
વસંત પંચમીના દિવસથી ઋતુરાજ વસંતનો વિશેષ મહત્વ
વસંત ઋતુમાં ખીલતા વિવિધ ઔષધીય વનસ્પતિ આ ઋતુમાં ઔષધીય છે ઉપયોગી
આયુર્વેદની એક ખૂબ જાણીતી ઔષધિ છે કાંચનાર ગુગ્ગળ. મુકુલ વૃક્ષમાંથી મળતા ગુગ્ગળ અને કાંચનારના અર્કના સમન્વયથી આ ઔષધ બને છે. ચરક અને સુશ્રુત સંહિતામાં પણ કાંચનારના ઔષધીય ગુણોનું વર્ણન છે. એના ફૂલ, પાંદડા, છાલ, થડ, બીજ, બધું જ જુદી જુદી રીતે ઉપયોગી છે. એના પુષ્પોની સુગંધિત પાંદડીઓનો સજાવટમાં ઉપયોગ થાય છે. અંગ્રેજીમાં તે માઉન્ટેન એબોની, બટરફ્લાય એશ જેવા નામો થી ઓળખાય છે.
તેજસ્વી ગુલાબી અને ચમકતા શ્વેત, એવા બે પ્રકારના રંગ વૈભવથી અલંકૃત એના પુષ્પોની શોભા વસંતમાં માણવા જેવી છે. કેસુડા પરથી નજર હટાવો તો કાંચનાર, ટિકોમા જેવા પુષ્પ વૃક્ષો આ ઋતુમાં વસંતની મનોહરતા વિખેરતા જોઈ શકાય છે. આ હરિતપર્ણી વૃક્ષ કોઈપણ ઉદ્યાનની શોભા વધારી શકે છે.
કાંચનાર ભારતના વિવિધ પ્રાંતોમાં જોવા મળતું ૧૦ થી ૧૨ મીટરની મધ્યમ ઊંચાઈ ધરાવતું વૃક્ષ છે જે પ્રાંત પ્રમાણે જુદાં જુદાં નામે ઓળખાય છે. ભારતીય ઉપખંડના દેશો – ચીન, ઈન્ડોનેશિયા, થાઇલેન્ડ, શ્રીલંકા જેવા દેશોમાં આ વૃક્ષ જોવા મળે છે.
વસંત પંચમીએ રંગ અને ઉર્મિઓના ઉત્સવોનું પ્રવેશદ્વાર છે તો આ કાંચનાર પણ વૈભવી વસંતનું છડીદાર છે. ઊર્મિશીલ કવિ, સાહિત્ય મર્મજ્ઞ ભાગ્યેશ ઝાએ એની મુલવણી ભારતીય સંસ્કૃતિના પ્રેમ પર્વ ભારતીય વેલેન્ટાઇન ડે તરીકે કરી છે. કવિ શ્રેષ્ઠ કાલિદાસે ગ્રંથો ભરીને વસંતનો મહિમા કર્યો છે.એવા આ ઋતુરાજના ઓછા જાણીતા છડીદાર કાંચનાર નું ફૂલો થી લદાયેલું વૃક્ષ આસપાસમાં ક્યાંય જોવા મળે તો એને આ ઋતુમાં મન મૂકીને નીરખી લે જો.વસંત સાર્થક થઈ જશે.