અહેવાલઃ રાબિયા સાલેહ, સુરત
સુરતમાં શ્વાન કરડ્યા બાદ હડકવાને કારણે એક યુવતીનું મોત થવાની ઘટના સામે આવી છે. સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે પરંતુ સુરત મહાનગર પાલિકાના પેટનું પાણી હલતું ન હોય તેવી સ્થિતિ છે. ગલી,મહોલ્લે,બજાર,માર્કેટમાં ફરતા રખડતા શ્વાનોએ વધુ એક વ્યક્તિનું મોત નિપજાવ્યું છે. સુરત મહાનગર પાલિકાના પોકળ દાવા અને બહાના કરવાની નીતિના કારણે શ્વાનના શિકાર લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે..
અધુરી સારવારે યુવતીને ભૂવા પાસે લઇ જવામાં આવી હતી
રાંદેર મોરા ભાગળ શાક માર્કેટ પાસે રહેતી અને પરિવાર સાથે શાકભાજી નો વેપાર કરતી 18 વર્ષીય જ્યોતી દેવીપુજક 3 દિવસથી હડકવાના લક્ષણો થી પરેશાન હતી,તેની તબીયત ખરાબ થયા બાદ તેણી એ વિચિત્ર હરકતો કરવાનો શરૂ કરી હતી,શ્વાન જેમ હાફ ચડવો,પાણી પીવામાં તકલીફ થવી વગેરે જેવા લક્ષણો જોવા મળ્યા હતા.યુવતી ની હાલત વધુ બગડતાં તેને પરિવારે સિવિલમાં ખસેડી પરંતુ બાદમાં તેને હડકવાની અસર થયાનું નિદાન કરાયું તો ભૂવા સારું કરશે જેવો વિચાર રાખી તેને ભૂવા પાસે લઈ જવાઈ. પરિવારે ભુવાને બોલાવી વિધી કરાવી હોવાનું જણાવ્યું છે.પરંતુ ભુવાએ પણ અસમર્થતા બતાવતા જ્યોતીને બાંધી દેવાઇ હતી. આખરે સવારે જ્યોતીએ દમ તોડી દીધો હતો. શ્વાન કરડ્યું ત્યારે પરિવારે હડકવા વિરોધી રસીનો કોર્ષ પુરો કર્યો હતો કે નહિ તે તબીબો ને પણ સ્પષ્ટ નહિ થયું અને હડકવાની અસર બાદ પણ પરિવાર જ્યોતીને અધુરી સારવાર છોડાવીને ઘરે લઈ ગયો હતો અને ભુવાના હવાલે કરી દેતા આખરે જ્યોતીએ પોતાનો જીવ ગુમાવી દીધો છે.
છેલ્લા ત્રણ મહિનામાં શ્વાન કરડવાથી થયેલું આ પાંચમું મોત
છેલ્લા ત્રણ મહિનામાં શ્વાન કરડવાથી થયેલું આ પાંચમું મોત છે.. આ પહેલા બે બાળકો એક યુવાન અને સાથે એક વૃદ્ધના રખડતા શ્વાનથી મોત થઇ ચૂક્યા છે. સુરતની હોસ્પિટલોમાં રોજ ડોગ બાઈટના 80 થી 100 જેટલા કેસ સામે આવે છે. પરંતુ રખડતાં શ્વાન દ્વારા નાગરિકો પર થઈ રહેલા જીવલેણ હુમલાઓને સુરત મહાનગરપાલિકા યોગ્ય ગંભીરતાથી લેતી નથી. સુરતમાં થતા શ્વાનના શિકારને સુરત મનપા દ્વારા ગંભીરતાથી લેવામાં નથી આવી રહ્યાં જેના કારણે સતત લોકો શ્વાનનો શિકાર થઈને કાં તો ઇજાગ્રસ્ત થઇ રહ્યા છે અથવા તો મોતને ભેટી રહ્યા છે