અહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ
૭૭મા સ્વાતંત્ર્યપર્વની જિલ્લાકક્ષાની ઉજવણી આન-બાન-શાનથી થાય તે માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે આજરોજ માંડવી ખાતે સ્વાતંત્ર્ય પર્વની તૈયારીઓનું ગ્રાઉન્ડ રીહર્સલ યોજવામાં આવ્યું હતું. પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાના વરદ્ હસ્તે ૧૫ ઓગષ્ટના રોજ તિરંગો લહેરાશે.નિવાસી અધિક કલેકટર મિતેશ પંડ્યાએ આજે માંડવી શેઠ શુરજી વલ્લભદાસ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે તિરંગાને સલામી આપી પરેડ નિરીક્ષણ કરવાની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન ઉપરાંત વિવિધ ક્ષેત્રે યોગદાન આપનારાઓનું સન્માન સહિતની બાબતોની સમીક્ષા કરી હતી તથા મુખ્ય કાર્યક્રમની તમામ તૈયારીઓનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે વિવિધ શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં દેશભક્તિનો અનેરો માહોલ સર્જાયો હતો.દેશભક્તિ ગીત, સમુહ નૃત્ય વિગેરે કૃતિ પ્રસ્તુત કરાઈ હતી. આ પ્રસંગે યુવકસેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા દેશભક્તિ કૃતિ રજૂ કરાઇ હતી. અધિક નિવાસી કલેકટરશ્રી મિતેશ પંડ્યાએ ગ્રાઉન્ડ રીહર્સલ નિહાળ્યા બાદ સ્વાતંત્ર્યપર્વના કાર્યક્રમોને વધુ સારી રીતે રજૂ કરવા અને જાજરમાન બનાવવા સ્થળ પર માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીશ્રી આર.કે.ઓઝા માંડવી-મુંદરા પ્રાંત અધિકારીશ્રી ચેતન મિસણ,ડીવાયએસપી એ.આર.ઝણકાંત, નાયબ વન સંરક્ષકશ્રી હરેશ મકવાણા, પાર્થ ચોવટીયા શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ પોલીસ વિભાગની વિવિધ પ્લાટુન તેમજ વિવિધ સંબંધિત વિભાગના અધિકારીગણ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.