગામમાં આજે પણ લોકો અંધશ્રદ્ધામાં જીવી રહ્યા છે. આ સમગ્ર ઘટના પર ગુજરાત ફર્સ્ટના પ્રતિનિધિ વિનોદ દેસાઇએ ઉંડાણપૂર્વકની ઇન્વેસ્ટીગેશન કરી અને આ દબાઇ ગયેલી ઘટનાને ઉજાગર કરી જનતા સમક્ષ અંધશ્રદ્ધાનો ખેલ કેવો થઇ રહ્યો છે તે ઉજાગર કર્યું છે. જણાવી દઇએ કે, અહીં વળગાડની વિધિના નામે બાળકીને મોતને ઘાટ ઉતારી માસૂમ બાળાની બલિ ચઢાવવામાં આવી હતી. તેટલું જ નહીં પરંતુ તે બાળકીના મૃતદેહને જમીનમાં રખાયો હતો અને 3 દિવસ બાદ ચૂપચાપ અગ્નિ સંસ્કાર કરી દેવાયો હતો.
આ સમગ્ર ઘટના કેટલી ભયાનક હશે તે વાતને તમે આ રીતે સમજી શકશો કે ગુજરાત ફર્સ્ટના પ્રતિનિધિ વિનોદ દેસાઇ આ અંગે જાણકારી આપતા કેમેરા સમક્ષ રડી પડ્યા હતા. ઉપરાંત ગુજરાત ફર્સ્ટના એન્કર જાગૃતિ પટેલ પણ રડતા કેમેરામાં કેદ થયા હતા. તેમણે કેમેરા સમક્ષ આ અંગે જાણકારી આપતા કહ્યું કે, જે લોકો આ સમાચાર જુએ છે તે તમામની આજે આવી જ સ્થિતિ છે, કારણ કે વળગાડની વિધિ કરી કોઇ વ્યક્તિ પોતાની દીકરીને કેવી રીતે હોમી શકે તે સમજમાં નથી આવી રહ્યું, ભલે પછી તેની લાલચ કોઇ પણ હોય. જોકે, તેની લાલચ શું હતી તેની પણ આવનારા સમયમાં સ્પષ્ટતા થશે. મૃત બાળકીની માતાએ ગઇ કાલે ગુજરાત ફર્સ્ટની ટીમને જણાવ્યું હતું કે, આ બાળકી (ધૈર્યા) તેમને મોટી ઉંમર બાદ પ્રાપ્ત થઇ હતી. આ તેમની એકમાત્ર બાળકી હતી.
સાત દિવસ સુધી દીકરી પર ત્રાસ ગુજારવામાં આવ્યો
ગુજરાત ફર્સ્ટના પ્રતિનિધિ વિનોદ દેસાઇએ વધુમાં કહ્યું કે, એક દિવસ નહીં પણ પહેલી તારીખથી લઇને સાત તારીખ સુધી સતત આ દીકરી પર જે રીતે ત્રાસ ગુજારવામાં આવ્યો તેને અગ્નિ પાસે ભૂખી રાખવામાં આવી, તેને મારવામાં આવી, આ કેવી માનસિકતા છે. શું તેના પિતાને એક વખત પણ વિચાર ન આવ્યો કે આ તાંત્રિક તેની પાસે આ શું કરાવી રહ્યો છે. અને આ કરવાથી શું કઇ પ્રાપ્ત થઇ શકે કે નહીં. દીકરીની જે ખરાબ હાલત જોયા બાદ પણ તેમને દયા ન આવી આવા અનેક સવાલો આ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયા છે. પોલીસ પણ હવે આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઇને એક પછી એક કડીઓને જોડી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટનામાં પિતા અને કાકાએ પોતાની 14 વર્ષની માસૂમ દીકરી ધૈર્યાને વળગાડની આશંકાએ વિધિ કરી હોવાનું તપાસમાં ખુલ્યું હતું. સગા પિતા અને કાકાને 14 વર્ષની દીકરી પર અમાનુષી અત્યાચાર ગુજારતા કેવી રીતે જીવ ચાલ્યો તે સવાલ પણ લોકોમાં પુછાઇ રહ્યો છે. લોકો આ ઘટનાથી સ્તબ્ધ થઇ ગયા છે.
શું છે સમગ્ર ઘટના?
ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના તાલાલા તાલુકાના ગીર ધાવા ગામમાં વળગાડની વિધિના નામે બાળકીને મોતને ઘાટ ઉતારી માસૂમ બાળાની બલિ ચઢાવામાં આવી હતી. તેના મૃતદેહને જમીનમાં રખાયો હતો અને 3 દિવસ બાદ ચૂપચાપ અગ્નિ સંસ્કાર કરી દેવાયો હતો. બાળકી ધૈર્યાને બાળકીના પિતા અને તેના ભાઈએ 1લી ઓક્ટોબરના રોજ ચકલીઘર નામની વાડીએ લાવ્યા હતા. ત્યારબાદ તેમણે માસૂમ બાળકીના જુના કપડા સળગાવી દીધા હતા. પોલીસે નોંધેલી ફરિયાદમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. ફરિયાદમાં માસૂમ બાળકીના પિતા તથા બાળકીના કાકા એ ભેગા મળી ધૈર્યાનો જીવ લઈ લીધો હોવાનો ખુલાસો થયો હતો. માસૂમ બાળકીના પિતાના તથા તેમના ભાઈને શંકા હતી કે તેમની દીકરીને કોઇ વળગાડ છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject