અહેવાલઃ પ્રદિપ કચીયા, અમદાવાદ
નરોડા વિસ્તારમાંથી ગત 21 એપ્રિલે મજૂર કોન્ટ્રાકટર યુવક પોતાના ઘરેથી રાત્રીના સમયે નીકળ્યો હતો અને બાદમાં ઘરે પરત ફર્યો ન હતો. પરિણામે પરિવારજનોએ નરોડા પોલીસ સ્ટેશનમાં યુવકના ગુમ થયાની ફરિયાદ નોધાવી હતી.ત્યારે હવે 43 દિવસ બાદ ગુમ થયેલ યુવકની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ રાજસ્થાનના ઉદેપુર ખાતેથી મળી આવી છે. હાલમાં પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે. યુવકની હત્યા થઇ હોવાની આશંકા સેવાઇ રહી છે. બીજી તરફ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે સમગ્ર કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપી છે.
ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોપ્યા બાદ પોલીસે પણ મહેસાણા, તલોદ, હિંમતનગર અને રાજસ્થાનમાં તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસને કુલ ચાર ડેડબોડી મળી હતી. ઉદેપુર હાઇવે પરથી જે ડેડબોડી મળી હતી. જેના પગલે પોલીસે ગમુ થયેલા યુવકના ભાઇને ડેડબોડીની ઓળખ માટે બોલાવ્યો હતો. ત્યારે તેના ભાઇએ તે ડેડબોડી તેના જ ભાઇ સુરેશ મહાજનની હોવાનું જણાવ્યુ હતું. બાદમાં મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત પણ કરી છે.