ગુજરાત, કેરળ સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારી ફરી એકવાર માથું ઊંચક્યું છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 11 નવા કેસ નોંધાયા છે, જેમાં 7 પુરુષ અને 4 મહિલા કોવિડ પોઝિટિવ આવ્યા છે. માહિતી મુજબ, અમદાવાદના થલતેજ, બોડકદેવ, સાબરતમી સહિતના વિસ્તારોમાં કોરોનાના નવા કેસ નોંધાયા છે.
આ વિસ્તારમાં કોરોનાના નવા કેસ નોંધાયા
છેલ્લા અમુક દિવસથી અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં જ 11 નવા કોરોનાના કેસ નોંધાયા છે. શહેરના થલતેજ, બોડકદેવ, સાબરમતી, નવરંગપુરા, SP સ્ટેડિયમ, વટવા, જોધપુર સહિતના વિસ્તારોમાંથી આ કેસ નોંધાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 11 દર્દીઓ પૈકી 6 લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી છે. જે હેઠળ દુબઈ, કેરળ, હૈદરાબાદ અને USA પ્રવાસ કરેલા લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. આ સાથે હવે શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 33 થઈ છે. માહિતી મુજબ, હાલ તમામ કોરોના પોઝોટિવ દર્દીઓને આઇસોલેશનમાં મૂકવામાં આવ્યા છે.
કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા લોકોને સૂચના
ઉલ્લેખનીય છે કે, આવતીકાલે શહેરમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે રજાઓ હોવાથી લોકો પ્રવાસનું આયોજન કરી રહ્યા છે, જેના કારણે પ્રવાસન સ્થળે લોકોની ભીડ જોવા મળી રહેશે. જો કે, આ દરમિયાન શહેરના આરોગ્ય વિભાગે લોકોએ કોરોનાની સરકારી ગાઇડલાઇનનું પાલન કરવા અને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સાવચેત રહેવા અને કાળજી લેવા સૂચન કર્યું છે.
આ પણ વાંચો – નિવૃત્ત વિધુત કર્મચારી મંડળનુ દ્રિતીય અધિવેશન